મણિનગરમાં રહેતા ત્રણ સગીર મિત્રો ઘરે કોઈને જાણ કર્યા વગર બાઈક લઈને રિવરફ્રન્ટ બેસવા ગયા હતા, બાદમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે શાહીબાગ ડફનાળા રિવરફ્રન્ટ ટર્નિગ પાસે તેમનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. જેમાં ત્રણેય મિત્રો પટકાઈ પડ્યા હતા.
તેમાંથી એક સગીરને ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું જ્યારે અન્ય બે સગીરને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મેઘાણીનગરની જય અંબે સોસાયટીમાં રહેતા ભાનુપ્રતાપસિંહ રાજપૂત નોકરી પર હાજર હતા ત્યારે તેમની માતાનો ફોન આવ્યો હતો કે, તારા ભાઈ ધર્મેન્દ્રનો અકસ્માત થયો છે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે, જેથી ભાનુપ્રતાપસિંહ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી ધર્મેન્દ્રની પૂછપરછ કરી ત્યારે જણાવ્યું હતું કે, ધરે કોઈ ન હોવાથી બાઈક લઈને 12 વર્ષીય નિખીલ અને 15 વર્ષીય શાહીલ પટેલ સાથે સવારના સમયે રિવરફ્રન્ટ ખાતે બેસમાં માટે ગયા હતા.
બાદમાં જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે શાહીલ બાઈક ચલાવી રહ્યો હતો. શાહીબાગ ડફનાળા નજીક આવેલી બુદ્ધ ભગવાનની પ્રતિમા પાસેના ટર્નિગ પર અચાનક તેમનું બાઈક સ્લિપ થઈ ગયુ હતુ, જેથી ત્રણેય પટકાઈ પડ્યા હતા. અકસ્માતમાં નિખીલ અને ધર્મેન્દ્રને મોઢા અને છાતીના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે શાહીલ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ એકઠાં થયેલા રાહદારીઓએ ઈજાગ્રસ્ત ત્રણેય સગીરોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ડોક્ટરે સાહીલ પટેલને મૃત જાહેર કર્યો હતો. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.