યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ લોકહિતમાં જાહેરાત કરી છે કે હવે આધાર કાર્ડમાં સરનામું, નામ, નંબર ચેન્જ કરવા માટે કોઈ ફી ભરવાની નહીં રહે. લોકો વિનામુલ્યે આ તમામ પ્રકિયા કરી શકશે. આનાથી કરોડો લોકોને ફાયદો થશે. દેશમાં 134 કરોડ લોકો પાસે આધારકાર્ડ છે. ત્રણ મહિના એટલે 14 જૂન સુધી આધારકાર્ડ અપડેટ કરી શકાશે. જો કે ઓફલાઈન સેન્ટરમાં જઈને અપડેટ કરાવો તો 50 રૂપિયા ચાર્જ આપવા પડશે.
ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા લોકોને આ રાહત આપવામાં આવી છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ ફ્રી સર્વિસ ત્રણ મહિના માટે જ અવેલેબલ છે. 15 માર્ચથી 14 જૂન, 2023 સુધી આધાર અપડેશન માટે કોઈ ફી લેવામાં નહીં આવે. અત્યાર સુધી 50 રૂપિયા ફી લેવામાં આવતી હતી. આ ફ્રી સર્વિસ માત્ર ને માત્ર આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. હા, જો તમારે ઇમરજન્સી છે અને આધાર સેન્ટરમાં રૂબરૂ જઈને અપડેટ કરાવવું છે તો 50 રૂપિયા ફી આપવી પડશે. માત્ર ઓનલાઈન સેવા માટે જ ફ્રી કરવામાં આવ્યું છે. UIDAIએ એવી પણ જાહેરાત કરી છે કે જો આધાર કાર્ડ 10 વર્ષ પહેલાં ઇશ્યૂ થયું હોય અને અપડેટ કરવાનું હોય તો ઓળખ પત્ર અને સરનામાનો પુરાવો નવેસરથી અપલોડ કરવો પડશે અને તેનું ઓથેન્ટિકેશન થયા પછી જ આધારકાર્ડમાં સુધારા થશે.
લોકો ઓનલાઇન અપડેટ કરવા માટે https://myaadhar.uidai.gov.in/ વેબસાઇટ પર લોગઇન કરી શકશે અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મોબાઇલ પર આવ્યા બાદ તે એન્ટર કર્યા પછી જ લોગઇન થશે. આધાર પોર્ટલમાં લોગઇન થયા બાદ 'ડોક્યુમેન્ટ અપડેટ' નામનું સેક્શન આવશે તેના પર ક્લિક કરવાનું. તેમાં તમારે શું અપડેટ કરવાનું છે તે પૂછશે. એક પછી એક વિગત ભરીને આગળની લિન્ક ક્લિક કરતા જવાની અને અંતમાં ડોક્યુમેન્ટ્સ એટેચ કરવા માટેનું બોક્સ ખુલશે. તેમાંથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. UIDAI વેબસાઈટ પર આ ડોક્યુમેન્ટ્સ અપડેટ થયા પછી તમારી રિક્વેસ્ટ સ્વિકારાઈ જશે. થોડા દિવસો બાદ જો વેરિફિકેશન થયું હશે તો આધારમાં નામ, સરનામું અપડેટ થઈ ગયા હશે.
દરેક ભારતીયો માટે આધાર કાર્ડ ફરજિયાત છે અને મહત્વનો પુરાવો છે. ભારત સરકારની અને રાજ્ય સરકારની 1200 જેટલી યોજનાઓનો લાભ તો જ મળી શકે છે જો આધાર કાર્ડ હશે. બેન્કમાંથી લોન લેવી હોય, બેન્કમાં એકાઉન્ટ ખોલાવવું હોય, અધિકારિક રીતે ક્યાંય પણ નાણાંકીય વ્યવહાર કરવો હોય તો આધાર કાર્ડની જરૂર પડે છે.
આવો...જાણીએ સમગ્ર પ્રોસેસ
દેશમાં 134 કરોડ લોકો પાસે આધારકાર્ડ
આ વર્ષ જુલાઈ મહિનાના અંતર સુધીમાં 134 કરોડથી વધારે લોકોના આધારકાર્ડ બની ચુક્યા છે. મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 90% નાગરિકોના આધારકાર્ડ બની ચુક્યા છે.
આઈટી મંત્રાલયના જણાવ્યાં અનુસાર, જુલાઈ 2022માં જ 1.47 કરોડ લોકોએ પોતાનું આધારકાર્ડ અપડેટ કર્યું છે. આ માટે લોકોએ આધાર સેન્ટર અને ઓનલાઇન આધાર અપડેટ પોર્ટલની મદદ લીધી છે. અત્યાર સુધીમાં એટલે કે જુલાઈના અંત સુધીમાં કુલ 63.55 કરોડ લોકોએ તેમના આધાર કાર્ડની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક વિગતો અપડેટ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.