કહે છે કે વિધિના લેખ મિથ્યા નથી થતાં, અને લાગે છે કે વિધાત્રી(ડેસ્ટિની)આ વિધિ(જાદવ)ના વિધિના લેખ(નસીબ)માં દેશના સીમાડા સાચવતા સૈનિકો અને તેમના પરિવારો માટે સ્નેહ ભાવ અને સેવા લખ્યા છે. વિધિએ અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ તો કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરંત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. એનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે. ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.
વિધિ જાદવે દેશમાં કોઈપણ સૈનિક શહીદ થાય ત્યારે તેના પરિવારને આશ્વાસન પત્ર લખી રૂા.પાંચ હજાર મોકલી આપે છે. અત્યાર સુધી આવા 295 શહીદ સૈનિકોના પરિવારને વિધિએ રૂ.5000 હજાર અને પત્રો લખ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિધિ નાયબ મામલતદારની દીકરી અને નડિયાદની રહેવાસી છે.
સરહદના છેલ્લા પિલર સુધી જવાની મંજૂરી મળી
તાજેતરમાં જ એક અનોખી ઘટના ઘટી છે.વિધિએ રક્ષા બંધન પર્વે દેશની સીમાઓ પર ઘરબાર અને બહેનની મમતાનો મોહ ત્યાગીને અવિરત અને અઘરી ફરજો બજાવતા સૈનિકો સુધી રાખડીઓ લઈને પહોંચવાનું અને તેમની સાથે રક્ષા બંધન મનાવવાનું નક્કી કર્યું અને તેની સૈનિક સમ્માન પ્રવૃત્તિઓનો ઉજળો રેકોર્ડ જોઈને શિસ્તબદ્ધ સેનાધિકારીઓએ તેને છેક સરહદના છેલ્લા પિલર સુધી જઈને,પાકિસ્તાની ચોકીઓ જ્યાંથી નરી આંખે દેખાતી હોય એવી સુરક્ષા ચોકીએ પહોંચીને સૈનિકોને રાખડી બાંધવાની વિશેષ મંજૂરી આપી છે.
21-22 ઓગસ્ટે કચ્છ સરહદે જવાનોને રાખડી બાંધશે
વિધિ જાદવ 21,22 ઓગસ્ટ-2021ના રોજ કચ્છ સરહદે આવેલ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર (સરક્રીક વિસ્તાર) પર ફરજ બજાવતા ભારતીય નાના જવાનો સાથે ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનનું પર્વ મનાવશે. 21મીના રોજ વીઘાકોટ બોર્ડરે જવાનોને રાખી બાંધી વીઘાકોટ કિલ્લાની મુલાકાત લઈ જવાનો સાથે દિવસ પસાર કરશે. ત્યારબાદ 1965ના ભારત પાકિસ્તાન યુધ્ધની યાદગીરીમાં BSF(બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના વોર મેમોરિયલની મુલાકાત લઈ ત્યાં પણ જવાનોને રાખી બાંધશે.
ગુનેરી બોર્ડર પોસ્ટ ખાતે રક્ષા બંધ પર્વ મનાવશે
રક્ષાબંધનના દિવસે આપણા દેશની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત લેશે. આ વિસ્તાર કાદવ કીચડ વાળો છે જ્યાં આર્મીના ખાસ વાહન દ્વારા જઈ શકાય છે. આ સ્થળે નાગરિકોને જવાની મનાઈ છે, જેથી આ વિસ્તારમાં જવાની મંજૂરી તેને આપવામાં આવી છે, ત્યાં આપણાં જવાનોને રાખડી બાંધશે. ત્યારબાદ લખપત પાસે આવેલ ગુનેરી બોર્ડર પોસ્ટ ખાતેના જવાનોને રાખડી બાંધશે. આ કામે વિધિને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા તમામ મંજૂરી આપવામાં આવી છે, જ્યાં બે દિવસ રોકાશે અને આપણા દેશના સૈનિકો સાથે રક્ષાબંધન પર્વ મનાવશે.
પુલવામા હુમલાના શહીદોના પરિવારને રૂ.11 હજારની મદદ
જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલ 40 જવાનોના તમામ પરિવારને પત્ર લખી, દરેક પરિવારને રૂા.11 હજાર મોકલી તેઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે .આમ કુલ 295 શહીદ સૈનિકના પરિવારોને આર્થિક મદદ કરી છે. તેમજ આ તમામ શહીદ પરિવાર સાથે રોજે રોજ ફોન કે વોટસએપ દ્વારા વાતચીત કરી તેમના ખબર અંતર પૂછે છે. તેમના નાના બાળકો સાથે પણ વાતચીત કરે છે. આ શહીદ પરિવારો પૈકી તેણે 112થી વધુ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે.
વિધિ ઉરી હુમલાના તમામ શહીદ પરિવારોની પણ મુલાકાત લઈ ચૂકી છે
ઉરી ખાતે થયેલા હુમલાના તમામ શહીદ પરિવારોની વિધિ જાદવ રૂબરૂ મુલાકાત લઈ ચુકી છે.આ શહિદ પરિવારોમાંથી 10 શહિદ પરિવારોએ તેના નડિયાદના ઘરની મુલાકાત પણ લીધી છે. વિધિએ અત્યાર સુધીમાં જુદા જુદા રાજ્યોમાં 10 શહીદોની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી છે. વિધિ અત્યાર સુધી ગુજરાત-રાજસ્થાનની કુલ-4 બોર્ડરોની મુલાકાત તહેવારો દરમ્યાન લઈ ચુકી છે.
ગરીબ વિદ્યાર્થીઓને અનાજની કિટ અને રૂ.1000 આપે છે
એટલું જ નહી પરા વિસ્તારની 70 શાળાઓની મુલાકાત લઈ તમામ વિધાર્થીઓને સ્ટેશનરી, પાઉચ, સાબુ, ચોકલેટનું વિતરણ કર્યું છે અને આવી શાળાઓમાંથી 45 જેટલા વિદ્યાર્થીઓ કે જેને પોતાના માતા-પિતા ગુમાવ્યા છે અને અતિ ગરીબ છે તેઓને દર દિવાળી-નવરાત્રીમાં અનાજની કિટ સાથે દર વર્ષે રૂ.એક હજાર આપે છે.
વિધિએ વર્ષ 2018માં વિશ્વ શાંતિ દિને યુનાઈટેડ નેશન્સ સહિત વિશ્વના બાવન દેશોના રાષ્ટ્રપતિ-વડાપ્રધાનને વિશ્વમાં શાંતિ રાખવા અંગેના પત્રો મોકલ્યા હતા. જેના અનુસંધાને વિવિધ રાષ્ટ્રોએ વિધિને અભિનંદન પત્રો મોકલ્યા છે.
મહામારીમાં સી.એમ. ફંડમાં રૂા.51 હજાર આપ્યા
વિધિએ કોવિડ-19 મહામારીમાં સી.એમ. ફંડમાં રૂા.51 હજારનો ચેક ખેડા કલેક્ટરને ગત વર્ષે અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધિ જાદવને રાજ્ય યુથ એવોર્ડથી પણ સન્માનિત કરી છે. દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.