માટીપગા હાટકેશ્વર બ્રિજનો પ્રીલિમિનરી રિપોર્ટ આઈઆઈટી રૂરકીએ મ્યુનિ.એ સોંપી દીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે હજુ પણ બ્રિજ બનાવનારી અજય એન્જિનિયરિંગને બચાવવા અને સમય પસાર કરવા મ્યુનિ. અધિકારીઓ રિપોર્ટ ન આવ્યો હોવાનું ગાણું ગાય છે. મ્યુનિ.એ રૂરકી પાસે માત્ર બ્રિજ સ્ટ્રેન્ધન કરવા અંગેનો જ રિપોર્ટ માગ્યો હતો.
રૂરકીએ બે તબક્કામાં તપાસ કરી હતી જેમાં પ્રથમ રૂરકીના એક્સપર્ટ પ્રોફેસરોની ટીમે સ્થળ મુલાકાત કરી હતી. સ્થળ જોતાં જ તેમણે મટિરિયલ પર સવાલ કર્યા હતા અને બીજા તબક્કામાં મ્યુનિ.એ સોંપેલા રિપોર્ટના આધારે બ્રિજ સ્ટ્રેન્ધન કેવી રીતે કરી શકાય તેની ભલામણો કરી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર પ્રકરણમાં મ્યુનિ. અધિકારીઓ ભાજપના શાસકોને પણ ગોળગોળ ફેરવી રહ્યા છે. રૂરકીએ રિપોર્ટ માટે સ્થળ પરથી કોઈપણ પ્રકારના સેમ્પલ કલેક્ટ કર્યા નથી. મ્યુનિ. અધિકારીઓ બ્રિજને લઈને ત્રણ મુદ્દા પર વિચાર કરી રહ્યા છે. જેમાં બ્રિજ સ્ટ્રેન્ધન કરવો, બ્રિજ તોડી પાડવો અને માત્ર ટુ-વ્હીલરને જ પસાર થવા દેવા. જોકે બ્રિજ તોડીને નવો બનાવાય તો મ્યુનિ. પર ભારણ વધી જતું હોવાને કારણે આ દિશામાં તેઓ સહેજ પણ વિચારતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.