અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે 12:30 વાગે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જે i20 કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળતા એક મહિલાનું મોત થયું હતું તેને ચલાવનાર તેના માલિક શૈલેષ શાહ નહીં પણ તેમના 22 વર્ષીય પુત્ર પર્વ શાહ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આજે બપોરે પર્વ શાહ એન-ડિવિઝન ટ્રાફિક પોલીસ સમક્ષ હાજર થયો હતો. આ કાર ફરી વળવાની ઘટનામાં અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે, અકસ્માત બાદ પર્વ ઉપરાંત i20 કારમાં બેઠેલા અન્ય ત્રણ જણા ફરાર થઈ ગયા હતા. પર્વના જણાવ્યા મુજબ આમાંથી બે તેના ભાઈ તથા એક મિત્ર હતો.
વેન્ટોમાં પોલીસ પીછો કરતા હોવાનું લાગતા કાર દોડાવીઃ પર્વ
પોલીસમાં હાજર થયા બાદ પર્વ શાહે DivyaBhaskarને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે તે મિત્રો સાથે થલતેજ ગુરુદ્વારા ચાર રસ્તા પાસે બેઠા હતા અને પછી વરસાદ પડતાં થોડા રોકાઈને મીઠાખળી સિદ્ધગિરિ ફ્લેટ સ્થિત તેમના ઘરે રવાના થયા હતા. સિંધુભવન રોડ પાસેથી વળ્યા ત્યારે તેમને લાગ્યું કે વેન્ટો કારમાં પોલીસવાળા તેમનો પીછો કરી રહ્યા છે એટલે તેમણે ગાડી ફાસ્ટ દોડાવી હતી. આવામાં શિવરંજની પછી તેમની કારને વેન્ટોવાળાએ દબાવતા તેમણે બ્રેક મારી પણ નિયંત્રણ ન રહ્યું અને ગાડી ફૂટપાથ પર ચઢી ગઈ હતી. જો કે, રાત્રે અકસ્માત થયા બાદ તેઓ તુરત પોલીસ સમક્ષ હાજર કેમ ન થયા તે પ્રશ્નનો તેમની પાસે કોઈ જવાબ નહોતો.
કારમાં પર્વ સાથે બે ભાઈ રિષભ-દિવ્ય અને મિત્ર પાર્થ હતા
પર્વએ એમ પણ જણાવ્યું હતું કે, અકસ્માતના સમયે કારમાં તેની સાથે તેના બે ભાઈ રિષભ શાહ (રહે. સિદ્ધગિરિ ફ્લેટ, પાલડી) અને દિવ્ય શાહ (સોહમ ફ્લેટ્સ, મીઠાખળી) ઉપરાંત પાલડી વાસૂપૂજ્ય ફ્લેટમાં રહેતો મિત્ર પાર્થ શાહ હાજર હતા. અકસ્માત બાદ તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હોવાનો પર્વએ દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જે i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે.
અમે બધા ગભરાઈ ગયા હતા એટલે રાત્રે પર્વ હાજર ન થયોઃ પિતા શૈલેષ
પર્વની સાથે એન-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશને આવેલા તેના પિતા શૈલેષ શાહે DivyaBhaskar સમક્ષ કબૂલ્યું હતું કે રાત્રે પર્વે અકસ્માતની ઘટના વિશે અમને બધું કહી દીધું હતું. તે સમયે અમે બધા ખૂબ ગભરાઈ ગયા હતા અને માટે જ સવાર પડતાં વડીલોને સલાહ લઈને આગળ શું કરવું એ નક્કી કર્યું હતું. જે લોકો ગુજરી ગયા છે તેમના માટે અમને ખૂબ અફસોસ છે અને હવે આગળ જોઈએ શું થાય છે
પર્વ શાહ પિતા સાથે કુર્તીનો બિઝને કરે છે
21 વર્ષીય પર્વ શાહે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા શૈલેષ શાહને કુર્તીનો બિઝનેસ છે. તેઓ કાંકરિયા પાસેના સુમૈલ કોમ્પ્લેક્સમાં કુર્તીનો બિઝનેસ ચલાવે છે. પર્વ તેના પિતા સાથેના ધંધામાં જ છે.
કર્ફ્યૂ વચ્ચે મિત્રો સાથે મોજ કરવા નીકળ્યો હતો
પર્વ શાહ કર્ફ્યૂ વચ્ચે મિત્રો સાથે મોજ કરવા નીકળ્યો હતો. પરંતુ સિંધુ ભવન રોડ પર પોલીસ તેને જોઈ જતા તેઓ ગલીમાં વળી ગયા. પરંતુ પાછળ પોલીસ હોવાથી તેઓએ કાર ભગાવી મારી હતી. જેને પગલે પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. જો કે પોલીસ વેન્ટોકારમાં હોવાથી પર્વએ રેસ ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું.
અકસ્માત કરી પર્વ ઘરે આવ્યો હતોઃ પિતા
પર્વના પિતા શૈલેષ શાહે મીડિયાને જણાવ્યું કે, રાતનો ટાઈમ હોય એટલે અમને એમ કે એપાર્ટમેન્ટ બહાર ઉભો હશે. પોલીસના ડરથી તેણે કાર ભગાવી હતી. અકસ્માત બાદ તે ઘરે આવ્યો હતો અને કહ્યું કે મારાથી આમ થઈ ગયું છે. અમે ગભરાઈ ગયા હતા. સવારે અમે વડીલોની સલાહ લીધી કે આવો બનાવ બની ગયો છે. હવે શું કરવું.
પર્વ શાહનો દાવો, કાર 40 કિ.મી.ની જ સ્પીડથી જ ચાલતી હતી.
પર્વ શાહે દાવો કરતા કહ્યું કે, મારી કાર 40 કિ.મી.ની જ સ્પીડથી જ ચાલતી હતી. કાર અંદર ઘુસી ગઈ એટલે લોકો લાકડી લઈને મારવા આવ્યા અને એક વ્યક્તિએ મારા મિત્રને માર્યો એટલે અમે દોડીને મીઠાખળી ભાગી ગયા. મને આ વાતનું દુઃખ છે અમે એ ફેમીલીને બનતી મદદ કરીશું. મને લાગ્યું કે પોલીસ મારી કારનો પીછો પોલીસ કરે છે એટલે અમે ભાગ્યા હતા. મારી સાથે બે ભાઈ અને એક મિત્ર હતો. તેના નામ વૃષભ, દિવ્ય અને પાર્થ છે.
આ અંગે ACP બી.બી. ભગોરાએ જણાવ્યું કે, બનાવની જાણ થતા તપાસ ચાલુ કરી હતી. આરોપી પર્વ શાહની અટકાયત કરી છે. નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલુ છે. નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરાશે.
પર્વના નિવેદનના આધારે આગળની કાર્યવાહીઃ એસીપી
આ અંગે ACP બી.બી. ભગોરાએ જણાવ્યું કે, બનાવની જાણ થતા તપાસ ચાલુ કરી હતી. આરોપી પર્વ શાહની અટકાયત કરી છે. નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલુ છે. નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરાશે.
કાર શૈલેષ શાહ નામે રજિસ્ટર
અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રનની ઘટનામાં શહેર ટ્રાફિક પોલીસનું નિવેદન આપતા જણાવ્યું કે, કાર ચાલવાનાર આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. બનાવ બન્યા બાદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. કાર શૈલેષ શાહ નામે રજિસ્ટર છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર ચાલુ છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો
* બાબુભાઇ
* જેતન (બાળક)
* સુરેખા (બાળક)
* વિક્રમ (બાળક)
જમવાનું બનાવતી મહિલાને મોત મળ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. વરસાદથી બચવા પ્રયાસ કરી રહેલાઓને જરા પણ ખબર ન હતી કે તેમની સાથે થોડીવારમાં શું બનવા જઇ રહ્યું છે. મોડી રાત્રે કાળ બનીને આવેલી i20 કાર આ લોકો પર ફરી વળી હતી. માસૂમ લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. અન્ય લોકો માટે જમવાનું બનાવી રહેલી સંતુબેન નામની એક મહિલાને કારે કચડી મારતાં તેમનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો
સૂત્રોનું માનીએ તો કારમાં એ સમયે ચાર લોકો બેઠા હતા, જ્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. એવું જાણવા મળ્યું છે કે બંને કાર વચ્ચે રેસ લાગી હતી. એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળી અને ત્યાં સૂતેલા લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. સમગ્ર બનાવમાં મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવમાં સામેલ માલેતુજાર કોણ હતા તેમને શોધવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
શું રાત્રિ કર્ફ્યૂ માત્ર સામાન્ય લોકો માટે જ?
ગઈકાલના હિટ એન્ડ રન બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને પોલીસની કામગીરી પર જનતાનો રોષ જોવા મળ્યો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા પછી રાત્રિ કર્ફ્યૂ લાગી જાય છે અને આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો છે. તો શું મોટા ઘરના નબીરાઓ માટે રાત્રિ કર્ફ્યૂનો નિયમ લાગુ નથી પડતો?. શું એકપણ જગ્યાએ આ બન્ને કારને રોકવામાં નહોતી આવી?. એક તરફ, રાત્રિ કર્ફ્યૂના નિયમનો ભંગ કરનાર પાસેથી પોલીસ મોટો દંડ વસૂલે છે. બીજી તરફ, આવા લોકો બેખોફ આખી રાત પૂરપાટ વાહનો લઈ રખડતા હોય છે, તો બાબતે તમામ સિગ્નલો પર તહેનાત પોલીસ કેમ આંખો બંધ કરી લે છે. આ પ્રકારની ઉગ્ર ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.