ભગવાન જગન્નાથની ઐતિહાસિક 144મી રથયાત્રા સોમવારે પરંપરાગત રીતે કર્ફ્યૂ વચ્ચે નીકળશે. રથયાત્રા પહેલાં આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં છે. નિજ મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિની શરૂઆત કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ વિધિમાં ભાગ લીધો હતો. વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. મંદિરમાં સાધુ સંતોના ભંડારાની પણ શરુઆત થઈ ગઈ છે. જેમાં મંદિરમાં દર્શન કરવા આવેલા લોકો પણ પ્રસાદી લેવા માટે પંગતમાં બેઠા છે.
જય રણછોડ માખણ ચોર,મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જગન્નાથ મંદિરમાં સાધુ સંતોનો ભંડારો શરૂ થયો હતો. દર્શન કરવા આવેલા લોકોએ પણ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લીધો હતો.ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ સાધુ સંતોને ધોતી અર્પણ કરી હતી.
જગન્નાથ મંદિરમાં જય રણછોડ માખણચોરના નાદ સાથે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મોસાળથી પરત ફરેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની નિજ મંદિરમાં 14 દિવસ બાદ પ્રથમ વખત આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ત્રણેય ભાઈ બહેનની આંખે પાટા બાંધવામાં આવ્યાં હતાં. આ પાટાને આવતી કાલે સવારે ખોલવામાં આવશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના ભાજપના પદાધિકારીઓ ભગવાન જગન્નાથની નેત્રોરોત્સવવિધિ અને ધ્વજારોહણની પૂજાવિધિ કરી રહ્યા છે. આ વિધિમાં યજમાનો ઉપરાંત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે આ પૂજામાં ભાગ લીધો છે. ભગવાન આજે નિજમંદિર પરત ફરતાં વહેલી સવારથી મંદિરમાં ભકતો ભગવાનનાં દર્શન માટે ઊમટી પડ્યા છે.
આજે મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાશે
આજે ભગવાન જગન્નાથ નિજમંદિર પરત ફરતાં ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળી રહ્યો છે. આજે મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાવાનો છે. 1000 જેટલા લોકોનો ભંડારો આજે યોજવામાં આવ્યો છે. વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવે છે. સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામા આવ્યો છે. ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવી રહ્યાં છે. આજે 1000થી વધુ સાધુ-સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લેશે. ઉપરાંત કેટલાક મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે
કોરોનાકાળમાં પહેલીવાર નાથ નગરચર્યા કરશે
અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની બીજી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે. ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા, પરંતુ આ વર્ષે કોરોના કેસની સંખ્યા ઓછી હોવાને કારણે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. જે રૂટ પરથી રથ નીકળશે એ તમામ રૂટ પર કર્ફ્યૂ લાદવામાં આવશે. માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજમંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે. ભગવાનની રથયાત્રાનો પ્રસાદ ગુરુપૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે.
12 વાગ્યા સુધીમાં રથ નિજમંદિર પરત ફરશે
જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની મૂર્તિ સાથે અલગ અલગ ત્રણ રથ સાથેની યાત્રા સવારે 7 વાગ્યે જગન્નાથ મંદિરથી પરંપરાગત રૂટ ઉપરથી નીકળી નિયત રૂટ પર મ્યુનિસિપલ કોઠા, રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર પહોંચશે અને ત્યાં થોડા વિરામ બાદ પરત કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આર.સી. હાઈસ્કૂલ, પીઠડિયા બંબા, પાનકોરનાકા, માણેકચોક થઈ લગભગ બપોરે 12 કલાક સુધીમાં નિજમંદિરે પરત ફરશે.
ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો પ્રસાદ વહેંચાશે
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલગ રીતે યોજાશે. મંદિર તરફથી અપીલ છે કે લોકો ઘરમાં બેસી રથયાત્રાનો લાભ લે. રથ નિયત કરેલા સમયમાં પરત આવશે. રસ્તામાં કોઈપણ પ્રસાદની વહેંચણી કરવામાં આવશે નહીં. રથ નિજમંદિર પરત ફરશે. ત્યાર બાદ મંદિરમાં મગ, જાંબુ, ખીચડાનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ભગવાન રથમાં પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.
રથયાત્રા માટે શાંતિ અને સલામતીનાં જરૂરી પગલાં લેવાયાં
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ચોક્કસ માર્ગદર્શિકા મુજબ રથયાત્રા યોજવાનું નક્કી કર્યું છે. આ રથયાત્રા ગુજરાત જ નહીં, દેશ આખા માટે આસ્થાનો વિષય છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ રથયાત્રા દરમિયાન શાંતિ, સલામતી અને સુરક્ષાનાં તમામ જરૂરી તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.