અમદાવાદ શહેરની સોળ વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસ બે વિધાનસભા બેઠક જીત્યું છે. દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી શૈલેષ પરમાર અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી ઇમરાન ખેડાવાલાની જીત થઈ છે. 14 વિધાનસભામાં ભાજપના ઉમેદવારોની જીત તરફ છે. જેમાં અસારવા, ઠક્કરબાપાનગર, દરિયાપુરના ઉમેદવારની જીત થઈ ચૂકી છે. આ વખતે CM ભૂપેન્દ્ર પટેલે પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. તેઓ 1લાખ 91 હજાર મતોથી જીત મેળવી છે. આમ ભાજપની 19 અને કોંગ્રેસની 2 સીટ બેઠક પર જીત થઈ છે.
બાબુ જમનાએ કહ્યું- આ મોદી સાહેબની જીત
બાબુ જમના પટેલ પોલિટેક્નિક ખાતેના મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા, બાબુ જમનાએ જણાવ્યું કે, આ જીત મોદી સાહેબની જીત છે. 125નો આંકડો પર થશે, બધા કામ કર્યા છે એટલે લોકોએ વોટ આપ્યા છે.અમદાવાદ જિલ્લાની 8 બેઠકની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગણતરી ચાલી રહી છે. જેમાં ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ,નારણપુરા, અમરાઈવાડી, મણીનગર અને સાબરમતી ચાલી રહી છે.
મતદાન પુરૂ થતાં જ આતશબાજી કરાઈ હતી
ગુજરાતમાં 5 ડિસેમ્બરે બીજા ચરણનું મતદાન પૂરું થયું હતું, ત્યારે દરેક ઉમેદવાર હવે પોતાના મતદાનની મત પેટીઓ ખૂલે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે 5 ડિસેમ્બરે જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગર વિધાનસભામાં ભાજપના કાર્યકરોએ ભાજપનો વિજય થશે તેમ માનીને આતશબાજી કરી હતી. શહેરના કયા ઉમેદવાર ક્યારે જીતશે? કેટલા મતથી જીતશે? તે હજી નક્કી નથી. બીજી તરફ હાલ બાપુનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ જીતી હતી. મતદાન બાદ કોણ જીતશે? કોણ હારશે? તે આજે આઠમી તારીખે નક્કી થશે. ત્યારે બાપુનગર વિધાનસભાના સરસપુર ખાતે આજે આતશબાજી થઈ હતી.
2017 કરતાં 12 ટકા ઓછું મતદાન
અમદાવાદ સહિત રાજ્યની બીજા તબક્કાની 93 બેઠકની આજે ચૂંટણી યોજાઈ હતી. પાંચ વાગ્યે મતદાન પૂરું થયું હતું અને જિલ્લા અને શહેરની 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. 5 વાગ્યા સુધી 54.57 ટકા નોંધાયું હતું. જેમાં સૌથી વધુ સૌથી વધુ 66.57 ટકા મતદાન ધોળકા તાલુકામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 45.25 ટકા નરોડામાં નોંધાયું છે.
12 બેઠક પર પહેલાંથી પરિણામ નિશ્ચિત
શહેરી વિસ્તારમાં ભાજપની સ્થિતિ પહેલેથી મજબૂત રહી છે. 5મી ડિસેમ્બરના રોજ રાજ્યમાં બીજા ચરણનું મતદાન થયું હતું. જેમાં અમદાવાદની 16 બેઠક પર ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. જેનું 8મી ડિસેમ્બર એટલે કે, આજે પરિણામ જાહેર થવાનું છે. શહેરની કુલ બેઠકો પૈકી 12 બેઠક પર પરિણામ લગભગ નિશ્ચિત મનાય છે. માત્ર ચાર બેઠક પર રસાકસી જોવા મળી શકે છે. ચારે બેઠક કોંગ્રેસ પાસે , જેમાં દરિયાપુર અને બાપુનગર બેઠક અનુક્રમે 6,187 અને 3,067 મતોથી ભાજપ 2017માં હાર્યું હતું. કોંગ્રેસે દાણીલીમડા બેઠક 32,510 લીડથી જીતી હોવાથી ભાજપને લીડ કાપવી થોડી મુશ્કેલ પડી શકે છે. જ્યારે જમાલપુર-ખાડિયાની બેઠક પર મુસ્લિમ મતદારો નિર્ણાયક ગણાય છે. તેમના મતો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ વચ્ચે વહેંચાઈ જાય તો ભાજપ આ બેઠક પર જીત મેળવે એવી શક્યતા છે.
કોંગ્રેસ ચાર બેઠક જાળવે છે કે ગુમાવે છે એ સવાલ
કોંગ્રેસ પાર્ટીએ તેમના હસ્તકની અમદાવાદની ચારે બેઠક જાળવી રાખવા માટે સંઘર્ષ કર્યો હતો જ્યારે ભાજપે આ બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લેવા એડીચોટીનું જોર લગાડ્યું હતું. બુધવારે દિલ્હી એમસીડીનું પરિણામ જાહેર થયું હતું જેમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેની ચર્ચા અમદાવાદના લોકો પણ કરી રહ્યાં હતાં. લોકો અનુમાન લગાવી રહ્યાં હતાં કે, આમ આદમી પાર્ટીનું દિલ્હીમાં પ્રદર્શન સારૂ હશે એટલે જ ત્યાંના લોકો આપ પર વારંવાર ભરોસો મૂકી રહ્યાં છે. આપ પાર્ટીએ અમદાવાદની પૂર્વ બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને ત્યાં ઉપસ્થિતિ નોંધાવી હતી. એ હિસાબે આ વખતે આપ પાર્ટીની અસર અમદાવાદની બેઠકો પર જોવા મળી શકે છે અને તેના કારણે ભાજપને ચોક્કસથી ફાયદો થઈ શકે છે.
મતગણતરીને પગલે ડાયવર્ઝન
એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ, ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને સરકારી પોલિટેક્નિક કોલેજ આંબાવાડી ખાતે મતગણતરી યોજાઈ રહી છે. મતગણતરીને લઇ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્ર પણ પહોંચતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, જેથી આ ત્રણેય જગ્યાએ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કર્યા છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ગુજરાત કોલેજ ખાતે ઇન્દર રેસિડેન્સી હોટલ ત્રણ રસ્તાથી નગરી હોસ્પિટલ તરફ બ્રિજ નીચે સુધીનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે ઇન્દર રેસિડેન્સી હોટલથી કલગી ચાર રસ્તા થઈ અને લોકો લો ગાર્ડન તરફ અથવા નગરી હોસ્પિટલ તરફ જઈ શકશે. નગરી હોસ્પિટલથી સીએન ચર્ચ થઈ લોકો અવાર-જવર કરી શકશે. એલ ડી એન્જિનિયરિંગ કોલેજથી દાદા સાહેબના પગલાં સુધીનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે એજી ચોકી રોડથી સેન્ટ ઝેવિયર્સ ટી થઈ પાસપોર્ટ ઓફિસ પાસેથી લોકો અવરજવર કરી શકાશે. જ્યારે આંધરાપોળ ચાર રસ્તા થી એક્સાઇઝ ચોકી ત્રણ રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે નેહરુનગર સર્કલ પાસે ડાબી તરફ વળી એસબીઆઇ બેન્ક પાસેના કટથી એક્સાઇઝ ચોકી તરફ જઈ શકાશે.
2017ના પરિણામ
બેઠક | ભાજપ | કોંગ્રેસ | વિજેતા |
વિરમગામ | તેજશ્રીબેન પટેલ | લાખાભાઈ ભરવાડ | INC |
સાણંદ | કનુભાઈ કરમસીભાઈ મકવાણા | પુષ્પાબેન ડાભી | BJP |
ઘાટલોડિયા | ભુપેન્દ્રભાઈ પટેલ | શશીકાંત પટેલ | BJP |
વેજલપુર | કિશોરભાઈ ચૌહાણ | મિહિર શાહ | BJP |
વટવા | પ્રદિપસિંહ જાડેજા | બીપીન પટેલ | BJP |
એલિસબ્રિજ | રાકેશ શાહ | વિજય દવે | BJP |
નારાણપુરા | કૌશિકભાઈ પટેલ | નીતિન કે પટેલ | BJP |
નિકોલ | જગદીશ પંચાલ | ઈન્દ્રવિજયસિંહ ગોહિલ | BJP |
નરોડા | બલરામ થાવાણી | ઓમપ્રકાશ તિવારી | BJP |
ઠક્કરબાપા નગર | વલ્લભભાઈ કાકડિયા | બાબુભાઈ માંગુકીયા | BJP |
બાપુનગર | જગરુપસિંહ રાજપૂત | હિંમતસિંહ પટેલ | INC |
અમરાઈવાડી | હસમુખ.એસ.પટેલ | અરવિંદસિંહ ચૌહાણ | BJP |
દરિયાપુર | ભરતભાઈ બારોટ | ગ્યાસુદ્દીન શેખ | INC |
જમાલપુર-ખાડિયા | ભૂષણભાઈ ભટ્ટ | ઈમરાન ખેડાવાલા | INC |
મણિનગર | સુરેશભાઈ પટેલ | શ્વેતા બ્રહ્મભટ્ટ | BJP |
દાણીલીમડા | જીતુભાઈ વાઘેલા | શૈલેષ પરમાર | INC |
સાબરમતી | અરવિંદભાઈ પટેલ | જીતુભાઈ પટેલ | BJP |
અસારવા | પ્રદીપભાઈ પરમાર | કનુ વાઘેલા | BJP |
દસક્રોઈ | બાબુભાઈ જમના પટેલ | પંકજભાઈ પટેલ | BJP |
ધોળકા | ભુપેન્દ્રસિંહ ચુડાસમા | અશ્વિન રાઠોડ | BJP |
ધંધુકા | કાળુભાઈ ડાભી | રાજેશ કોલી | INC |
ગ્રાફિક્સના માધ્યમથી જાણીએ અમદાવાદ જિલ્લાનો રાજકીય જંગ
દરિયાપુરમાં ભાજપ અને કોંગ્રેસની કાંટેકી ટક્કર
અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. 1990થી 2007 સુધી અહીં ભાજપનું સતત કમળ ખીલ્યું છે. સતત પાંચ ટર્મ સુધી ભાજપના ભરત બારોટ અહીંથી જીતતા રહ્યા છે. જોકે સીમાંકન બાદ અહીંનાં સમીકરણો બદલાયાં અને વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની હાર થઈ અને કોંગ્રેસ ફરીથી આ બેઠક અંકે કરી. જેનો કોંગ્રેસે હજુ સુધી કબજો જાળવી રાખ્યો છે.
વિરમગામ બેઠક હાર્દિક પટેલ અને લાખાભાઇ ભરવાડ વચ્ચે સીધી ટક્કર
વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે હાર્દિક પટેલ અને કોંગ્રેસે ઉમેદવારને રિપીટ કરતા લાખા ભરવાડને મેદાનમાં ઉતાર્યા છે. જોકે, આ વખતે ભાજપ-કોંગ્રેસના જંગ વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે વિરમગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ અમરસિંહ ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જોકે, વિરમગામ વિધાનસભા બેઠકમાં વિરમગામ, માંડલ અને રામપુરા-દેત્રોજ તાલુકાનો સમાવેશ થયા છે. અહીં ઠાકોર વોટ બેંક મોટી સંખ્યામાં છે.
આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પાટીદાર વોટ બેંક વધુ છે. આ બેઠકનો ઇતિહાસ રહ્યો છે. જે પણ ઉમેદવાર જીત્યો છે તે માત્ર પાંચથી 10 હજારના મતનું માર્જીન રહે છે. હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. ત્યારે વિરમગામમાં પાટીદાર આંદોલન સમિતિ દ્વારા હાર્દિકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એવામાં પાટીદાર મતના અભાવે હાર્દિક પટેલ માટે આ ચૂંટણીમાં જીતવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ ભાજપના ઉમેદવાર ડો. તેજશ્રીબેન પટેલ સામે 6548 મતની સરસાઈથી જીત્યા હતાં.
ભાજપે અમિત ઠાકરને તો કોંગ્રેસે રાજેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા
અમદાવાદ શહેરની વેજલપુર બેઠક આમ તો ભાજપ ગઢ ગણાય છે. મુસ્લિમ અને ઓબીસી મતદારોનો પ્રભૂત્વ ગણાતી આ બેઠક સેમી અર્બન તરીકે ગણાય છે. ઉલ્લેખનીય છે કે નવા સિમાંકન બાદ સરખેજ બેઠકથી અલગ થઈ છે. વર્શ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિશોર ચૌહાણની જીત થઈ હતી. ત્યારે આ વખતે ભાજપે અમિત ઠાકરને તો કોંગ્રેસે રાજેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ કલ્પેશ પટેલ ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. તો હવે જોવાનું રહ્યું કે આ વખતે પણ વેજલપુર બેઠક ભાજપને જાય છે કે પછી કોંગ્રેસને મળે છે ક્યાંતો પછી આપ બાજી મારી જાય છે.
વેજલપુર બેઠક પર બે ભાઈઓની જંગ
વેજલપુર બેઠક પરથી એક જ પરિવારના 2 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવારો એક જ બેઠક પર અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે. વેજલપુર વિધાનસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કલ્પેશ પટેલ ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવાર એક બીજાના સગા મામા ફોઈના દીકરા છે. બંને ભાઈઓ પારિવારિક સંબંધ ખૂબ જ સારા છે. બંને ઉમેદવારોથી વેજલપુરના સ્થાનિકો પરિચિત છે. રાજેન્દ્ર પટેલને રાજુભાઇ તો કલ્પેશ પટેલને ભોલાભાઈ તરીકે લોકો ઓળખે છે. બંને ભાઈ આમ તો ભાજપની જીતેલી બેઠક પરથી જ ચૂંટણી લડવાના છે, જેમાં હવે કોને ફાયદો થશે તે પરિણામના દિવસે ખબર પડશે.
અમદાવાદમાં 11 સીટ પર ભાજપ લીડ માટે, પાંચ પર નાક સાચવવા લડે છે
અમદાવાદ શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં નેતાઓને સભા માટે નો એન્ટ્રી મળી રહી છે ત્યારે નેતાઓ માત્ર સોસાયટીઓની બહારથી રાઉન્ડ લઈ જતા જોવા મળી રહ્યા છે, પણ અમદાવાદ શહેરની 16 બેઠકોની વાત કરીએ તો ભાજપ માત્ર પાંચ બેઠકો પર જ ચૂંટણી લડી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ પાંચ બેઠકોમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા, બાપુનગર અને અમરાઈવાડી છે. 2017માં આમાંથી ચાર બેઠક કોંગ્રેસે જીતી હતી જ્યારે અમરાઈવાડી બેઠક ઓછા માર્જિનથી ભાજપે જીતી હતી. દરિયાપુર અને જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા એ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો છે. બાપુનગરમાં હિન્દી ભાષી મતદારો વધુ છે. બાકીની જે 11 બેઠક છે, તેમાં છેલ્લાં વર્ષોથી ભાજપ જ જીતે છે, પણ અહીં ઉમેદવારો જીતવા માટે નહીં પણ જંગી લીડ માટે લડી રહ્યા છે.
ઉમેદવાર પોતાની જીત જંગી લીડથી થાય તેવા મરણિયા પ્રયાસ
ભાજપના જ ઉમેદવારો વચ્ચે કોણ વધુ મતથી જીતે તેની માટે આકરી સ્પર્ધા ચાલી રહી છે. દરેક ઉમેદવાર એ પ્રયાસ કરી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના વિસ્તારમાં આવીને સભા કરે અથવા રેલી યોજે. તેનું એકમાત્ર કારણ એ છે કે, દરેક ઉમેદવાર પોતાની જીત જંગી લીડથી થાય તેવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. અલબત્ત, મોટા ભાગની બેઠકો પર ઉમેદવાર બદલાઈ ગયા હોવાના કારણે ભૂતપૂર્વ ધારાસભ્યો કરતાં વધુ મત મળે તે માટે પણ તેઓ મહેનત કરી રહ્યા છે.
ભાજપની કિચન ટુ કેબિનેટ ફોર્મ્યુલા
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ભાજપે 3 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમા એક ઠક્કરબાપાનગરથી કચન રાદડિયા, નરોડાથી ડો. પાયલ કુકરાણી અને અસારવાથી દર્શના વાઘેલાનો સમાવેશ થાય છે. આમાંથી કંચન રાદડિયા અને ડો.પાયલ કુકરાણીને બહોળો રાજકીય અનુભવ નથી. રસપ્રદ બાબત એ છે કે, 1990થી અત્યાર સુધી ભાજપે 6 મહિલાને જ્યારે કોંગ્રેસે 7 મહિલાને અલગ-અલગ બેઠક પરથી ટિકિટ આપી છે. જેમાં ભાજપ દરવખતે જીત્યું છે. જ્યારે કોંગ્રેસની દર વખતે હાર થઈ ગઈ છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ, આપ, મીમ અને અપક્ષ મળી 28 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. આ આંકડો પણ પહેલીવાર ચૂંટણીમાં જોવા મળ્યો છે. શહેરની 16માંથી નરોડા બેઠક એવી છે જેમાં 1998થી ભાજપ મહિલા ડોક્ટરને જ ટિકિટ આપે છે. એકમાત્ર 2017માં ટિકિટ ફાળવણી ન હતી. કોંગ્રેસે 1990માં નરોડા બેઠક પર ડો. ગીતાબેન દક્ષિણીને ટિકિટ આપી હતી પણ તે હારી ગયાં હતાં.
કોંગ્રેસે આ વખતે માત્ર 2 મહિલા ઉમેદવારને જ ટિકિટ આપી
આ વર્ષે શહેરની 16 બેઠકો પર ભાજપે સૌથી વધુ 3 મહિલા ઉમેદવારો જ્યારે કોંગ્રેસે 2 મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે. જ્યારે આપે એકેય મહિલાને ટિકિટ આપી નથી. ભાજપે નરોડો બેઠક પર પાયલ કુકરાણી, ઠક્કરબાપાનગરમાં કંચન રાદડિયા, અસારવામાં દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપી છે. કોંગ્રેસે ઘાટલોડિયા, નારણપુરામાં મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. 23 મહિલા અપક્ષ તરીકે ચૂંટણી લડે છે.
અમદાવાદમાં માત્ર ભાજપની જ મહિલા ઉમેદવારો જીત મેળવી શકી
અમદાવાદની બેઠકો પર ભાજપને જ્યારે પણ મહિલા ઉમેદવારને ઉતારી છે ત્યારે તેનો વિજય થયો જ છે. 1998થી છેલ્લી 5 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 6 મહિલાને ટિકિટ આપી હતી તે દરેક બેઠક પર તેમનો વિજય થયો હતો. અમદાવાદની બેઠકો પર માત્ર ભાજપ પક્ષના ઉમેદવારો ધારાસભ્ય બની શક્યા છે. ભાજપે પણ છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદની 16 બેઠકો પર 3 મહિલાઓને ટિકિટ આપી છે.
1.02 લાખ મહિલા મતદાર સામે સરેરાશ એક જ મહિલા ઉમેદવાર
16 બેઠક પર 188 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 28 મહિલા અને 160 પુરુષ છે. અમદાવાદમાં 59.99 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાંથી મહિલા મતદારો 28.75 લાખ અને પુરુષ મતદારો 31.17 લાખ છે. એટલે કે 48 ટકા મહિલા મતદારો સામે માત્ર 28 મહિલાઓ મેદાનમાં છે. મહિલાના પ્રતિનિધિત્વની વાત કરીએ તો 1.02 લાખ મહિલાએ એક મહિલા ઉમેદવાર અને 19 હજાર પુરુષ મતદારો સામે એક પુરુષ ઉમેદવાર છે.
5 ચૂંટણીના વિજેતા મહિલા ઉમેદવાર
2017માં એક પણ મહિલા ચૂંટણી જીતી શકી નહોતી
2012માં આનંદીબેન પટેલ - ઘાટલોડિયા, નિર્મલાબેન વાઘવાણી- નરોડા
2007માં ગીતાબેન પટેલ- સાબરમતી, ડૉ. માયાબેન કોડનાની- નરોડા
2002માં ડો. માયાબેન કોડનાની- નરોડા
1998માં ડો. માયાબેન કોડનાની- નરોડા
નરોડા બેઠક પરથી ભાજપના ડો. માયાબેન કોડનાની 3 વખત જીત્યા હતા.
પ્રચારમાં ભાજપે 1.29 કરોડ, કોંગ્રેસે માંડ 64 લાખ ખર્ચ્યા
અમદાવાદની 16 બેઠક પરના ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ 28 નવેમ્બર સુધીના ખર્ચના હિસાબો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા છે. જે મુજબ ભાજપના ઉમેદવારોએ કુલ 1.29 કરોડનો ખર્ચ કર્યો જ્યારે તેની સામે કોંગ્રેસના ઉમેદવારોએ 64.39 લાખ ખર્ચ કર્યો હોવાનું રજૂ કર્યું છે. ભાજપના ઉમેદવારોએ રેલી-સભા-કાર્યાલય પર સૌથી વધુ 1.03 કરોડનો ખર્ચ કર્યો, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ માત્ર 44 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. ચા-નાસ્તા અને પાણીના ખર્ચમાં બંને પાર્ટી તરફથી અંદાજીત 10 લાખ સુધીનો ખર્ચ દેખાડ્યો છે. ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસ કરતા વાહનમાં પણ બમણો ખર્ચ એટલે કે 16 લાખનો ખર્ચ કર્યો હોવાનું રજૂ કર્યું છે.
આ ઉપરાંત ભાજપ તરફથી સૌથી વધુ ખર્ચ અમરાઈવાડીના ઉમેદવાર ડો. હસમુખ પટેલે 20.24 લાખ રૂપિયા જ્યારે કોંગ્રેસ તરફથી વટવાના બળવંતસિંહ જાદવે 6.76 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. જ્યારે સૌથી ઓછો ખર્ચ કરવામાં ભાજપના ઉમેદવાર નારણપુરા બેઠકના જિતેન્દ્ર પટેલે માત્ર 1.67 લાખ રૂપિયા અને કોંગ્રેસમાંથી એલિસબ્રિજ બેઠકના ઉમેદવાર ભીખુ દવેએ માત્ર 50,650 રૂપિયા ખર્ચ કર્યો હોવાનું રજૂ કર્યું છે. આ તમામ માહિતી ચીફ ઈલેક્શન ઓફિસરની વેબસાઈટના બે ઈન્સ્પેક્શનના આધારે છે.
બાપુનગરમાં BJPના ઉમેદવારે ચા-નાસ્તામાં 2.13 લાખ ખર્ચ્યા
ઉમેદવારોએ રજૂ કરેલા ખર્ચમાં ચા-પાણી-નાસ્તામાં સૌથી વધુ ખર્ચ બાપુનગરના ભાજપ ઉમેદવાર દિનેશ કુશવાહે 2.13 લાખ ખર્ચ રજૂ કર્યો છે, જ્યારે વાહન પાછળ ઠક્કરબાપાનગર બેઠકના ઉમેદવાર કંચનબેન રાદડિયાએ સૌથી વધુ 3.72 લાખ ખર્ચ કર્યો છે. કોંગ્રેસ તરફથી ઠક્કરબાપા નગર બેઠકના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે ચા-પાણીમાં 1.89 લાખ, વાહન પાછળ 1.75 લાખ ખર્ચ કર્યો હોવાની ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે.
ભાજપના 4 સામે 4 કેસ, કોંગ્રેસના 8 સામે 14, આપના 7 સામે 8 કેસ
વિધાનસભાની ચૂંટણી માટે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) દ્વારા બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના ગુનાઈત ઈતિહાસ અને મિલકત સંબંધી અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 833 ઉમેદવારમાંથી 163 એટલે કે 20 ટકા ઉમેદવારો ગુના ધરાવે છે. 2017માં આ ટકાવારી 12 ટકા હતી. આ સાથે રેડ એલર્ટ મતક્ષેત્રો એટલે કે એક બેઠક પર ત્રણથી વધુ ઉમેદવારો ગુનાઇત ઈતિહાસ ધરાવતા હોય તેવી અમદાવાદની 16માંથી 7 બેઠક રેડ એલર્ટ મતક્ષેત્રો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
બીજા તબક્કાના કુલ 833માંથી 163 સામે કેસ છે
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
વેજલપુર | અમિત ઠાકર | રાજેન્દ્ર પટેલ | |
એલિસબ્રિજ | અમિત શાહ | પારસ શાહ | |
જમાલપુર-ખાડિયા | ભૂષણ ભટ્ટ | ઈમરાન ખેડાવાલા | હારૂન નાગોરી |
દાણીલીમડા | નરેશ વ્યાસ | શૈલેષ પરમાર | |
બાપુનગર | હિંમતસિંહ પટેલ | ||
મણિનગર | સી.એમ. રાજપૂત | ||
અસારવા | વિપુલ પરમાર | જે. જે. મેવાડા | |
ઘાટલોડિયા | વિજય પટેલ | ||
વટવા | બિપીન પટેલ | ||
ઠક્કરબાપાનગર | સંજય મોરી | ||
દરિયાપુર | ગ્યાસુદ્દીન શેખ | તાજ કુરેશી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.