લોક અને અનલોક:શિક્ષણથી લઈ લગ્નો સુધીની લેટેસ્ટ ગાઈડલાઈન શું છે, જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં શું ખુલ્યું અને શું નહીં

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ખુલ્લા મેદાનમાં ગમે એટલા લોકોને એકઠા થવાની છૂટ છે, પણ લગ્નમાં 100 મહેમાનોની જ છૂટ
  • કોલેજના પહેલા અને બીજા વર્ષના વર્ગો પણ શરૂ કરવાની તૈયારીઓ

હાલ દેશ અને ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી ગયું છે. જેને પગલે ધીમે ધીમે પ્રતિબંધો પણ દૂર કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં ધોરણ 9થી 12ની સ્કૂલો અને યુજી-પીજીના ફાઈનલ યરના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોલેજના પહેલા અને બીજા વર્ષના વર્ગો પણ શરૂ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો કે મોટાભાગના ક્ષેત્રો અનલોક કરવામાં આવ્યા હોવા છતાં હજુ ધોરણ 1થી 8ના વર્ગો અને કોર્ટો ફિઝિકલી શરૂ થયા નથી. માત્ર એટલું જ નહીં, ખુલ્લા મેદાનમાં ગમે એટલા લોકોને એકઠા થવાની છૂટ છે, પરંતુ લગ્નમાં 100 મહેમાનો અને અંતિમવિધિમાં 50 લોકોની જ હાજરીને મંજૂરી આપવામાં આવે છે.

રાજ્યમાં આ બાબતો પ્રતિબંધિત અથવા હળવી છૂટ

  • જિલ્લો કોર્ટો હજુ પણ ફિઝિકલી બંધ રાખવામાં આવી છે
  • ધોરણ 1થી 8ની સ્કૂલો અને પહેલા તથા બીજા વર્ષની કોલેજો બંધ
  • ધો.9થી 12ના ટ્યૂશન અને સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસિસ સિવાયના તમામ ક્લાસિસ બંધ
  • લગ્નમાં 100થી વધુ મહેમાનો બોલાવવા પર પ્રતિબંધ
  • અંતિમવિધિમાં માત્ર 50 લોકોને જ સામેલ થવાની છૂટ
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 1 જાન્યુઆરી 2021થી 31 જાન્યુઆરી 2021 સુધી લોકડાઉન

લગ્ન કરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત
કોરોના મહામારીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાતમાં યોજાનારા આગામી લગ્ન પ્રસંગો મામલે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત કર્યું છે. લગ્ન સમારોહ યોજવા માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in)પર એક્ટિવ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડે છે.

ધો.9થી 12ની સ્કૂલો, ટ્યૂશન અને કોચિંગ ક્લાસિસ ખોલવાની છૂટ આપી
2020ના વર્ષમાં કોરોનાની મહામારીને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય એ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ​​​​​​ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂરી થયા બાદ ધોરણ 9થી 11ની સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ ક્લાસિસ પણ પૂન: શરૂ કરી શકાશે.

ઓક્ટોબરમાં સિનેમાઘરો અને શૂટિંગને છૂટ આપી
કોરોના મહામારીને કારણે 7 મહિના સુધી બંધ રહ્યા બાદ 15 ઓક્ટોબરથી સિનેમાઘરોને ખોલવાની છૂટ આપી હતી. જો કે શરૂઆતમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મોટાભાગના મલ્ટીપ્લેક્સિસ બંધ રહ્યાં હતા. જ્યારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ફિલ્મોના શૂટિંગને પણ મંજૂરી આપી દેવામાં આવી હતી.

અનલોક-1માં કઈ કઈ છૂટ મળી હતી

  • સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ
  • રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો
  • અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે ST બસ સેવા શરૂ થઈ
  • તમામ દુકાનો ખોલવા માટે મંજૂરી આપી
  • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ થઈ
  • મોલ, હોટેલ, રેસ્ટોરાં ખોલવાની છૂટ આપી
  • AMTS સહિત સમગ્ર રાજ્યમાં 50 ટકા સિટિંગ સાથે સિટી બસ સેવા ચાલુ કરી
  • ટુ-વ્હીલર પર બે વ્યક્તિને બેસીને જવાની છૂટ આપી
  • ફોર વ્હીલરમાં 1+2 અને મોટી ફોર વ્હીલરમાં 1+3નો નિયમ યથાવત રાખ્યો હતો
  • કન્ટેઇન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર રાજ્યમાં ફુલ સ્ટાફ સાથે બેન્ક પણ ચાલુ કરી
  • સચિવાલય અને સરકારી કચેરીઓ સંપૂર્ણપણે શરૂ કર્યા

અનલોક-2માં આ છૂટ આપી હતી

  • અનલોક 2માં કર્ફયુમાં એક કલાકની રાહત આપી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવ્યો હતો. જેનો અનલોક 3માં સંપૂર્ણ અંત આવી ગયો છે.
  • દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો
  • હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપી હતી

અનલોક-3માં કઈ કઈ છૂટ આપી

  • 1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યુમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપી(23 નવેમ્બરે 4 શહેરમાં ફરી રાત્રિ કર્ફ્યૂ લગાવ્યો)
  • દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખવા છૂટ
  • 5 ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટર ખોલવા છૂટ આપી

અનલોક-4માં મળેલી છૂટ

  • 21 સપ્ટે.થી ઓપન એર થિયેટર ખુલ્યા
  • રેસ્ટોરાં 11 વાગ્યા સુધી ખુલી રાખવા છૂટ આપી
  • હોટેલ પાર્સલ સેવામાં સમય મર્યાદા હટાવી
  • દુકાનો ખુલ્લી રાખવા પરની સમય મર્યાદા દૂર કરી
  • 21 સપ્ટેમ્બરથી ધાર્મિક-રાજકીય કાર્યક્રમોમાં 100 લોકો સામેલ થવા પર છૂટ આપી
  • 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ ખોલી
  • એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી આપી
  • પબ્લિક ગાર્ડન અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખવા મંજૂરી આપી