વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને કારણે ગુજરાતમાં ભર ઉનાળે હોળી ટાણે જ ભારે પવન સાથે વરસાદ અને કરા પડી રહ્યા છે. સોમવારે અમદાવાદ, ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વીજળીના કડાકા ભટાકા સાથે વરસાદના ઝાપટાં પડી ગયા. કેટલાક સ્થળે કરા પડ્યાના પણ અહેવાલ છે.
જ્યારે ઘણા સ્થળે હજુ બે દિવસ આવી પરિસ્થિતિ રહેવાની હવામાન ખાતાની આગાહી છે. તો વરસાદ અને ભારે પવનને કારણે રાજ્યમાં બે મહિલાનાં મોત નીપજ્યાં. જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં અને હિમ્મત નગરમાં વીજ થાંભલો પડી જવાથી મહિલાઓ મૃત્યુ પામી.
માવઠાથી કેરીના પાક ઉપર માઠી અસર
કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચંતિત થઇ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠું, છેલ્લા 13 વર્ષમાં માર્ચમાં ચોથી વખત માવઠું, આગામી 15મી સુધી હજુ વાદળછાયું રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને નવસારીમાં માવઠાથી કેરીના પાક ઉપર માઠી અસર થઇ છે. સુરતમાં બે વર્ષ પછી માર્ચમાં તોફાની વરસાદ ખાબક્તા 8 વૃક્ષ ધારાશાયી થયાં. 60થી80 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો.
ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠું
ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓ હોળી પર્વની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યાં હતાં તેવામાં સોમવારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 25 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ અડધો કલાકમાં તબાહી મચાવી દીધી હતી. જંબુસરના પિશાદ મહાદેવ મંદિર પાસે લીમડાનું વૃક્ષ તુટીને બાજુના ઘર પડતાં આંગણામાં બેઠેલી મહિલાનું મોત નીપજયું હતું જયારે બે બાળકોને ઇજા પહોંચી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં સતત બીજા દિવસે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજની સાથે તોફાની પવન ફૂંકાયા બાદ માવઠું વરસ્યું હતુ.
નર્મદા પરિક્રમાને વાવાઝોડાના કારણે અટકાવાઇ
નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે પરિક્રમાવાસીઓ કતપોરથી નાવડીમાં બેસી સામે કિનારે મીઠીતલાઇ આશ્રમ પહોંચતાં હોય છે. વાવાઝોડાના કારણે બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અધવચ્ચેથી બોટોને પાછી કિનારે બોલાવી લેવામાં આવી હતી. વાતાવરણ અનુકૂળ થયા બાદ હોડીઘાટ શરૂ કરાશે તેમ ઘાટ સંચાલકોએ જણાવ્યું હતું. જ્યારે દાહોદમાં ફતેહપુરા સહિત રાજ્યમાં ઘણા સ્થળે ભારે વરસાદમાં હોળીની પુજા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.