સ્કૂલ કેમ્પસ ધમધમશે:સોમવારથી ધોરણ 9થી 11ની સ્કૂલો ઓફલાઇન શરૂ કરવાની વિચારણા, શિક્ષણ વિભાગમાં બેઠકોનો દોર

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારથી ધોરણ 9થી 11ની સ્કૂલો ઓફલાઇન શરૂ કરવાની વિચારણા
  • રસી લીધેલા શિક્ષકોને જ સ્કૂલમાં આવવા દેવા વાલીમંડળની માગણી
  • સ્કૂલો શરૂ કરવા અંગે બે દિવસમાં નિર્ણય થવાની શક્યતા
  • ધોરણ 9 અને 11માં 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ

હાલ ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે, જેને પગલે શિક્ષણ પણ નોર્મલ થવા લાગ્યું છે. ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે, જેમાં શિક્ષણ વિભાગમાં અલગ અલગ બેઠકો ચાલી રહી છે. શાળા-સંચાલકોએ પણ DEOને આવેદનપત્ર આપીને અગાઉ રજૂઆત કરી હતી અને સરકાર નિર્ણય નહીં લે તો સંચાલકો જાતે જ શાળા શરૂ કરી દેશે એવી ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે આજે સરકાર દ્વારા સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. ત્યારે ઓલ ગુજરાત વાલીમંડળે સ્કૂલ શરૂ થયા અગાઉ સંચાલકો SOPનું પાલન કરશે એવું એફિડેવિટ લઈને આપે એવી માગણી કરી છે.

સ્કૂલો SOPનું પાલન કરશે એવી એફિડેવિટ કરાવે સરકાર
ઓલ ગુજરાત વાલીમંડળે સરકાર પાસે સ્કૂલ શરૂ કરવા અગાઉ કેટલીક માગણી કરી છે, જેમાં ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરવામાં આવે એ અગાઉ સંચાલકો પાસેથી ફરજિયાત કોરોનાથી સાવધાની માટે SOPનું પાલન કરવામાં આવશે એવી એફિડેવિટ કરાવવી, તમામ વાલીઓએ વેક્સિન લીધેલી હોવી જોઈએ અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને પણ ફરજિયાત રસી લીધેલી હોવી જોઈએ. રસી લીધી હોય તેવા જ શિક્ષકોને સ્કૂલમાં આવવા દેવા, વગેરે જેવી બાબતોની એફિડેવિટમાં માગણી કરી છે.

આ તસવીર પ્રતીકાત્મક છે.
આ તસવીર પ્રતીકાત્મક છે.

શિક્ષકો-વાલીઓનું ફરજિયાત વેક્સિનેશન થયેલું હોવું જોઈએ
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે ધોરણ 9થી 11ના વર્ગ ચાલુ કરવા જોઈએ, પરંતુ નિર્ણય અગાઉ શિક્ષણ વિભાગના અધિકારી, સંચાલકમંડળ અને વાલીમંડળ વચ્ચે બેઠક થવી જોઈએ, જેમાં સંકલન કરીને સ્કૂલ શરૂ કરવી જોઈએ. સ્કૂલ ખોલ્યા અગાઉ સંચાલકોએ શિક્ષણ વિભાગને ફરજિયાત એફિડેવિટ આપવું, જેમાં SOPનું પાલન કરવા બાંયધરી આપવી, શિક્ષક અને વાલીઓની ફરજિયાત વેક્સિનેશન થયેલું હોવું જોઈએ.

આ તસવીર પ્રતીકાત્મક છે.
આ તસવીર પ્રતીકાત્મક છે.

આજે મંત્રીમંડળની બેઠકમાં સ્કૂલ ખોલવા અંગે ચર્ચા થઈ શકે
બુધવારે રાજ્યમાં બકરી ઈદની જાહેર રજાને પગલે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી નહોતી, જેથી આજે બપોરે 12 કલાકે મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં રૂપાણી સરકારનાં પાંચ વર્ષની ઉજવણી તેમજ આગામી સપ્તાહે ધોરણ 9થી 11ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા મામલે પરામર્શ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ જૂનાગઢના એક કાર્યક્રમ બાદ નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ઓફલાઈન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાનો પણ સંકેત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 9માં અંદાજે 6 લાખ અને ધોરણ 11માં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.

ઓફલાઈન શિક્ષણ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવા ગતિવિધિ તેજ
ગુજરાતમાં કોરોનાને કારણે ઘણા લાંબા સમયથી સ્કૂલો બંધ રહી છે. એ પછી કોરોનાના કેસ ઘટતાં ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય 15 જુલાઈથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ માટે ઓનલાઇન શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે, જ્યારે માધ્યમિક સ્કૂલો એટલે કે ધોરણ 9થી 11માં પણ ઓફલાઈન શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન ચાલુ કરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

સ્કૂલ-સંચાલકોની શિક્ષણમંત્રીને રજૂઆત
ગુજરાત સરકારે કોવિડ ગાઈડલાઈન્સ મુજબ ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતી વખતે વાલીની સંમતિપત્ર મેળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, એવી જ રીતે ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સ્કૂલો શરૂ કરવાને લઈને સ્કૂલ-સંચાલકો દ્વારા પણ જિલ્લા કલેક્ટરોને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલોએ આવવાની મંજૂરી આપવી જોઈએ. આ સંદર્ભે સ્કૂલ-સંચાલકોએ પણ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.

કોરોના વકરતાં માર્ચમાં સ્કૂલો બંધ કરી
ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતાં રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

ધો.1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું
રાજ્યમાં કોરોના મહામારી વકરતાં ગુજરાત સરકારે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના હતી. ત્યાર બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

સ્કૂલ અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

  • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
  • વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
  • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
  • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે.
  • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.
  • રાજ્યમાં આવેલા તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
  • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
  • સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
  • વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
  • વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
  • સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે એવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે એવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
  • સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
  • વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
અન્ય સમાચારો પણ છે...