અમદાવાદના હીરાપુરમાં આવેલી DPS સ્કૂલ ફરીથી વિવાદમાં આવી છે. સ્કૂલ પાસે માન્યતા ના હોવા છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી છે. 31 માર્ચ સુધી માન્યતા આપવામાં આવી હતી છતાં 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. જે મામલે DEO દ્વારા માટે કાગળ પર કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે વાલી મંડળે સ્કૂલને સરકાર હસ્તક સોંપવા માંગણી કરી છે. નહીં તો હાઇકોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી છે.
વિદ્યાર્થીઓની ફી લઈને સ્કૂલ ચાલુ રખાઈ હતી
DPS હીરાપુર અગાઉ વિવાદમાં આવી હતી, ત્યારે સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને 31 માર્ચ 2021 સુધી સ્કૂલ ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વહીવટી અધિકારી તરીકે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. 31 માર્ચ બાદ પણ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં DPS દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈને સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં ઓનલાઇન લેક્ચર રાખવામાં આવતા હતા. ઉપરાંત નવા એડમિશન પણ આપવામાં આવી રહ્યા હતા. સમગ્ર મામલે DEOને જાણ થતાં DEOએ કાગળ પર કાર્યવાહી કરી છે. સ્કૂલે પણ માન્યતા મેળવવા પ્રયત્ન શરૂ કર્યા છે ત્યારે હવે ઓલ ગુજરાત વાલી મંડળ DPSને સરકારને સોંપવા માંગણી કરી રહી છે.
સ્કૂલ સરકાર હસ્તક નહીં થાય તો વાલીમંડળ હાઈકોર્ટ જશે
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, DPS હીરાપુરમાં અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ચાલુ વર્ષે સ્કૂલને બંધ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ફરીથી એડમિશન લેવામાં મુશ્કેલી પડી શકે છે. જેથી હાલ સ્કૂલને સરકાર હસ્તક કરવી જોઈએ અને સ્કૂલના સંચાલકો સામે IPC હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. સ્કૂલ સરકારને સ્કૂલની જમીન સરકાર હસ્તક કરવામાં નહીં આવે તો ઓલ ગુજરાત વાલી મંડળ હાઇકોર્ટમાં જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.