છેલ્લા કેટલાય દાયકાઓથી માનવજાત દ્વારા પર્યાવરણની ઈકો સીસ્ટમનું હનન થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યું છે. જેના કારણે પર્યાવરણની ઈકો સાઈકલમાં મદદરૂપ થતાં કેટલાય સજીવો નાશવંત પામ્યા છે. આ ઉપરાંત માનવજાતના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી હવા, પાણી અને ખોરાક વગેરે દૂષીત થયા છે. માનવજાતની બાયોલોજીકલ સાયકલમાં ભંગાણ પડવાના કારણોસર સમગ્ર વિશ્વને વિવિધ મહામારીનો સામનો કરવાનો સમય આવ્યો છે. આ પ્રકારની વૈશ્વિક સમસ્યા અંગે આજની યુવા પેઢીમાં જાગૃકત્તા કેળવાય તે હેતુસર તાજેતરમાં એસોસિયેશન ઑફ ઈન્ડિયન યુનિવર્સિટી ( એઆઈયુ ) અને પર્યાવરણ સંરક્ષણ ગતીવિધીના સંયુક્ત ઉપક્રમે ભારતીય સંસદભવન દિલ્હી ખાતે નેશનસ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) 10 વિદ્યાર્થીઓએ યુથ પાર્લામેન્ટમાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એન્વાર્મેન્ટ યુથ પાર્લામેન્ટથી યુવા પેઢી પર્યાવરણ બાબતે જાગૃત થશે, ટેક્નિકલ શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓએ ઉદ્યોગોમાં પર્યાવરણને હાનીકારક ના હોય તેવી અદ્યતન ટેક્નોલોજીનો વિકાસ કરવો જોઈએ. આ પ્રસંગે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર પણ ભારતીય સંસદભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતાં.
નાણા, શિક્ષણ, કોલસા જેવા વિવિધ મંત્રાલયના મંત્રી અને વિરોધપક્ષના નેતાના હોદ્દા તરીકે ભાગ લઈને વિદ્યાર્થીઓએ સંસદમાં યોજાયેલ યુથ પાર્લામેન્ટમાં બ્લ્યૂ ઈકોનોમી, ગ્રીન હાઉસ ઈફેક્ટ, સસ્ટેનેબલ હોમ્સ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, વન્ય જીવ સૃષ્ટી અને જંગલોનો નાશ થતો અટકાવવા બાબતેના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા સ્પીચ અને ગ્રુપ ડિસ્કશન કરીને પર્યાવરણ સંરક્ષણ સંબધીત તેમના વિચારો રજૂ કર્યા હતાં. આ પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના આઈડિયાઝને સાંભળીને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. યુથ પાર્લામેન્ટમાં ભાગ લઈને સંસદ ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે જીટીયુના વિદ્યાર્થીઓ તેમજ જીસેટના ડાયરેક્ટર ડૉ.એસ. ડી. પંચાલ અને પ્રો. મૃદુલ શેઠને અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.