ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો કરવા તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે નાગરિકો 100 નંબર પર ફરિયાદ પણ નોંધાવી શકશે.
વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ
ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન તથા અન્ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશનની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ
ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થતુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનું ચૂસ્તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
લોકજાગૃતિ કેળવવા પ્રયાસ
આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો. સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ એલ.ઇ.ડી. સ્ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે.
ફરિયાદ માટે ફોન નંબર જાહેર
આ ઉપરાંત નાગરિકો ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગેની ફરિયાદ ફોન નંબર 100 ઉપર રજૂ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.