નિર્ણય:અમદાવાદમાં મોહરમના દિવસે તાજીયાનું જુલુસ કાઢી શકાશે નહીં, દશામાની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરવાનું રહેશે

અમદાવાદ2 વર્ષ પહેલા
ફાઈલ ફોટો
  • જાહેરમાં કોઈ જુલુસ કે સરઘસ નીકળશે તો એપેડેમિક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

અમદાવાદમાં વર્ષોથી આસ્થા અને શ્રદ્ધા સાથે દર વર્ષે યોજાતા તાજીયા જુલુસને આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે નહી કાઢવાનો નિર્ણય લેવાયો હોવાનું આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ જેસીપી પ્રેમવીરસિંહ, સેકટર 1 JCP આર.વી અસારી અને તમામ ઝોનના DCP સાથે મહોરમ તાજીયા કમિટિએ બેઠક કરી હતી. જેમાં 19 ઓગસ્ટના રોજ મોહરમના દિવસે અમદાવાદ શહેરમાં તાજીયાનું જુલુસ ન કાઢવાનો મોહરમ તાજીયા કમિટી અને પોલીસે નિર્ણય લીધો છે. કોરોના તેમજ સરકારની લોકોને ભેગા નહીં થવાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જુલુસ નહીં કાઢવાનો નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તાજીયાનું એક જ સ્થળે સ્થાપન કરી અને ત્યાં જ ઠારવાના રહેશે
સેકટર 1 JCP આર.વી અસારીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી અત્યારે વિશ્વમાં ચાલી રહી છે અને તેમાં ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે. કોરોના મહામારીમાં અમદાવાદના નાગરિકોએ દરેક તહેવારમાં સરકારના વહીવટી તંત્ર અને પોલીસને સાથ આપ્યો છે. ત્યારે આ વર્ષે પણ મોહરમ તહેવાર દરમ્યાન તાજીયાના જુલુસ ન કાઢવાનો નિર્ણય તાજીયા કમિટીએ લીધો છે. ક્રાઈમ બ્રાન્ચ JCP પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે આ વર્ષે મન્નતના તાજીયા હોય કે કોઈપણ તાજીયાનું જુલુસ જાહેરમાં કાઢવામાં નહિ આવે. તાજીયાનું એક જ સ્થળે સ્થાપન કરી અને ત્યાં જ ઠારવાના રહેશે.

તમામ ઝોનના DCP સાથે મહોરમ તાજીયા કમિટિએ બેઠક કરી
તમામ ઝોનના DCP સાથે મહોરમ તાજીયા કમિટિએ બેઠક કરી

ઘરમાંજ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે
આ ઉપરાંત દશામાના તહેવાર દરમ્યાન પણ કોઈપણ વ્યક્તિએ જાહેરમાં સરઘસ કે જુલુસ કાઢી મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે નહીં. દરેક લોકોને અપીલ છે કે તેઓએ ઘરમાં જ મૂર્તિનું સ્થાપના કરી અને ઘરે જ વિસર્જન કરવાનું રહેશે. નદીમાં કે તળાવમાં ક્યાંય વિસર્જન કરવાનું રહેશે નહીં. જાહેરમાં આ રીતે મનાઈ હોવા છતાં કોઈ સરઘસ કે જુલુસ કાઢી અને વિસર્જન કરશે તો તેઓ સામે એપેડમિક એકટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરમાં ક્યાંય તાજીયાનું જુલુસ કાઢી શકશે નહીં
મોહરમ તાજીયા કમિટિના પ્રમુખ પરવેઝ મોમીને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોહરમ દરમ્યાન તાજીયા જુલુસ કાઢવા અંગે આજે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ક્રાઈમ બ્રાન્ચ JCP પ્રેમવીરસિંહ, સેકટર 1 JCP આર.વી અસારી અને તમામ ઝોનના DCP સાથે મહોરમ તાજીયા કમિટિએ બેઠક કરી હતી. બેઠકમાં કમિટીએ કોરોના મહામારી તેમજ સરકારની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જુલુસ નહીં કાઢવાનો નિર્ણય જણાવ્યો હતો. જો કે લોકો પોતાના ઘર અથવા મેદાનમાં ક્યાંય તાજીયા રાખી જે ધાર્મિક વિધિ કરવાની છે તે કરી શકશે. પરંતુ જાહેરમાં ક્યાંય તાજીયાનું જુલુસ કાઢી શકશે નહીં.