વધુ એક બ્રિજ ધમધમતો:થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો 1500 મીટરનો એલિવેટેડ બ્રિજ શરૂ, નીતિન પટેલે ખુલ્લો મૂક્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થલતેજ અંડરપાસથી ગોતા સુધીના બ્રિજને ખુલ્લો મૂકાયો - Divya Bhaskar
થલતેજ અંડરપાસથી ગોતા સુધીના બ્રિજને ખુલ્લો મૂકાયો
  • થલતેજથી ગોતા સુધીના સમગ્ર બ્રિજનો કુલ ખર્ચ રૂ.325 કરોડ થવાનો અંદાજ

થલતેજ અંડરપાસથી શરૂ કરીને સોલા ઓવરબ્રિજ-રેલવે પૂલ સુધીના 1500 મીટરના 6 માર્ગીય ફ્લાયઓવર આજથી શરૂ કરાયો છે. ફ્લાયઓવરનું કામ પૂર્ણ થતાં વાહનચાલકોને સુવિધા મળી રહે તે હેતુથી આજથી આ ફ્લાયઓવર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો.

એલિવેટેડ બ્રિજનું નિર્માણ પૂરજોશમાં
અમદાવાદ શહેરના નાગરિકોની સુખાકારી માટે શહેરમાં સતત વિકાસની પ્રક્રિયા વેગવંતી ધોરણે કાર્યરત છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી કડીરૂપ સરખેજ ગાંધીનગર હાઇવે પર સતત વધી રહેલા વાહનવ્યવહારના કારણે અનેક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે થલતેજ અંડરપાસથી ગોતા સુધીનો 4200 મીટરનો કુલ 4.18 કિ.મી એલિવેટેડ બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

નીતિન પટેલે બ્રિજનું નિરિક્ષણ કર્યું હતું
નીતિન પટેલે બ્રિજનું નિરિક્ષણ કર્યું હતું

ઝાયડસ સર્કલ સુધી ખૂબ ટ્રાફિક રહે છે
" સરખેજ - ગાંધીનગર હાઇવે પર છ માર્ગીય રસ્તો ખુલતા નાગરિકોને અવરજવર કરવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામા સમય અને નાણાંની બચત થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, થલતેજ અંડરપાસથી પસાર થયા બાદ ઝાયડસ સર્કલ સુધી ખૂબ ટ્રાફિક રહેવા પામતો હતો, જેથી નાગરિકોની સુખાકારી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત નિર્ણય લઈને થલતેજથી ગોતા સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોર બનાવવાનુ કાર્ય ઝડપથી પૂર્ણતાના આરે છે.

લોકો 1.48 કિમી એકમાર્ગીય રોડનો ઉપયોગ કરી શકશે
આજે 1.48 કિમીનું એક માર્ગીય કાર્ય પૂર્ણ થતાં લોકો તેના પર વાહનવ્યવહાર કરી શકશે. થલતેજથી ગોતા સુધીના સમગ્ર બ્રિજનો કુલ ખર્ચ રૂ.325 કરોડ થવાનો અંદાજ છે, જેમાંથી આજે ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજનો ખર્ચ રૂ.51 કરોડ થયેલો છે. આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, માર્ગ અને મકાન વિભાગના પદાધિકારીઓ અધિકારીઓ, કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

ગત સોમવારે અમિત શાહે ત્રણ ઓવર બ્રિજ ખુલ્લા મૂક્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં 21 જૂને સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાય-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાય-ઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરખેજ- ગાંધીનગર હાઈવે પર હવે માત્ર ત્રણ જ બ્રિજના લોકાર્પણ બાકી રહ્યા છે. ઈન્ફોસિટી અને સરગાસણ બ્રિજનું કામ હવે પૂર્ણતાના આરે છે.

નીતિન પટેલે બ્રિજ નિર્માણને લઈને હાજર લોકો સાથે ચર્ચા કરી
નીતિન પટેલે બ્રિજ નિર્માણને લઈને હાજર લોકો સાથે ચર્ચા કરી

પહેલા પણ શાહે જ લોકાર્પણ કર્યા હતા
30 નવેમ્બર 2020ના રોજ 36 કરોડના ખર્ચે તૈયાર થયેલા સિંધુભવન ચાર રસ્તા અને 35 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાણંદ ચાર રસ્તા પરના ફ્લાય-ઓવરના લોકાર્પણ પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યાં હતાં. જ્યારે 17 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉવારસદ વાળા ફ્લાય-ઓવરને ફેબ્રૃઆરી 2020માં વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા વૈષ્ણોદેવી અને ખોડિયાર વચ્ચેના બ્રિજનું ઉદઘાટન પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. હવે સરગાસણ અને ઈન્ફોસિટી બ્રિજનું કામ બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. હાલમાં ઝાયડસથી સોલા વચ્ચેના બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે.

દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે
વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફ્લાય-ઓવર માટે ફાળવણી થઈ હતી. વર્ષ 2020માં કામગીરી પૂરી કરવા માટે મર્યાદિત સમય હતો. નવેમ્બર 2020માં 6 પૈકી 2 ફ્લાય-ઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર-અમદાવાદને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આજથી શરૂ થયો છે, જેથી દૈનિક 1 લાખ વાહનચાલકોને ફાયદો થશે.

21 જૂને ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણૌદેવી બ્રિજનું લોકાર્પણ કર્યું હતું
21 જૂને ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણૌદેવી બ્રિજનું લોકાર્પણ કર્યું હતું

હવે 45 નહીં, માત્ર 20થી 25 મિનિટમાં અમદાવાદથી ગાંધીનગર
અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 6 પૈકી 4 ફ્લાય-ઓવર હવે બનીને તૈયાર થઈ ગયા છે. અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે. ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો એસજી હાઈવેનો ઉપયોગ કરે છે, ત્યારે આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી એના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાંથી ઘણા બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં તેમને જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે.

10 જંકશન ઉપર ફ્લાય-ઓવર બનાવવાના પ્રોજેક્ટ
રાષ્ટ્રીય ધોરી માર્ગ-147 સરખેજ-ગાંધીનગર-ચિલોડા (એસ.જી. હાઇવે) રોડના નવિનીકરણની કામગીરીને કુલ ચાર પેકેજમાં વહેંચવામાં આવી છે, જેમાં મુખ્ય માર્ગને ચાર લેનમાંથી છ લેનમાં પહોળા કરવા અને નવા સર્વિસ રોડ બનાવવા ઉપરાંત 10 જંકશન ઉપર ફ્લાય-ઓવર બનાવવાના પ્રોજેક્ટ છે. કુલ 10 જંકશનમાં ઘ-0 (ઇન્ફોસિટી જંક્શન), ખ-0 (સરગાસણ જંક્શન), ઉવારસદ જંક્શન, ખોડિયાર કન્ટેનર યાર્ડ પાસે પુલ, ખોડિયાર રેલવે પુલ, વૈષ્ણોદેવી જંક્શન, સોલા ભાગવત જંક્શનથી ઝાયડસ જંક્શન સુધીનો સોલા રેલવે ઓવર બ્રિજના વાઇડનિંગ સહિતનો 4.18 કિમીનો એલિવેટેડ કોરિડોર, સિંધુભવન ચાર રસ્તા, સાણંદ જંક્શન અને ઉજાલા જંક્શન એમ મળી કુલ 10 ફ્લાય-ઓવરની કામગીરીનો સમાવેશ થાય છે.

એલિવેટેડ કોરિડોર લોકાર્પણ પ્રસંગે ધારસભ્ય સહિતના જોડાયા
એલિવેટેડ કોરિડોર લોકાર્પણ પ્રસંગે ધારસભ્ય સહિતના જોડાયા