PSIની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ માટે થયેલી પિટિશન હાઇકોર્ટે ફગાવી દીધી છે. પ્રિલિમ પરીક્ષામાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું કોર્ટે ગણાવ્યું છે. જેથી સરકારના નિર્ણયને કોર્ટ બહાલી આપી છે.
'અનામત કેટેગરીના ઉમેદવારો સારા માર્ક્સ હોય તો જનરલ કેટેગરીમાં આવી શકે'
કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે, ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટમાં સારા માર્ક્સ હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે. કોર્ટે પોતાના ચૂકાદા તેમ પણ કોર્ટે નોંધ્યું છે કે, જનરલ કે બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરીટવાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય.
રેગ્યુલર બેન્ચ સમક્ષ ભરતી મુદ્દે સુનાવણી
અગાઉ વેકેશન બેચ સમક્ષ આ મામલે સુનવણી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ હવે હાઈકોર્ટમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રેગ્યુલર બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારે દાવો કર્યો હતો કે, તમામ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. ઉપરાંત સરકાર તરફથી દરેક કેટેગરીના ત્રણ ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામા ઉમેદવારોના તમામ મૌલિક અધિકારોનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.
6 માર્ચ 2022ના રોજ પરીક્ષા યોજાઈ હતી
6 માર્ચ 2022 ના રોજ પીએસઆઇની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી. કુલ 1382 જગ્યા માટે 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલી પરિણામમાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા હતા.
ભરતી માટે 3 ગણા ઉમેદવારો ન બોલાવવાના નિયમનું પાલન નહીં
PSIની ભરતી માટે પ્રિલિમ પરીક્ષા યોજાયા બાદ જેના પરિણામના મેરિટમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી એવી અરજદારોએ રજૂઆત કરી હતી.
GPSC પેટર્ન મુજબ 3 ગણા ઉમેદવારો સમાવેશ કરવા માગ હતી
અરજદારોની માંગ હતી કે, GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઈએ, જોકે તેમ નથી કરવામાં આવ્યું. જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ, ઉપરાંત એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે અરજી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.
MT વિભાગના પોલીસ કોન્સ્ટેબલોની પણ કોર્ટમાં અરજી
PSI ભરતી વિવાદ મામલે હજુ કોર્ટ સમક્ષ MT વિભાગના પોલીસ કોન્સ્ટેબલોએ પણ અરજી કરી છે. ભરતીમાં તેમને પ્રમોશન આધારે ભરતી કરવા માટેની માંગ કરી હતી. આ સિવાય ભારતીય સેનામાં ફરજ બજાવનારા પૂર્વ જવાનોને પણ અન્યાય હોવાના દાવા સાથે અરજી કરાઈ હતી. જે મામલે હજુ અરજી પેન્ડિંગ છે, જેની સુનાવણી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.