10 ટકા વ્યાજે લીધેલા રૂ.17 લાખની સામે રૂ.80થી 90 લાખ ચૂકવ્યાં હોવા છતાં વ્યાજખોરો ઉધરાણી કરી હેરાન કરતા અને ધમકી આપતા હતા. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક વ્યક્તિએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીના આધારે પોલીસે 4 વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.
ચાણકયાપુરીમાં ભાથીભાઈ દેસાઈ જમીન, મકાનની દલાલીનું કામ કરે છે. તેમણે 30 એપ્રિલે ફિનાઈલ પીધું હતું, જેથી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરને ભાથીભાઈ પાસેથી ચિઠ્ઠી મળી હતી, જેમાં લખ્યું હતું કે, ભાથીભાઈએ ગોવિંદભાઈ રબારી પાસેથી 5 દિવસના 10 ટકાના વ્યાજે રૂ.2 લાખ લીધા હતા. જોકે મૂડી અને વ્યાજ ચૂકવ્યા છતાં ગોવિંદભાઈ 8 લાખની ઉઘરાણી કરતા અને તેમના ભાઈ કાળુભાઈ, રાજુભાઈ ધમકી આપતા હતા.
આ ઉપરાંત આનંદભાઈ રબારી પાસેથી ભાથીભાઈએ રૂ. 15 લાખ વ્યાજે લીધા હતા, જેનું વ્યાજ-પેનલ્ટી સાથે રૂ.70થી 80 લાખ ચૂકવ્યા હતા છતાં તેઓ ઉઘરાણી કરતા હતા. આ અંગે ભાથીભાઈના ભત્રીજા વિશાલભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં આનંદભાઈ રબારી, રાજુભાઈ, કાળુભાઈ અને ગોવિંદભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.