કોરોના સામે જનજાગૃતિ:અમદાવાદના ઇકબાલભાઇએ કોરોના સામે સતર્કતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈકબાલભાઈ - Divya Bhaskar
ઈકબાલભાઈ
  • વડાપ્રધાન મોદી પણ ઈકબાલભાઈની રાખડી બનાવવાની કળાથી આકર્ષિત થયાં છે.
  • અમદાવાદના ત્રણદરવાજા વિસ્તારના ઇકબાલભાઇ કોમી એખલાસનું પ્રતિક.

કોરોનાકાળમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે કોઇ પણ ભાઇ-બહેન કોરોના સામેના રક્ષણની જ ઝંખના રાખતી હોય તે સ્વભાવિક છે.ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇ કોરોનાથી સુરક્ષિત રહે બહેનને પણ કોરોના નામનો રાક્ષસ હાનિ ન પહોંચાડે તે માટે ભાઇ-બહેન પરસ્પર એક બીજા માટે આ પર્વના દિવસે પ્રાર્થના પણ કરશે. દેશભરમાં કરોડો લોકો રક્ષાબંધનનું પર્વ ઉજવે છે ત્યારે આ તહેવારના માધ્યમથી પણ લોકોમાં કોરોના સામેની સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય, સજાગતા કેળવાય તે માટે અમદાવાદના ઇકબાલભાઇ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.

ઈકબાલભાઈની રાખડી કલાથી સૌ કોઈ આકર્ષિત થાય છે
ઈકબાલભાઈની રાખડી કલાથી સૌ કોઈ આકર્ષિત થાય છે

જનજાગૃતિ લાવવાનો નાનો પ્રયાસ
ઇકબાલભાઇએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે. ઇકબાલભાઇ કહે છે કે “રાજ્યભર અને દેશભરમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી થાય છે. આ વર્ષે કોરોનાકાળ વચ્ચે જ્યારે રક્ષા બંધનનો તહેવાર ઉજવવાનો હોય ત્યારે બજારમાં અન્ય રાખડીઓની સાથે કોરોનાના સંદેશા આપતી રાખડી ઉપલ્બધ કરાવીને એક જનજાગૃતિ લાવવાનો નાનો પ્રયાસ છે. બજારમાં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહી છે.

તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈકબાલભાઈ
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈકબાલભાઈ

કોરોનાની સંદેશાયુક્ત રાખડી બનાવવામાં આવી છે
બહેન દ્વારા ભાઇના કાંડા પર રાખડી બાંધતી વખતે તેના દ્વારા ભીડ-ભાડ વાળી જગ્યાઓએ બિનજરૂરી જવાનું ટાળવું, જાહેર સ્થળોએ માસ્ક પહેરીને સ્વ રક્ષણની સાથે અન્યોનું પણ રક્ષણ કરવું તેવું વચન લેવામાં આવે તેવા પવિત્ર આશય સાથે મેં લાગણીઓથી રાખડીઓ તૈયાર કરી છે એમ તેમણે ઉમેર્યુ હતુ. કોરોના સામેની સતર્કતા રાખવા નાગરિકો વેક્સિનેસન પણ જરૂરથી કરાવે તે માટેના સંદેશાયુક્ત રાખડી પણ બનાવવામાં આવી છે.કોરોના સામેની સુરક્ષાની સાથે સાથે અન્ય સલામતીના સંદેશ ભરી રાખડીઓ પણ ઇકબાલભાઇ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો, તમાકુનુ વ્યસન છોડો,કેન્સર સામે રક્ષણ જેવા વિષય પર સંદેશા આપતી રાખડીઓનો પણ સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ઈકબાલભાઈ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ઈકબાલભાઈ

વડાપ્રધાને પણ ઈકબાલભાઈની કળાની પ્રશંસા કરી છે
રાજ્ય અને દેશ ભરના બજારમાં જાત-ભાતની રાંખડીઓ બનતી જોવા મળે છે. જેમાં ગાયના છાણ માંથી બનતી ઓર્ગેનિક રાખડી, બાળકો માટે કાર્ટુન વાડી રાખડી, ભાઇ-બહેનની તસ્વીરો વાળી રાખડી, વાંસની રાખડી વેગેરે જેવી રાંખડીઓનો સમાવેશ થાય છે. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને પારખીને લોકોને રાખડીના માધ્યમથી પણ કોરોનાથી સલામતી અને જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ ઇકબાલભાઇ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના રખીયાલમાં વસતા ઇકબાલભાઇની આ કળાથી વડાપ્રધાન મોદી સહિત હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક વરિષ્ઠ અને ખ્યાતનામ લોકો આકર્ષિત થયા છે. અને ઇકબાલભાઇની કળાની નોંધ પણ લીધી છે તેની પ્રશંસા કરી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે ઈકબાલ ભાઈ
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે ઈકબાલ ભાઈ

જનજાગૃતિનો વિચાર કેવી રીતે આવ્યો?
ઇકબાલભાઇના પિતા જ્યારે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલની જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં પિતાની સારવાર ચાલી રહી હતી. એક દિવસ સારવાર વેળાએ કેન્સર હોસ્પિટલના તત્કાલીન ડાયરેક્ટર ડૉ.પંકજ શાહને પોતાના રાખડીઓના વ્યવસાયથી માહિતગાર કર્યા. ત્યારે ડૉ.પંકજ શાહે તેમનામાં રાખડીના માધ્યમથી સમાજઉપયોગી બનવા કેન્સરની જનજાગૃતિના સંદેશા ફેલાવવાનો વિચારબીજ રોપ્યો. બસ ત્યાર થી ઇકબાલભાઇએ સમાજોત્થાનનો નિર્ધાર કરીને કેન્સર સાથેના અન્ય લોકઉપયોગી વિષયક જનજાગૃતિ વાળી રાખડીઓ બનાવીને જનકલ્યાણના યજ્ઞનો આરંભ કર્યો.

અન્ય સમાચારો પણ છે...