ગુજરાતમાં અત્યારસુધી વોડાફોન અને આઈડિયાની કંપનીના મોબાઈલ નંબરના પોસ્ટપેઈડ કનેક્શન સરકારી કર્મીઓ વાપરતા હતા. જોકે સરકારે એક પરિપત્ર બહાર પાડીને હવે Jioના નંબર વાપરવા માટે કર્મચારીઓને જાણ કરી છે. એ મુજબ માત્ર 37.50ના મંથલી રેન્ટલ પર Jioનો સીયુજી પ્લાન લઈ શકશે,
સરકારે કર્મચારીઓ માટે Jioનો માસિક 37.50નો પ્લાન લેવા એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં 60 સેકન્ડની પલ્સ રેટ રહેશે, કોઈપણ મોબાઈલ ઓપરેટર કે લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ અને 3 હજાર એસએમએસ ફ્રી રહેશે. ત્યાર બાદ પ્રતિ એસએમએસના 50 પૈસા ચાર્જ લાગશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય એસએમએસ કરવા પર 1.25 રૂપિયાનો ચાર્જ લાગશે.
રૂ. 1.60થી લઈને રૂ. 5 સુધીનાISDના દર
પ્રતિ મિનિટના લેખે અમેરિકા, કેનેડા અને યુનાઈટેડ કિંગ્ડમ માટે રૂ. 1.60, શ્રીલંકા, ચીન, સિંગાપોર, તાઈવાન માટે રૂ.2.50 યુકે છોડીને સમગ્ર યુરોપમાં મોબાઈલ પર રૂ.2.50 તથા ફ્લિક્સ્ડ લાઈન માટે રૂ. 1.60. જ્યારે ખાડી દેશોમાં કુવૈત, બેહરીન, યુનાઈટેડ અરબ અમીરાત, ઓમન અને કતાર માટે રૂ.2.50. આ સિવાયના દેશોમાં રૂ. 5 આઈએસડી ચાર્જ લાગશે.
4જી ડેટા રૂ. 25થી લઈને શરૂ રિલાયન્સ Jio સાથે કરાયેલા કરાર અનુસાર, સરકારી કર્મચારીઓને પ્રતિ માસ 30 જીબી 4જી ડેટા વાપરવા મળશે. જોકે પ્લાનમાં એડ કરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય 60 જીબી 4જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. 4જીનો અનલિમિટેડ ડેટાનો પ્લાન લેવો હોય તો કર્મચારીઓ માસિક 125નો પ્લાન એડ કરાવવો પડશે.
5જી અનલિમિટેડ પણ 4જીના ભાવમાં
રિલાયન્સ Jioનો 30 જીબી 5જી ડેટા વાપરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. 60 જીબી 5જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. ઉપરાંત અનલિમિટેડ 5જી ડેટા વાપરવા માટે મંથલી 125નો ખર્ચવા પડશે.
અત્યારસુધી વોડાફોન આઇડિયા વાપરતા
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓ ખાનગી કંપનીઓ વોડાફોન અને આઈડિયાના પોસ્ટપેઈડ મોબાઈલ નંબર વાપરતા હતા, પરંતુ રાજ્ય સરકારે અચાનક એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી કંપનીને બદલવાનો આદેશ આપ્યો છે. જોકે આ એક રૂટિન પ્રક્રિયા હોય છે, જેમાં સરકાર સમયાંતરે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર પાસેથી બીડ કરે છે.
જૂની કંપનીના નંબરો યથાવત્ રહેશે
સરકાર દ્વારા Jio સાથે કરાર કરાયા છે, જે અંતર્ગત હવે રાજ્યના સરકારી કર્મચારીઓ Jioના સિમ વાપરશે. જોકે આ માટે તેઓ મેગા પોર્ટેબિલિટી કરાવશે અને રાજ્યભરના કર્મચારીઓના મોબાઈલ નંબર એના એ જ રહેશે, પરંતુ તેમની કંપની બદલાઈ જશે,.
આ વર્ષથી કર્મચારીઓ Jioના નંબર વાપરશે
ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે 3 નવેમ્બરે એક ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટના સચિવાલય સહિતના કર્મચારીઓ અને અધિકારી માટે મોબાઈલ ફોન સેવા માટે એક ઓપન ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં રિલાયન્સ Jio ઈન્ફોકોમે અમદાવાદ દ્વારા બે વર્ષ માટે આ બીડ કરાઈ હોવાનું શરતોમાં સામેલ છે.
ગત મહિને એગ્રીમેન્ટ કરાયા
મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર પાસેથી ગુજરાત સરકારે 3 નવેમ્બર 2022ના રોજ ફ્રેશ બીડ આમંત્રિત કરાઈ હતી, જેને સફળતાપૂર્વક રિલાયન્સ Jio ઈન્ફોકોમ અમદાવાદે બીડ જીતી હતી. Jioએ 29 એપ્રિલ 2023ના રોજ એગ્રીમેન્ટ કર્યા હતા.
સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો
Jioના મોબાઈલ નંબર વાપરવા માટે ગુજરાત રાજ્યના જાહેર વહીવટ વિભાગના એડિશનલ સેક્રેટરી જ્વલંત ત્રિવેદીએ Jioના નંબર તાત્કાલિક અસરથી વાપરવા માટે પરિપત્ર બહાર પાડ્યો છે. એને સંબંધિત વિભાગોને મોકલવામાં આવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.