ભાજપની મહિલાઓનો દબદબો:જાણો, ગુજરાત ચૂંટણીમાં ભાજપની 14 મહિલા ઉમેદવારની જીત, કોંગ્રેસ અને AAPની કેટલી મહિલા ઉમેદવારોની હાર થઈ કે જીત?

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 138 મહિલાઓએ ઝંપલાવ્યું હતું. જેમાંથી ભાજપની 17 મહિલા ઉમેદવારો, કોંગ્રેસના 14 મહિલા ઉમેદવારો અને આપની માત્ર 6 મહિલા ઉમેદવારો હતી. જ્યારે અપક્ષમાંથી 102 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં હતાં. બે તબક્કામાં યોજાયેલા મતદાનમાં મહિલા મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં હતાં. ત્યારે આજે આવેલાં પરિણામમાં મુખ્ય ત્રણ પક્ષની માત્ર 15 મહિલાઓનો વિજય થયો છે.

ભાજપની 3 મહિલા ઉમેદવારોની હાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી કુલ 17 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી 14 મહિલાઓનો વિજય થયો છે. જ્યારે 3 મહિલા ઉમેદવારોની હાર થઈ છે.

કોંગ્રેસની 13 મહિલા ઉમેદવારોની હાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કુલ 14 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક જ મહિલાઓનો વિજય થયો છે. જ્યારે 13 મહિલા ઉમેદવારોની હાર થઈ છે.

આપના એક પણ મહિલા ઉમેદવાર ન જીત્યાં
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કુલ 6 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક પણ મહિલાઓનો વિજય થયો નથી. જે પૈકી હારેલી ઘણી મહિલાઓની ડિપોઝિટ પણ ડૂલ થાય એવો માહોલ સર્જાયો છે.

1962થી 2022 સુધી મહિલા ઉમેદવારોની જીત
1962થી લઇને 2012 સુધીમાં 126 મહિલા ઉમેદવારો જીત્યા છે. જેમાં સૌથી વધુ મહિલાઓ ચૂંટાઇને આવી હોય તેવી ત્રણ વિધાનસભા ચૂંટણી છે. 1985, 2007 અને 2012માં 16 મહિલા ધારાસભ્ય ચૂંટાયાં હતાં. જ્યારે સૌથી ઓછી માત્ર એક મહિલા ધારાસભ્ય 1972માં ચૂંટાઈ હતી. 2022ની ચૂંટણીમાં 138 મહિલાઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં 15 મહિલા ઉમેદવારોનો વિજય થયો છે. જેથી વિધાનસભામાં કુલ 126 મહિલા ધારાસભ્ય બની છે.

ઉમેદવારીમાં અને જીતવામાં પુરુષો કરતાં મહિલાઓ ઓછી
1962થી 2022 સુધીમાં કુલ 17090 પુરુષ ઉમેદવારો ચૂંટણી લડ્યા છે, જેની સામે માત્ર 816 મહિલાઓ જ ચૂંટણી લડી છે. તેવી જ રીતે જીતીને ધારાસભ્ય બનેલા પુરુષોની અત્યાર સુધીની કુલ સંખ્યા 2365 છે, જ્યારે તેની સામે મહિલા ધારાસભ્યોની સંખ્યા માત્ર 126 છે. આ આંકડો દર્શાવે છે કે, ધારાસભ્યની ચૂંટણી લડવા માટે ગુજરાતમાં મહિલાઓ ઓછી આગળ આવી રહી છે અથવા મહિલાઓની ઓછી ટિકિટ આપવામાં આવે છે અને મતદાતાઓ પણ મહિલાઓ કરતાં પુરુષ ઉમેદવારોને ધારાસભ્ય તરીકે વધારે ચૂંટી રહ્યાં છે.

ગાંધીધામ: માલતીબેન મહેશ્વરી
ગાંધીધામ વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે માલતીબેન મહેશ્વરીની પસંદગી કરવામાં આવી હતી. આ વિધાનસભા સીટ 2012માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. એસ.સી માટે આરક્ષિત આ સીટ પર આ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણે પક્ષો વચ્ચે મુકાબલો થયો હતો. આ વિધાનસભા સીટના ઇતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ 2012ની ચૂંટણીમાં અહીં ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપના રમેશભાઈ મહેશ્વરીએ કોંગ્રેસનાં જયશ્રીબેન ચાવડાને ભારે મતોથી હાર આપી હતી. આ વર્ષે ભાજપની 'નો રિપીટ' ની નીતિને ધ્યાનમાં રાખતાં માલતીબેનને તક આપી હતી. માલતીબેન પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડવા ઊભાં રહ્યાં છે. તેઓ ભાજપના ઘણા જૂના કાર્યકર્તા છે.

રાજકોટ પશ્ચિમ: ડો.દર્શિતા શાહ
રાજકોટ પશ્ચિમ બેઠક હાઈપ્રોફાઈલ સીટ રહી છે, અહીં નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. વજુભાઈ વાળા છ ટર્મ જેટલી ચૂંટણી લડ્યા અને વિજય રૂપાણી ચૂંટણી લડ્યા. અહીં ઉજળિયાત વર્ગ માટે ટિકિટ ફાળવવામાં આવે છે. પ્રથમ વખત ડોક્ટર મહિલા ડો. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. પહેલેથી જ સંઘનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર મહિલાની દાવેદારી હોય તેવી પ્રથમ વખત ઘટના બની છે. તેમના દાદા અને પપ્પા સંઘના પાયાના પથ્થર હતા. જેના સંસ્કારોનું સિંચન પરંપરા અને પ્રતિષ્ઠા જાળવી રાખનાર મનપાના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ ડોક્ટર છે, તેને ટિકિટ આપી નરેન્દ્ર મોદીએ સંઘની પરંપરા જાળવી રાખી છે અને સંબંધો ભૂલ્યા નથી. હવે પપ્પા અને દાદાજીના સંસ્કાર તેમને વિધાનસભા સુધી લઈ જશે.

રાજકોટ ગ્રામીણ: ભાનુબેન બાબરિયા
રાજકોટના ગ્રામ્યની વિધાનસભા બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય તથા રાજકોટના વોર્ડ નં. 1ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયાને ફરી એક વખત ટિકિટ આપી હતી. શિડ્યુલ કાસ્ટ માટેની આ અનામત બેઠકમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા લાખાભાઈ સાગઠિયાને ભાજપે ટિકિટ આપી હતી. રાજકોટ ગ્રામ્યની બેઠક પર અગાઉ ભાનુબેનના સસરા માધુભાઈ બાબરિયા 1998માં વિજેતા બન્યા હતા. હવે ફરી એક વખત બાબરિયા પરિવારમાં જ આ ટિકિટ ગઇ હતી. ભાનુબેને 2007 અને 2012માં આ બેઠક જીતી હતી, પરંતુ 2017માં લાખાભાઈ સાગઠિયાને આ બેઠકની ટિકિટ અપાઈ હતી અને ભાનુબેન રાજકોટ મ્યુનિ.ના વોર્ડ નં. 1ના કોર્પોરેટર બન્યાં હતાં. હવે ફરી એક વખત બાબરિયા પરિવારને જ આ ટિકિટ મળી હતી.

ગોંડલ: ગીતાબા જાડેજા
હાઇપ્રોફાઇલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠક પર રસાકસી બાદ ભાજપે હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાને જ રિપીટ કર્યા હતા. આ ટિકિટ માટે શરૂઆતથી જ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા ગ્રુપ તથા રીબડા ગ્રુપ વચ્ચે કાંટે કી ટક્કર જામી હતી. આખરે ગીતાબા જાડેજાના નામ પર ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે મહોર લગાવી હતી. આમ તો જયરાજસિંહ 2002 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં ગોંડલમાંથી વિજેતા થયા હતા, પરંતુ 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહ કાનૂની મુદ્દે ઘેરાતા તેમનાં પત્ની ગીતાબાને ટિકિટ ફાળવાઈ હતી. ગીતાબા આ ચૂંટણીમાં 15397 મતની લીડથી વિજેતા થયાં હતાં. જયરાજસિંહે આ વખતે પણ તેમનાં પત્ની ગીતાબા માટે ગોંડલમાંથી ભાજપની ટિકિટ માગી હતી જે મળી હતી.

નાંદોદ: ડો. દર્શનાબેન દેશમુખ
નાંદોદ વિધાનસભાના ઉમેદવાર ડો. દર્શનાબેન દેશમુખના પિતા ચંદુભાઈ દેશમુખ ભરૂચના સાંસદ તરીકે બે વખત રહી ચૂક્યા છે. તેમના નામની જાહેરાતની સાથે જ તેઓ ભાજપ તરફથી નાંદોદ બેઠકના સૌ પ્રથમ મહિલા ઉમેદવાર તરીકેની ઉપલબ્ધિ પણ મેળવી લીધી છે. નાંદોદ વિધાનસભા માટે ભાજપના ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખ વ્યવસાયે ગાયનેક ડોક્ટર છે અને તેઓ પૂર્વ સાંસદના પુત્રી હોવાથી તેઓ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવવાની સાથે સાથે લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન સહિત અન્ય 8 જેટલા હોદ્દાઓ ઉપર કામ કરી ચૂક્યાં છે. દર્શનાબેન દેશમુખના નામની જાહેરાતની સાથે જ તેઓના પ્રબળ પ્રતિસ્પર્ધી અને દાવેદાર પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા કપાઈ હતી.

લિંબાયત: સંગીતા પાટીલ
લિંબાયત વિધાનસભાના ઉમેદવાર સંગીતા પાટીલ ઘણાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે. તેઓ લિંબાયતના રહેવાસી હોવાથી આ વિસ્તારની અંદર મરાઠી સમાજમાં તેઓ પહેલાંથી જ ખૂબ સક્રિય હતાં. મહિલા મોરચામાં કામ કર્યા બાદ તેઓ એકાએક જ વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કરાયાં હતાં. છેલ્લા બે ટર્મથી તેઓ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને ત્રીજી વખત લિંબાયત વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. લિંબાયત વિધાનસભા બેઠકો પર પાટીલ મરાઠી સમાજનો દબદબો વધુ છે અને તેઓ સામાજિક રીતે અને રાજકીય રીતે પણ આ વિસ્તારની અંદર ખૂબ જ સક્રિય રહે છે.

કુતિયાણાઃ ઢેલીબેન ઓડેદારા
ઢેલીબેન પાંચ વર્ષ પહેલાં જ ભાજપમાં જોડાયાં છે. તેઓ પહેલાં કોંગ્રેસમાં હતાં. નગરપાલિકાના પ્રમુખ પદે ઢેલીબેન સત્તારૂઢ થયાં હતાં. તેઓ સળંગ 28 વર્ષનું રાજ કરીને ગુજરાતનો એક વિક્રમ પ્રસ્થાપિત કરી રહ્યાં છે. ભાજપના ઢેલીબેન માલદે ઓડેદરા પ્રમુખપદે રહીને એકહથ્થું શાસન ચલાવી રહ્યાં હતાં. છેલ્લે 1996માં અહીં ચૂંટણી થઈ હતી. ત્યાર બાદ પ્રથમ વખત ફેબ્રુઆરી 2018માં ચૂંટણી થઈ હતી. સૌથી મોટી બાબત એ છે કે મતદાન પૂરું થયું છે તેમ છતાં અહીં કોઈ ધમાલ થઈ નથી. મતગણતરીમાં પણ ક્યાંય ગેંગવોર થઈ નથી. આ વખતે ભાજપે વિધાનસભામાં ઢેલીબેનને કુતિયાણાની ટિકિટ આપી હતી.

ભાવનગર પૂર્વઃ સેજલબેન પંડ્યા
ભાવનગર પૂર્વ બેઠક માટે અનેકનાં નામ ચર્ચાઈ રહ્યાં હતાં. પ્રદેશ ભાજપાએ સેજલબેન પંડ્યાનું નામ જાહેર કર્યું હતું. સેજલબેન પંડ્યા, કે જેઓ ભાજપના કાર્યકર હોવાની સાથે સાથે ભાવનગર શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યાનાં પત્ની છે. ભાજપ વર્ષોથી આ પૂર્વ બેઠક પર સવર્ણ ઉમેદવાર અને તેમાં ખાસ બ્રહ્મ સમાજના ઉમેદવારને મેદાને ઉતારે છે. જ્યારે કોંગ્રેસે ગત વર્ષની માફક ફરી કોળી ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા.

જામનગર નોર્થઃ રીવાબા જાડેજા
રીવાબા ગુજરાતનાં રાજકોટનાં છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં હતાં. ભાજપમાં જોડાતાં પહેલાં રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયાં હતાં. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે. રીવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રીવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે, જ્યારે જામનગરમાં ઘર છે. જ્યારે રીવાબાએ ભાજપ જોઈન કર્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે રીવાબા ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવવું એક સારો ફાયદો થઈ શકે છે. રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નૈનાબહેન પણ રાજનીતિમાં છે. નૈતાબા જામનગરમાં મહિલા કોંગ્રેસ-અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યાં છે.

ભીખીબેન પરમાર ધોરણ 12 પાસ
ભીખીબેન પરમારે રજૂ કરેલ એફિડેટ મુજબ તેમની પાસે કુલ 1,20,25,790ની સ્થાવર તથા જંગમ મિલકત છે. તેઓ ધોરણ 12 પાસ છે. અને તેમની સામે એક પણ કેસ નોંધાયેલ નથી તથા તેમના પતિ ખેડૂત તથા નિવૃત્ત શિક્ષક છે. ભીખીબેન પરમાર, ચુનીભાઇ પટેલના બે ફોર્મ અન્ય ડમી ફોર્મ તથા અપક્ષ ફોર્મ ભરવામાં આવ્યાં હતાં.

ડૉ. પાયલબેન કુકરાણી
અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પરથી હાલના ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. તેના સ્થાને યુવા અને શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે સૈજપુર બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટરનાં પુત્રી ડો. પાયલ કુકરાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યાં હતાં. ડો. પાયલ કુકરાણીના પિતા વર્ષોથી ભાજપ સાથે અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. પિતા મનોજભાઈ નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અન્ય મુદ્દાઓ પર તેઓ રહી ચૂકેલાં છે. તેમના પરિવારમાં માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે. પરિવારમાં એક ભાઈ અને બહેન છે. ડો. પાયલ હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડોક્ટર છે.

કંચનબેન રાદડિયા
અમદાવાદની ઠક્કરબાપા નગર બેઠક પર ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર કંચનબેન રાદડિયાને ટિકિટ આપવામાં આવી હતી. 2017ના વિજેતા ઉમેદવારની ટિકિટ કાપી મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાકડિયા વલ્લભભઈએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બાબુભાઈ મંગુકિયાને 59.77 વોટના માર્જિનથી હરાવ્યા હતા. ઠક્કરબાપાનગર વિધાનસભા મત વિસ્તાર અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે.

દર્શનાબેન વાઘેલા
અમદાવાદ અસારવા બેઠક પરથી ભાજપ પૂર્વ મંત્રી પ્રદીપ પરમારની ટિકિટ કાપી પૂર્વ ડે મેયર દર્શના વાઘેલાને મેદાનમાં ઉતાર્યાં હતાં. દર્શનાબેન વાઘેલાને આ સીટ ટકાવી રાખવા એક મોટો પડકાર પણ હતો. અમદાવાદ શહેરની અસારવા બેઠક આમ તો ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી 2012 અને 2017માં ભાજપના પ્રદીપ પરમાર ચૂંટણી જીત્યા હતા, અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ બન્યા હતા. પણ સ્થાનિકોની અનેક ફરિયાદો અને વિકાસનાં કામો ન થતાં હોવાની રાવ બાદ તેમના સ્થાને ભાજપે મહિલા ઉમેદવાર દર્શના વાઘેલાની પસંદગી કરી હતી. આ વિધાનસભા બેઠક પર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની વસ્તી વધારે છે,

નિમિષાબેન સુથાર
નિમિષાબેન મનહરસિંહ સુથાર ગુજરાતના મોટા રાજકીય ચહેરાઓમાંથી એક છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અને દરેક ઉમેદવારે કમર કસી છે. ગુજરાતની મોરવાહડફ સીટ પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નિમિષાબેન મનહરસિંહ સુથારે જીત મેળવી હતી. નિમિષાબેન સુથારે ઇલેક્ટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ હાલ પંચમહાલ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. જ્યારે નિમિષાબેન સુથાર ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ છે.

મનીષા વકીલ
મનીષા વકીલનો જન્મ 25 માર્ચ 1975ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે M.A., B.Ed (અંગ્રેજી સાહિત્ય)નું શિક્ષણ મેળવ્યું છે. ઉપરાંત તેમણે વડોદરાની બ્રાઇટ ડે સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે પણ ફરજ બજાવી છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં શહેર વાડીની બેઠક પર તેઓ જીત્યા હતા. ઉપરાંત 2017માં ધારાસભ્ય તરીકે મનીષા વકીલ બન્યાં હતાં. ભાજપના સંનિષ્ઠ મહિલા કાર્યકર્તાઓની યાદીમાં મનીષા વકીલનો સમાવેશ થાય છે. વડોદરા અને મધ્ય ગુજરાતમાં પ્રતિનિધિત્વ આપવા તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ડો.રાજુલ દેસાઈ
ઉત્તર ગુજરાતની સૌથી મહત્ત્વની ગણાતી પાટણ બેઠક પર ભાજપે આયાતી ઉમેદવાર ડો.રાજુલ દેસાઈને ટિકિટ આપી છે. રાજુલ દેસાઈ રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય છે.. તેઓ લૉ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. પાટણ બેઠકનાં રાજકીય સમીકરણોની વાત કરીએ તો 2002માં ભાજપનાં આનંદીબેન ચૂંટણી જીત્યાં હતાં. આનંદીબેન માર્ગ મકાન અને શિક્ષણપ્રધાન બન્યાં હતાં. કોંગ્રેસના કાંતિ પટેલ 3,500 મતોથી હાર્યા હતા. 2007માં ભાજપના આનંદીબેન ફરી ચૂંટણી જીત્યાં હતાં. કોંગ્રેસના કાંતિ પટેલનો ફરી 6 હજાર મતોથી પરાજય થયો હતો. ફરી આનંદીબેનને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હતુ. તેઓ મહેસૂલપ્રધાન, શિક્ષણપ્રધાન, માર્ગ મકાનપ્રધાન બન્યાં હતાં. 2012માં ભાજપના રણછોડ દેસાઇની 5,782 મતોથી જીત થઇ હતી. 2017માં પાટીદાર ફેક્ટરની અસરથી કોંગ્રેસના કિરીટ પટેલ જીત્યા હતા. 2017માં ભાજપના રણછોડ દેસાઇની 35 હજાર મતોથી હાર થઇ હતી.

રીટાબેન પટેલ
મહાનગરના પૂર્વ મેયર રીટાબેન પટેલને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગર ઉત્તર બેઠકનું ગણિત ભાજપ પક્ષ માટે ગાંધીનગરની ઉત્તર બેઠક ખૂબ કપરી છે. વર્ષ 2017માં ભાજપ પક્ષ પાસેથી આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર ડો. સી. જે ચાવડાએ 5,000 જેટલા મતોના માર્જિનથી અહીં જીત હાંસલ કરી હતી. આ વખતે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો.

કરંજઃ ભારતી પ્રકાશ પટેલ
કરંજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભારતી પટેલ 2015માં કોંગ્રેસમાં જોડાયાં હતાં. ત્યારબાદ તેઓ સુરત શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકે હતાં. કોંગ્રેસમાં પીસીસીમાં મંત્રી તરીકે સંગઠનમાં કામ કરતાં હતાં. હાલ તેઓ સુરત શહેરના મહિલા મોરચાના પ્રમુખ છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ તેમની હાર થઈ હતી. કોંગ્રેસમાં મહિલા પાટીદાર ચહેરા તરીકે તેઓ ખૂબ જ સક્રિય હતાં. પાટીદાર વિસ્તારોની અંદર કોંગ્રેસ મહિલા સંગઠનને મજબૂત કરવામાં તેઓ સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યાં છે.

બારડોલીઃ પન્નાબેન પટેલ
બારડોલી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પન્ના પટેલ રાજકીય રીતે સક્રિય છે. તેઓ પોતે ગૃહિણી અને પશુપાલક છે. કડોદ જિલ્લા પંચાયતમાં 2021માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઊભાં રહ્યાં હતાં પરંતુ તેમની હાર થઈ હતી. તેમને ટિકિટ મળવા પાછળનું કારણ તેમના પતિ અનિલ પટેલ જે માજી ધારાસભ્ય છે. કોંગ્રેસમાંથી નારાજ થઈને ભાજપમાં ગયા હતા અને ત્યારબાદ ભાજપમાંથી ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. તેમના પતિ અનિલ પટેલ 2002થી 2007 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમજ સુરત જિલ્લા કોંગ્રેસમાં તેઓ તાલુકા પંચાયતથી લઈને સહકારી માળખામાં સક્રિય રહ્યા છે. માંડવી સુગર ફેક્ટરીના તેઓ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પન્ના પટેલ રાજકીય રીતે સક્રિય ન હોવા છતાં પણ સામાજિક રીતે સેવાકીય પ્રવૃત્તિમાં સક્રિય રહે છે. માત્ર પોતાનું પરિવાર કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય હોવાને કારણે તેમને આ ટિકિટ મળી છે.

મહુવાઃ હેમાંગિની ગરાસિયા
હેમાંગિની ગરાસિયા મહુવા બેઠક પરના કોંગ્રેસનો ઉમેદવાર છે. પોતે ઢોડિયા પટેલ સમાજનાં હોવાથી આ વિધાનસભા બેઠક ઉપર તેમનું વર્ચસ્વ છે. હેમાંગિની ગરાસિયાએ એલએલએમ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. હેમાંગિની ગરાસિયા કોંગ્રેસમાં અલગ અલગ પદ ઉપર રહી ચૂક્યાં છે. સુરત જિલ્લા કોંગ્રેસમાં તેઓ મહિલા પ્રમુખ તરીકે સંગઠનમાં કામ કરી ચૂક્યાં છે. હેમાંગિની ગરાસિયાને સ્થાનિક લોકોનો સહકાર ખૂબ સારી રીતે મળે છે. પોતાના વિધાનસભા મતવિસ્તારની અંદર તેઓ ગ્રાઉન્ડ ઉપર સતત લોકોના સંપર્કમાં રહેતાં હોવાને કારણે તેમની પકડ સારી છે.

લીંબડીઃ કલ્પના કરમસીભાઈ મકવાણા
કોંગ્રેસે લીંબડી-સાયલા બેઠક ઉપર કલ્પના મકવાણા અને ચોટીલા બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બંને ભાઈ-બહેન કોંગ્રેસના પીઢ નેતા કરમશીભાઈ મકવાણાનાં સંતાનો છે. પંથકમાં કદાવર કોળી નેતા અને ગાંધીવાદી છાપ ધરાવતા કરમશીભાઇ મકવાણા પરિવારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ કામ કર્યું. અનેક શાળાઓ ચલાવીને સેવાની સુવાસ ફેલાવી છે. જેને લઈ કોંગ્રેસે આ મુદ્દાને ધ્યાને લઇને પરિવારનાં ભાઈ-બહેનને ફરી મેદાને ઉતારીને ભાજપના કિરીટસિંહ રાણાને જોરદાર ટક્કર આપી છે. ચોટીલા-સાયલા વિસ્તારમાં કોંગ્રેસમાં પ્રભુત્વ ધરાવતા સ્વ. કરમશીભાઈ મકવાણાનાં સંતાનો ચૂંટણી લડી રહ્યાં છે. 2007માં ચોટીલા-વઢવાણમાં મહિલાને ટિકિટ આપીને ભાજપે રાજકીય સમીકરણો બદલ્યાં હતાં. પરંતુ કરમશીભાઈનાં દીકરી કલ્પનાબેન 26604 મતથી હારતાં ભાજપે બેઠક ગુમાવી હતી પરંતુ પેટાચૂંટણીમાં કલ્પનાબેનના ભાઈ મહેશભાઈને લડાવીને સીટ હાથવેંત કરી હતી.

કોળી અને મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ
કલ્પનાબેન ભાજપમાં રહીને 2010માં જિલ્લા પંચાયતની ડોળિયા બેઠક જીતીને ઉપપ્રમુખ બન્યાં હતાં. ત્યાર પછી ભાજપ સાથે છેડો ફાડીને કૉંગ્રેસમાં જોડાયાં અને 2015માં જિલ્લા પંચાયતના પ્રમુખ અને 2020માં વિરોધપક્ષના નેતા બન્યાં હતાં. સાયલાના તળપદા મતદારો પરની પકડને કારણે કૉંગ્રેસે તેમને ટિકિટ આપીને ભાજપના કિરીટસિંહ રાણાને કાંટાની ટક્કર આપી છે. કોંગ્રેસ આ બેઠક ઉપર કોળી જ્ઞાતિના ઉમેદવારને જ ટિકિટ આપતી આવી છે ત્યારે આ વખતે મહિલા ઉમેદવારનો પણ ફાયદો લેવા કલ્પનાબેનને ટિકિટ આપી છે. તેઓ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલાં છે અને અગાઉ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. કોળી અને મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે.

પારડીઃ જયશ્રી પટેલ
વલસાડ જિલ્લાની હાઈ પ્રોફાઇલ ગણાતી પારડી વિધાનસભા બેઠક ઉપર વલસાડ જિલ્લા મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ મહિલાસભ્ય જયશ્રી પટેલના નામની જાહેરાત કરી છે. જયશ્રી પટેલ આદિવાસી સમાજની હોવાની સાથે જિલ્લા કોંગ્રેસની મહિલા પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે. જયશ્રી પટેલની માતા સવિતાબેન પટેલ પણ પારડીના ધારાસભ્ય રહી ચૂક્યાં હોવાથી પારડીની પ્રજા તેમના ઉપર આશીર્વાદ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે ભાજપના નાણામંત્રીને જંગી લીડથી હરાવશે તેમ જયશ્રી પટેલે જણાવ્યું હતું.

ડેડિયાપાડાઃ જેરમાબેન વસાવા
ડેડિયાપાડાના કોંગ્રેસ ઉમેદવાર તરીકે જેરમાબેન વસાવાને ટિકિટ ફાળવી છે, આદિવાસી વિસ્તાર એવા ડેડિયાપાડામાં કોઈ મહિલા ઉમેદવારને કૉંગ્રેસ દ્વારા પોતાના વિધાનસભાના ઉમેદવાર બનાવાયા હોય એવો આ પ્રથમ જ બનાવ છે. જોકે આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવાનું પત્તું કપાયું છે. જેરમાબેન્ન વસાવા જોકે કોંગ્રેસના ડેડિયાપાડા ખાતેના સંનિષ્ઠ કાર્યકરો પૈકીના એક છે, લોકોમાં સારી એવી પકડ જમાવી છે, પરંતુ દાયકાઓથી કૉંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સત્તાથી દૂર છે છતાં પણ જૂથબંધી ચરમસીમાએ જોવા મળે છે. એક ઉમેદવારની પસંદગી થાય તો બીજો તેના મતો કાપતો હોવાની ફરિયાદો ભૂતકાળમાં ભારે ચર્ચાસ્પદ બની હતી, ઉમેદવારો હાર્યા પણ હતા અને ઉમેદવારોએ ફરિયાદો મોવડી મંડળ સુધી પણ પહોંચાડી હતી. એક કોંગ્રેસી નેતાએ તો પોતાના મત વિસ્તારને છોડી છેક ડેડિયાપાડા પહોંચી કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ અપક્ષ ઉમેદવારને ઊભો રાખવા પોતાનું પીઠબળ પૂરું પાડ્યું હતું, વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો જેની ફરિયાદ છેક દિલ્હી સુધી જ્યારે સ્વ. અહેમદ પટેલ જીવતા હતા ત્યારે તેમના સુધી પહોંચી હતી.

ગોંડલઃ નિમિષાબેન ખૂંટ
ગોંડલ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિમિષા ખૂંટ 2017માં પણ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યાં હતાં. ત્યારે તેઓને 2500 જેટલા જ મત મળ્યા હતા. આ વખતે ફરી તેમને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. નિમિષા ખૂંટ અપરિણીત છે અને તેમની ઉંમર 44 વર્ષ છે. તેમજ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમના પર એક પણ ક્રિમિનલ કેસ નોંધાયો નથી. પિતા ધીરજલાલ ખૂંટ સાથે રહે છે. નિમિષા ખૂંટે કોરોનાકાળ દરમિયાન અનેક સેવાકીય કામગીરી કરી છે.

માંડવીઃ સાયનાબેન ગામિત
સાયના ગામિત માંડવી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. સોનગઢ તાલુકાના કેલાઈ ગામના સરપંચ તરીકે હાલ સાયના ગામિત છે. તેમના પતિ રિટાયર્ડ આર્મી જવાન છે. સાયના ગામિત ગ્રેજ્યુએટ થયેલાં છે. પરિવારમાં કોઈ પણ પ્રકારનું રાજકીય બેકગ્રાઉન્ડ ન હોવા છતાં તેઓ સામાજિક સેવા કરીને રાજકારણમાં આવ્યાં છે. સરપંચ બન્યાં બાદ તેઓ પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. સાયના અને તેમના પતિ આદિવાસી વિસ્તારોની અંદર જે બાળકો પોલીસમાં કે આર્મીમાં ભરતી થવા માંગતા હોય તેમને ફિઝિકલ ટ્રેનિંગ આપવાની કામગીરી પણ કરે છે. જેને કારણે તેઓ આ વિસ્તારની અંદર જાણીતાં છે.

ઉનાઃ સેજલબેન ખૂંટ
ઉના વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર સેજલબેન ખૂંટ પોતે ગીરગઢડા તાલુકાના શાણાવાક્યા ગામનાં વતની છે. પોતે છેલ્લાં 15 વર્ષથી એજ્યુકેશન ક્ષેત્રે પ્રોફેસર તરીકે જોડાયેલાં છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી.

તળાજાઃ લાલુબેન ચૌહાણ
લાલુબેન નરશીભાઈ ચૌહાણ ભાવનગર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લામાંથી એકમાત્ર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. લાલુબેને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે અને કોળી સમાજના કન્યા છત્રાલયના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યાં છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે. કોળી સમાજમાં આગવું નામ ધરાવે છે, અને એક હાઉસવાઈફ છે.

ઝઘડિયાઃ ઉર્મિલા ભગત
ઝઘડિયામાં ઉર્મિલા ભગતને ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યાં છે. ઉર્મિલા ભગત 2 વર્ષથી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહ્યાં છે. આ સાથે હ્યુમન રાઈટ્સના સ્ટેટ મહિલા પ્રમુખ તરીકે પણ કામગીરી કરી રહ્યાં છે. ઉર્મિલાબેને BA, B. PED સુધીનો અભ્યાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...