રાજ્યમાં જુલાઈ માસમાં જામ્યા બાદ ચોમાસાએ જાણે ફરી વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનાના હજુ સુધી ખેડૂતો અમી છાંટણાની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ ગુજરાત પર હજુ કોઈ સીસ્ટમ સક્રિય નથી. એવામાં હજુ પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 8 ઓગસ્ટ 2020 સુધીમાં ગત વર્ષે 51.63 ટકા વરસાદ પડ્યો હતો, જેની સામે આ વર્ષે 8 ઓગસ્ટ 2021 સુધીમાં 36.17 ટકા વરસાદ થયો છે. પાછલા વર્ષના પ્રથમ સપ્તાહની સરખામણીએ આ વર્ષે 15 ટકા વરસાદની હજુ સુધી ઘટ છે. અચાનક મેઘરાજા રિસાતા ધરતીપુત્રો પણ ચિંતાતુર બન્યા છે.
આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નહીવત
હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસ વરસાદ થવાની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. પરંતુ એકંદરે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધી રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાનું લાગી રહ્યું નથી. વરસાદ ન હોવાને કારણે ગરમીનો પારો પણ વધ્યો છે. એવામાં વાવણી બાદ વરસાદની રાહ જોઈને બેઠેલા રાજ્યના ખેડૂતો હજુ આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં માત્ર 6 એમ.એમ વરસાદ
ગત વર્ષે ઓગસ્ટ 2020ના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં 78 એમ.એમ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વખતે માત્ર 6 એમ.એમ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓગસ્ટ 2019ના પ્રથમ સપ્તાહમાં 186 એમ.એમ તથા ઓગસ્ટ 2018ના પ્રથમ સપ્તાહમાં 4.13 એમ.એમ વરસાદ નોંધાયો હતો.
ડાંગર, કપાસ સહિતના પાકોને લઇને ખેડૂતો ચિંતામાં
અમદાવાદમાં વરસાદ ખેંચાઇ જતા ખરીફ વાવેતરને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઉંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. જિલ્લામાં માંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે. જેના કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઇને ચિંતામાં પડયા છે. આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. સાણંદ, દસક્રોઇ, બાવળા, અને ધોળકાને ખારીકટ અને ફતેવાડી કેનાલનું સિંચાઇનું પાણી મળી રહેતા આ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત છે.
મગફળીમાં સુકારો, કપાસમાં ઈયળ
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખુબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચના કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે. આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, એટલે સરેરાશ વાવેતર સુધી પહોંચવું મુશ્કેલ થશે. એવી જ રીતે મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. ગયા વર્ષે મગફળીનું વાવેતર 20.37 લાખ હેક્ટરમાં હતું. પણ વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરુ થઇ ગયો છે જગતાત મુશ્કેલીમાં મુકાયો છે.
દુષ્કાળના ભણકારા
ગુજરાતમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. મોટાભાગના જળાશયો ખાલી છે. સુરેંદ્રનગરના 11 ડેમમાં માત્ર 17 ટકા જ પાણી છે. એમાંથી નીંભણી, મોરસલ અને સબૂરી એમ ત્રણ જળાશયો તો તળિયા ઝાટક છે. આવી જ હાલત ગુજરાતના તમામ જિલ્લાઓની છે. ઓગસ્ટમાં ગુજરાતના 50 ટકાથી વધુ ડેમ ભરેલા હોય છે પણ આ વખતે 61 ટકાથી વધુ ડેમ ખાલી જેવા છે. જો ગુજરાતમાં ખુબ સારો વરસાદ નહીં આવે, અને ડેમ ભરાશે નહીં તો આવનારા દિવસોમાં ગુજરાતે દુષ્કાળનો સામનો કરવો પડશે. ગયા વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં જામનગર જિલ્લામાં મોસમનો 107 ટકા વરસાદ વરસી ગયો હતો જ્યારે આ વખતે મોસમનો માંડ 36 ટાકા જ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ક્યા પાકનું કેટલું વાવેતર?
પાક | ગયા વર્ષે | આ વર્ષે |
કપાસ | 22,16,411 | 22,22,372 |
મગફળી | 20,37,748 | 18,93,734 |
બાજરો | 1,68,809 | 1,36,729 |
જુવાર | 19,785 | 16,594 |
તુવેર | 1,93,246 | 2,12,239 |
મગ | 71,597 | 73,337 |
અડદ | 78,794 | 1,40,549 |
સોયાબીન | 1,47,177 | 2,19,942 |
તલ | 1,19,124 | 79,055 |
શાકભાજી | 1,81,198 | 1,98,236 |
(વાવેતર હેક્ટરમાં)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.