ગરમીને કારણે વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી ગરમીમાં શેકાવંુ ન પડે તે માટે માનવીય અભિગમ દાખવીને અમદાવાદ ટ્રાફિક પોલીસે એક નવતર પ્રયોગની દિશામાં પગલું ભરી બપોરના 1થી 4 વાગ્યા સુધી શહેરના 50 ટકા ટ્રાફિક સિગ્નલ પ્રાયોગિક ધોરણે બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એ પછી આ પ્રયોગ લંબાવવા અંગે વધુ નિર્ણય લેવામાં આવશે.
કાળઝાળ ગરમીમાં બપોરના સમયે વાહનોના ધુમાડા વચ્ચે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું કપરંુ બની રહ્યુ છે. તેમાંય ચાર પૈડા વાળા વાહનો કરતા ટુવ્હિલર અને થ્રી વ્હિલર વાહનચાલકોની સ્થિતિ દયનીય બની જાય છે. ઉપરથી ગરમીનો પ્રકોપ અને ડામરરોડ તેમાં વધારાનો વાહનોનો ધુમાડો વાહનચાલકોને પરસેવે રેબઝેબ કરી મુકે છે. આ સંજોગોમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે માનવીય અભિગમ રાખીને શહેરના 50 ટકા જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે 1થી 4 દરમિયાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે શુક્રવારે એક મીટિંગ યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બાબતે એડિશનલ પોલીસ કમિશનર (ટ્રાફિક) મયંકસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે પ્રાયોગિક ધોરણે શહેરમાં બે દિવસ સુધી પસંદગીના સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ કવાયત હાલમાં પ્રાયોગિક ધોરણે કરવામાં આવી રહી છે જેના પરિણામોની સમીક્ષા કર્યા બાદ આ દિશામાં નિર્ણય લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.