સુરતની ગ્રીષ્મા વેકરિયાની હત્યા બદલ સેશન્સ કોર્ટે ફેનિલ ગોયાણીને મૃત્યુદંડની સજા ફટકારી છે. ફેનિલની ફાંસીની સજાના કન્ફર્મેશન માટે રાજ્ય સરકારે કરેલી અરજીને ગુજરાત હાઇકોર્ટે સ્વીકારી લીધી છે. આ મામલે આગામી 28મી જૂનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુરતની સેશન્સ કોર્ટે હત્યા કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને હત્યારા ફેનિલને ફાંસીની સજા આપી હતી.
ફેનિલ હાલ લાજપોર જેલમાં
ગ્રીષ્માની નિર્મમ પણે હત્યા કરનારા ફેનિલને હવે કોર્ટે ફાંસીની સજા આપી હોવાથી લાજપોર જેલમાં તે પાક્કા કામનો કેદી બની ગયો છે. કેદી તરીકે જેલ દ્વારા દરેકને એક નંબર આપવામાં આવતો હોય છે. એ મુજબ ફેનિલને પણ નંબર આપી દેવામાં આવ્યો છે, જેથી ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણી હવે 2231 નંબરથી ઓળખાશે. જ્યાં સુધી ફાંસીના માચડે ફેનિલને લટકાવી દેવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે.
શું છે મામલો
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.