ભાવનગરની સરકારી પ્રાથમિક સ્કૂલ પાસે પાન પાર્લર ચાલુ રહેતા, ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે સ્કૂલ પાસે પાન પાર્લર હોવાથી બાળકો પર તેની વિપરીત અસર પડી શકે છે. આ માટે વારંવાર વહીવટી તંત્રને જાણ પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેથી કોર્ટે સરકારને કહ્યું કે, 100 મીટર દૂર તો શું તેની નજીક પણ આવો પાનનો ગલ્લો ન હોવો જોઈએ. તેમજ કોર્ટે જિલ્લા વિકાસ અધિકારીને પગલા લેવા આદેશ કર્યો હતો. આદેશ કર્યા બાદ કોર્ટે અરજી ડિસમિસ કરી હતી.
અરજદારના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે 2003ના કેન્દ્ર સરકારના નિયમો મુજબ સ્કૂલની 100 મીટરના અંદરના વિસ્તારમાં પાનની દુકાન ન હોય શકે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ સ્કૂલ પાસે પાનનો ગલ્લો હોવાને કારણે પ્રાથમિક સ્કૂલમાં ભણતા 6 થી 14 વર્ષના બાળકો પર વિપરીત અસર પડે છે. ભાવનગરના પીપળી ગામમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલની બાજુમાં જ સિગારેટ, ગુટખા, પાન વેચતું પાર્લર આવેલું હોવાથી તેની બાળકો પર ખરાબ છાપ પડી રહી છે.
કોર્ટે સરકારને પૂછ્યું કે બાળકોને કેમ બગાડી રહ્યા છો?
આ આ અરજી અંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સરકારને પ્રશ્ન કર્યો હતો કે સ્કૂલની બાજુમાં પાનનો ગલ્લો આવ્યો હોવા છતાં તેની સામે કેમ પગલા નથી લેવાયા? કોર્ટે સરકારને પૂછ્યું કે બાળકોને કેમ બગાડી રહ્યા છો? 100 મીટર તો શું તેની નજીક પણ આવો પાનનો ગલ્લો ન હોવો જોઈએ.
ગુટખાના સેવનથી આ બીમારીઓ થઈ શકે
ગુટખા-ધૂમ્રપાનના સેવનથી અન્નળી, સ્વાદુપિંડ, મૂત્રિંપડના કેન્સર, હૃદયરોગ, ફેફસાંની બીમારી, બ્લડપ્રેશર, લોહીની નળીઓ સંકુચિત થવી, વંધ્યત્વ જેવા રોગો થઇ શકે છે.
ગુટખા સેવન માટેના નિયમો શું છે?
સ્કૂલ-કોલેજોની 100 મીટર ત્રિજ્યામાં તમાકુના કોઇ પણ સ્વરૂપના વેચાણ ઉપર પ્રતિબંધ છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ મારફતે પાનના ગલ્લા સ્ટોલ ઉપર તમાકુ વિરોધ અંગે નોટિસો લગાડવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.