રાજ્યમાં હેલ્મેટને લઈની કડક કાયદા તેમજ દંડ હોવા છતાં હજુ પણ ચાલકો બેદરકારીપૂર્વક વાહન હંકાવતા જોવા મળે છે. ગત વર્ષે રાજ્યભરમાંથી હેલ્મેટના નિયમનો ભંગ કરનાર કુલ 6.23 લાખ ચાલકો પાસેથી 18.46 કરોડનો દંડ વસૂલાયો છે. જેમા સૌથી વધુ અમદાવાદમાંથી 1.58 લાખ ચાલકો હેલ્મેટ વગર ઝડપાયા હતા. જેઓની પાસેથી કુલ 8 કરોડની આસપાસનો દંડ વસૂલાયો છે. ચાલકો હેલ્મેટ ફરજિયાત પહેલે તે માટે દંડની રકમ પણ રૂપિયા 1000 કરી છે છતાં બેફામ ચાલકો હેલ્મેટ વગર ત્રણ સવારી ટુવ્હીલર લઈને ફૂલ સ્પીડમાં હંકાવતા જોવા મળે છે.
રાજ્યમાં ગત એક વર્ષમાં પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર 6,23,145 વાહનચાલકો પાસેથી 18.46 કરોડનો દંડ વસૂલ્યો છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2020માં 67 દિવસનું ચૂસ્ત લોકડાઉન હતું અને તે પછી પણ અનલોકમાં અનેક નિયંત્રણ હોવા છતાં આ વર્ષમાં આટલો જંગી દંડ વસૂલાયો છે. વિધાનસભામાં કોંગ્રેસના મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજિતસિંહ પરમારે પુછેલા પ્રશ્નના જવાબમા સરકારે આ માહિતી રજૂ કરી હતી. 24 ડિસેમ્બર 2019થી 23 ડિસેમ્બર 2020 સુધીમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1.58 લાખ વાહનચાલકો પાસેથી 7.92 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
એક વર્ષમાં 4 શહેરોમાં કેટલો દંડ વસૂલાયો?
શહેર | ચાલકો | દંડ |
અમદાવાદ | 1,58,636 | 7,92,56,500 |
સુરત | 33,168 | 1,71,79,650 |
વડોદરા | 5,198 | 25,99,000 |
રાજકોટ | 1,74,733 | 22,36,000 |
2019માં 6.29 લાખ કેસમાં 7.24 કરોડનો દંડ વસૂલાયો
શહેર ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે નવા મોટર વિહિકલ એક્ટ અમલી થયાં બાદ 2019માં અમદાવાદ શહેરમાં 2019માં હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારતા ચાલકો પાસેથી 6.29 લાખ કેસ નોંધીને 7.24 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જે 2019માં કુલ 23.15 કરોડ રૂપિયાના દંડ પેટે વસૂલ કરાયેલી 31 ટકા જેટલી રકમ હતી.
2018 કરતાં 2019માં ટ્રાફિક ભંગના કેસમાં વધારો થયો
શહેર ટ્રાફિક પોલીસનું કહેવું છે કે જ્યારથી નવો મોટર વિહિકલ એક્ટ અમલી બન્યો ત્યારથી ટ્રાફિક ભંગના કેસમાં વધારો થયો છે. પોલીસનું કહેવું છે કે 2018 કરતાં 2019ના વર્ષમાં વધારે ટ્રાફિક ભંગના કેસ નોંધાયા છે. 2018માં હેલ્મેટ માટેનો દંડ 100 રૂપિયા હતો જે નવા કાયદા બાદ 500 કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે હેલ્મેટ નહીં પહેરનારા 6.55 લાખ કેસ નોંધીને 6.55 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કર્યાં હતાં.
લોકો અનેક બહાના બનાવે છે
પોલીસનું કહેવું છે કે 2 વિહિકલના ડ્રાઈવિંગ દરમિયાન લોકો હેલ્મેટ નથી પહેરતાં અને અનેક પ્રકારની બહાનાબાજી કરે છે. લોકોનું કહેવું છે કે માસ્ક પહેરવાથી ગૂંગળામણ થાય છે, હેલ્મેટ પહેરવાથી હેડેકનો પ્રોબ્લેમ થાય છે પરંતુ તેઓ નથી સમજતા કે અકસ્માત દરમિયાન હેલ્મેટ જ તેમનો જીવ બચાવે છે.
માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા
સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને હવે બાઈક ચલાવવાના નિયમમાં તાજેતરમાં મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે. સરકારે બાઈક રાઈડર્સને માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેએ એક ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. બાઈકચાલકની સાથોસાથ પાછળ બેસનારી કેટલીક વ્યકિત માટે પણ નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાના પગલાને ધ્યાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો એનું પાલન નહીં થાય તો ચલણ કપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.