લોકોના પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે મ્યુનિ. કમિશનરે 91 અધિકારીને ફરજિયાત નાઈટ ચેકિંગની જવાબદારી સોંપી છે. નાઈટમાં આવેલી તમામ ફરિયાદો જે તે વિભાગના વડાને પહોંચાડવા તેમજ આ ફરિયાદનો 96 કલાકમાં જ નિકાલ કરવાની સૂચના અપાઈ છે. જો ફરિયાદોનો નિકાલ ન થાય તો વીકલી મીટિંગમાં સંબંધિત ખાતાના અધિકારીએ મ્યુનિ. કમિશનરને ખુલાસો આપવો પડશે.
તાજેતરમાં જ ડીવાયએમસી, આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓને નાઈટ ચેકિંગની જવાબદારી સોંપાઈ છે. તેમજ તેનું રિપોર્ટિંગ તેમની ટીમના ઉચ્ચ અધિકારીને કરવાની સૂચના અપાઈ છે. બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં અધિકારી અને ટીમે તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી તેને ઈ-મેઈલથી ફોટા સાથે સેન્ટ્રલ ઓફિસને મોકલી આપવાનો રહેશે. તે ઉપરાંત ડીવાયએમસી અને મ્યુનિ.ના વોટ્સએપ ગ્રૂપમાં પણ તે મૂકવાની રહેશે.
નાઈટ ચેકિંગનો રિપોર્ટ મ્યુનિ. કમિશનરની જાણમાં મૂકવાનો રહેશે. તેમજ પાલડી ખાતાના સીસીઆરએસ સેન્ટર ખાતે પણ ધ્યાને લેવાશે. સીસીઆરએસ દ્વારા આપવામાં આવેલી ફરિયાદનો નિકાલ 4 દિવસમાં એટલે કે 96 કલાકમાં કરવાનો રહેશે. જે ફરિયાદોનો નિકાલ નહીં થયો હોય તેનો વિગતવાર અહેવાલ મ્યુનિ. કમિશનર સાથેની વીકલી મીટિંગમાં ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા રજૂ કરવાનો રહેશે. તેમજ જે ફરિયાદનો નિકાલ બાકી હોય તેની માહિતી સાથે સંબંધિત ખાતાના અધિકારી પાસે સ્પષ્ટતા માગવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.