આજે IPL 2023ની ક્વોલિફાયર-2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવા જઈ રહી છે. એને લઈને ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજની મેચમાં હવામાન કેવું રહેશે એ વિશે વાત કરીએ તો મહત્તમ તાપમાન 41 ડીગ્રી રહેશે. આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે મેચ પૂરી થાય ત્યાં સુધી રહે એવી શક્યતા હતી. તેવામાં સાંજે સાડા છ વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. સ્ટેડિયમ આસપાસના વિસ્તારોમાં છાંટા પડવાનું શરૂ થયુ હતું. વરસાદી ઝાપટું શરૂ થતાં મેચ જોવા આવેલા લોકો દોડવા લાગ્યા અને સ્ટેડિયમ તરફ અંદર જવા લાગ્યા હતા. જોકે ત્યારબાદ થોડી મિનિટોમાં વરસાદ બંધ થયો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે મેચ શરૂ થાય તે પહેલાં વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાં લોકોમાં દોડધામ મચી હતી. વરસાદ પડતાની સાથે જ લોકો મેટ્રો ટ્રેનના પિલરની નીચે ઉભા રહી ગયા હતા.
મેચ શરૂ થતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા હશે અને દર કલાકે વધીને મેચ પૂરી થાય ત્યાં સુધીમાં 66 ટકા સુધી પહોંચી જશે તેમજ પવનની ગતિ પણ ધીમી પડતાં બફારો થવાની પૂરી શક્યતા છે. વાદળછાયા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તો છૂટાછવાયા છાંટા પડે તો નવાઇ નહીં. જો કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી રવિવારે ફાઈનલ મેચમાં વરસાદ પડી શકે છે.
મેચ શરૂ થાય ત્યારે ભેજનું પ્રમાણ વધશે
આજની મેચ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો સાંજે 7 વાગ્યે વાદળછાયા વાતાવરણ વચ્ચે 37 ડીગ્રી તાપમાન રહેશે. 24 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 43 ટકા જોવા મળશે. રાતે 8 વાગ્યે એક ડીગ્રી તાપમાન ઘટીને 35 ડીગ્રી રહેશે, પવનની ગતિ ઘટીને 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભેજનું પ્રમાણ વધીને 51 ટકા જેટલું રહેશે.
સતત પવનની ગતિમાં ઘટાડો જોવા મળશે
રાતના 9 વાગ્યે તાપમાન એક ડીગ્રી ઘટીને 34 ડીગ્રી રહેશે અને પવનની ગતિમાં સતત ઘટાડો થતો જોવા મળશે. આ સમયે 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભેજનું પ્રમાણ વધીને 55 ટકા થઈ જશે, આથી પવનની ગતિ ધીમી પડતાં અને ભેજનું પ્રમાણ વધતાં બફારાનું પ્રમાણ ક્રમશ વધવા લાગશે, સાથોસાથ વાતારણમાં ઝાકળનું પ્રમાણ ઓછું જોવા મળશે, આથી ક્રિકેટરસિયાઓ પરસેવે રેબઝેબ થઈ શકે છે.
રાતે 10 વાગ્યે છૂટાછવાયા છાંટા પડી શકે
જ્યારે એક ટીમનો દાવ પતી ગયા પછી બીજી ટીમનો દાવ ચાલતો હશે, એટલે કે રાતના 10 વાગ્યે કેવું વાતાવરણ રહેશે એની વાત કરીએ તો તાપમાન 33 ડીગ્રી રહેશે અને વાદળાં જોવા મળશે. જ્યારે પવનની ગતિ ઘટીને 20 કિમીની થઈ જશે, સાથોસાથ ભેજનું પ્રમાણ વધીને 60 ટકા થઈ જશે, આથી છૂટાછવાયા છાંટા પડવાની શક્યતા છે.
રાતે 11 વાગ્યે બફારામાં થોડી રાહત મળશે
રાતના 11 વાગ્યે મેચ જ્યારે અંતિમ તબક્કામાં ચાલી રહી હશે ત્યારે તાપમાન ઘટીને 32 ડીગ્રી થઈ જશે. આ સમયે પણ પવનની ગતિ ઘટીને 19 કિમી થઈ ગઈ હશે. જોકે ભેજનું પ્રમાણ સતત વધીને 63 ટકા થઈ જશે, આ સમયે છાંટા પડવાની પૂરી શક્યતા છે. રાતના 11 વાગ્યા બાદ વાતાવરણમાં ઝાકળ પણ જોવા મળશે, આથી ક્રિકેટરસિયાઓને બફારામાંથી થોડી રાહત મળી શકે છે.
સ્ટેડિયમ જતી વખતે ક્રિકેટરસિયાઓ અસહ્ય ગરમી અનુભવશે
મેચ પૂરી થવાના સમયે એટલે કે રાતના 12 વાગ્યે તાપમાન 32 ડીગ્રી સાથે થોડી ઠંડકનો અનુભવ થશે. જોકે પવનની ગતિ 17 કિમીની રહેશે, જ્યારે ભેજનું પ્રમાણ 66 ટકા રહેશે. મેચ પૂરી થતાં જ ક્રિકેટરસિયાઓ બહાર નીકળશે ત્યારે પણ છાંટા પડે એવી શક્યતા છે. જ્યારે આજનું મહત્તમ તાપમાન બપોર પછી 4 વાગ્યે 41 ડીગ્રી રહેશે, આથી સ્ટેડિયમ જતી વખતે ક્રિકેટરસિયાઓ અસહ્ય ગરમીનો અનુભવ કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.