સરદાર પટેલ સ્ટેડિયમની પાછળ બનાવેલું ગરનાળું ખૂબ નીચું હોવા છતા તેની બહાર લોંખડના આડા એન્ગલ મારી દેવાતાં એક જ દિવસમાં 5 લોકોના માથા ફૂટી ગયા છે. છેલ્લા 7 દિવસમાં કુલ 15 લોકોના માથા ગરનાળાના પાઇપ સાથે અથડાયા હતા. આસપાસના લોકોએ અનેક વખત કોર્પોરેશન અને રેલવેને ફરિયાદ કરી છે.
શુક્રવારે સવારે નવજીવન પ્રેસ પાછળના ગરનાળામાંથી પસાર થતા રિયાઝ અલી પઠાણનું માથું લોખંડના પાઇપ સાથે અથડાતા 22 ટાંકા લેવા પડ્યા અને સિવિલમાં દાખલ કરવા પડ્યા છે. ગરનાળાની ઊંચાઇ માત્ર 4 ફૂટ 7 ઇંચ છે. થોડા દિવસથી ગરનાળાની બહાર 5 ફૂટ 4 ઇંચ લોખંડના આડા એંગલ મૂકાયા છે. પરતું ગરનાળાની અંદરથી પસાર થતો રસ્તો સીધો રાખવાને બદલે ઉંડો હોવાથી પસાર થતી વ્યક્તિ જો સહેજ પણ ગફલત રાખે તેનું માથું એન્ગલ સાથે અથડાય છે.
લોકોની સેફ્ટી માટે ચેતવણી આપતું બોર્ડ હોવું જોઈએ
ગરનાળાની બિલકુલ સામે ફૂટપાથ પર બેસીને વાળ કાપતા ભાઇએ જણાવ્યું હતું કે હું રોજ સવારે 8 થી સાંજના 6 સુધી આ જગ્યા પર બેસીને ધંધો કરું છું. રોજે મારી નજર સામે ઓછામાં ઓછા 5 લોકોના માથા ગરનાળા સાથે અથડાય છે. ગરનાળું ઘણુ નીચું હોવાથી લોકો માથા નીચા ન કરે તો અથડાય છે. ગરનાળાની ઉપર ભયજનક હોવાનું નોટિસ બોર્ડ લગાવવું જરૂરી છે.
ગરનાળું 6 ફૂટ હોય તો સરળતાથી નીકળી જવાય
વ્યવસાયે સિવિલ એન્જિનિયર હોવાથી અને ગરનાળાની નજીકમાં ઓફિસ હોવાથી રોજ ગરનાળા સાથે અથડાતા લોકોને મેં નજરે જોયા છે. મેં ઘણા સમયથી ગરનાળાની ઊંચાઇ વધારવા ઝુંબેશ ઉપાડી છે. નિવૃત્ત હોવા છતાં લોકોના કલ્યાણ માટે જાતે કોર્પોરેશનમાં અનેક અરજીઓ કરી છે. ગરનાળાની ઊંચાઇ માપતા ખબર પડી કે, કોઇપણ સામાન્ય વ્યક્તિની ઉંચાઇ 4 ફૂટ 7 ઇંચ કરતા વધુ હોય. ગરનાળાની ઊંચાઇ ઓછામાં ઓછી 6 ફૂટ રાખવી જોઇએ. જેથી ટુ વ્હિલર પર બેસીને જનાર વ્યક્તિને માથું અથડાવાનો ભય રહે નહી. એટલું જ નહીં ગરનાળાની બહાર નાખેલી લોખંડની એન્ગલોને તાત્કાલિક હટાવી લેવી જરૂરી છે. - ચન્દ્રકાંતભાઇ, સિવિલ એન્જિનિયર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.