હાલમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મહોલ્લા ક્લિનિક પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વળતો પ્રહાર કરીને સી.આર પાટીલને દિલ્હીના મહોલ્લા ક્લિનિકની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે.
ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો દ્વારા મીડિયાને જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું છે તે સ્વાભાવિક છે. જ્યારથી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતના લોકોના હક અને અધિકારની વાત કરી છે સી.આર.પાટીલની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. તેથી જ છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આજે તેઓ ભાજપ દ્વારા કરેલા કામોની વાત કરવાને બદલે તેમના ભાષણોમાં દિલ્હી સરકારની ટીકા કરે છે.
સી.આર.પાટીલ ભાજપના સાંસદ છે. તેમને દિલ્હીના કોઈ કામની ટીકા કરવાની જરૂર નથી. જ્યારે ગુજરાતની ભાજપ સરકારે શું કામ કર્યું છે તે જણાવવું જોઈએ. પરંતુ આજે મારે દુઃખ સાથે કહેવું છે કે સી.આર.પાટીલ જ્યાં પણ ઊભા હોય છે ત્યાં દિલ્હી સરકારની ટીકા કરે છે. તે કહે છે કે દિલ્હીનું મહોલ્લા ક્લિનિક ખરાબ છે, દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા ખરાબ છે.
મારે પૂછવું છે કે દિલ્હીમાં પણ ભાજપ વિપક્ષમાં છે, તો શું ત્યાં ભાજપ ખતમ થઈ ગયું? ત્યાં વિરોધ પક્ષને બોલવામાં કોઈ મુશ્કેલી છે? વિરોધ પક્ષ ત્યાંનું કામ કરશે. પણ હવે અહીં બેસીને દિલ્હીની ટીકા કરી રહ્યા છે કે ‘આપ’નું મોહલ્લા ક્લિનિક ખરાબ છે, જ્યારે અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપના તમામ નેતાઓને દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું, તમે તે આમંત્રણ કેમ ઠુકરાવી દીધું? આજે પણ તમે માનો છો કે આમ આદમી પાર્ટીનું મોહલ્લા ક્લિનિક ખરાબ છે, તો આજે હું તમને આમ આદમી પાર્ટી વતી આમંત્રણ આપું છું કે તમે દિલ્હીના મોહલ્લા ક્લિનિકની મુલાકાત લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.