અમદાવાદ અને બોટાદ જિલ્લાની હદમાં ઝેરી દારૂ પીધા બાદ અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકોએ આંખો ગુમાવી, લિવર સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં 50થી વધુ લોકોના જીવ ગયા છે ત્યારે અનેક લોકો હજુ પણ સારવારમાં છે. રાજ્ય સરકારે મામલો થાળે પાડવા માટે બે જિલ્લા એસપીની બદલી કરી દીધી હતી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
ગૃહ વિભાગે એસપી નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે
આમ સરકારના ગૃહ વિભાગે લોકોને બતાવવા કાર્યવાહી તો કરી પરંતુ ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે એસપી નિર્લિપ્ત રાયને તપાસ સોંપી હતી. આમ એસપીએ તપાસ હાથ ધરતાં જિલ્લામાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારી પોલીસ પણ અવઢવમાં મૂકાઇ ગઇ હતી. તપાસ ટીમે 17 લોકોના જજ સમક્ષ 164 મુજબના નિવેદન લીધા હતા અને મુખ્ય આરોપી જયેશ ઉર્ફે રાજુની કબૂલાત પણ જજ સમક્ષ લીધી હતી.
શંકાસ્પદ કામ કરનારની પોલીસે યાદી બનાવી
આ કેસમાં ભોગ બનનારને તપાસ ટીમ મળી હતી અને તેમના નિવેદનો સાથે તેમની તમામ રજૂઆત પણ સાંભળી હતી. જિલ્લામાં શંકાસ્પદ કામ કરનાર પોલીસની એક યાદી બનાવી છે અને તે ક્યા અધિકારીના નજીક છે તે અંગે પણ રિપોર્ટ સરકારમાં કરવાની તૈયારી કરાઇ હોવાની ચર્ચા છે.
17 આરોપીને તાજના સાક્ષી બનાવાયા
લઠ્ઠાકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી, અન્ય આરોપીઓના સીઆરપીસી કલમ 164 મુજબ નિવેદન નોંધવાની કાર્યવાહી ધંધુકા કોર્ટે હાથ ધરી છે. સોમવારે 17 આરોપીએ નિવેદનો આપ્યા હતા. કલમ 164 મુજબ કોર્ટ સમક્ષનું નિવેદન મહત્વનું છે. કેસની ટ્રાયલ સમયે જો આરોપી હોસ્ટાઈલ થાય તો તેમની વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરી શકે છે.
ઈન્ચાર્જ કમિશનરે કહ્યું, ‘મુજે અમદાબાદમેં દારૂ નહીં ચાહીયે’
શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 19 દિવસ માટે અમેરિકા ગયા હોવાથી પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંયુકત પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી પાસે છે. પોલીસ કમિશનર તરીકનો ચાર્જ સંભાળ્યો તેના પહેલા જ દિવસે અજયકુમાર ચૌધરીએ સોમવારે શહેરના તમામ પીઆઈ થી માંડીને ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું, ‘મુજે એમદાબાદ મેં દારુ નહીં ચાહીએ. તેમ કહીને તમામ અધિકારીઓને દારુ અને ડ્રગ્સના કારોબાદ બંધ કરાવી દેવા કડક સૂચના આપીહતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.