હજુ બુધવારે જ દિવ્ય ભાસ્કરે ગુજરાત સરકારના કોરોના પોઝિટિવ કેસ ઘટાડવા માટે ટેસ્ટની સંખ્યા ઘટાડવાના નકારાત્મક પ્લાન અંગે સમાચાર છપાયા બાદ આખો દિવસ ગુજરાત સરકાર ખુલાસા કરતી રહી કે ટેસ્ટની સંખ્યા ઘટશે નહીં પરંતુ તે કુલ ક્ષમતા અનુસાર 3000ની રહેશે, પરંતુ શુક્રવારે સામે આવેલા આંકડા તો ખૂબ ચોંકાવનારા રહ્યા. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 1500થી પણ ઓછા ટેસ્ટ થયા, તેની સામે પોઝિટિવ કેસ 191 આવ્યા અને રાજ્યમાં કોરોનાનો આંકડો 2,815 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 15 મોત
શુક્રવારે સાંજની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજયમાં માત્ર 1,438 ટેસ્ટ થયા હોવાનું સરકારના આંકડાઓ પર જણાય છે. ગુરુવારે સાંજની સ્થિતિએ રાજયમાં કુલ 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે સંખ્યા શુક્રવારે 43,822ની જાહેર કરાઇ હતી. એટલે 43,822 માંથી 42,384 બાદ કરતાં 1438 ટેસ્ટ થયા હોવાનું સત્તાવાર ચિત્ર સામે આવ્યું છે. આ સાથે ગુજરાતમાં અમદાવાદના 14 અને સૂરતના 1 મળીને કુલ 15 લોકો મૃત્યુ પામ્યા છે અને આ સાથે ગુજરાતમાં કુલ 127 લોકો કોરોનાના ભોગ બન્યા છે. જ્યારે 29 લોકો વેન્ટિલેટર પર છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે.
પ્રસૂતાનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે
રાજ્યમાં કલસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો તથા હોટસ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસોમાં પ્રસુતિ થવાની હોય તેવી મહિલા બિમારીના કોઇ લક્ષણો ધરાવતી ન હોય તો પણ પ્રસુતા આરોગ્ય સંભાળની તકેદારી રુપે તેમના કોવિડ-19 તપાસણી ટેસ્ટ કરવામાં આવે. તેમણે ઉમેર્યુ કે, આવા ટેસ્ટ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ICMRની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવશે.
દર્દીના પ્લાઝમા કલેક્ટ કર્યાં
ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સમક્ષ આ અંગેની મંજૂરી આપવા રજૂઆત કરી હતી. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને સાથે ગુજરાતને મંજૂરી પણ આપી હતી. ગુજરાતે કોરોના પોઝિટિવમાંથી નેગેટીવ થયેલા દર્દીના પ્લાઝમા કલેક્ટ કર્યા હતા અને જરૂરી તમામ પરીક્ષણો બાદ તેને પ્રાયોગિક ધોરણે બે દર્દીઓને ચઢાવવામાં આવ્યા હતા.
રેપિડ ટેસ્ટીંગ શરૂ થયા
રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કિટથી રાજ્યના 30 જિલ્લાઓમાં સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવાયા છે તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગાંધીનગર સરકારી મેડીકલ કોલેજમાં ટેસ્ટીંગ લેબોરેટરી શરૂ કરવા ICMRની મંજુરી મળી ગઇ હોવાથી દૈનિક ટેસ્ટની સંખ્યા વધી જશે.
આરોગ્ય સચિવ કહે છે કે પૂરતા ટેસ્ટ થાય છે
ટેસ્ટની સંખ્યા બાબતે જયંતિ રવિએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં દરેક જિલ્લાના નાગરિકોને આવા ટેસ્ટથી આવરી લઈ કોરોનાનો વ્યાપ અટકાવવા જણાવ્યું છે. તેને પગલે રાજ્યના બધા જિલ્લાઓમાંથી 100-100 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં 4212 ટેસ્ટ પણ થયેલા છે.
29 દર્દી વેન્ટીલેટર પર અને 2394ની હાલત સ્થિર
કોરોના અંગે અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 193 કેસ નોંધાયા છે. જેમાં અદાવાદમાં 169, સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, પંચમહાલમાં 3 ભાવનગરમાં 2 અને વલસાડ, બોટાદ 2 અને ગાંધીનગર અને પાટણ 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 15 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 14 અને સુરતમાં 1નું મોત થયું છે અને 7 દર્દી સાજા થયા છે. કુલ 2817 દર્દીમાંથી 29 દર્દી વેન્ટીલેટર પર અને 2394ની હાલત સ્થિર છે જ્યારે 265 સાજા થયા અને 127ના મોત છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 43,822 ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમાંથી 2818ના રિપોર્ટ પોઝિટિવ અને 41007ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
બોટાદમાં 2 અને પાટણમાં 1 પોઝિટવ કેસ નોંધાયો
બોટાદમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 40 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે બોટાદમાં કુલ 13 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે એકનું મોત થયું છે અને 12 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ મહિલાના પતિનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાટણમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ચાણસ્મા ગામમાં 70 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. ત્યારે પાટણમાં કુલ 16 પોઝિટિવ કેસ થયા છે.
24 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યુંઃ CM રૂપાણી
રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ મામલે આજે મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયાને જણાવ્યું કે, નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યું છે. કર્ફ્યુ ન લગાવ્યો હોત તો હાલત ખરાબ હોત. મૃત્યુદર 3થી 4 ટકા છે ડરવાની જરૂર નથી. રાજ્યના 70થી 80 ટકા કેસ સુરત, અમદાવાદ, સુરત અને વડોદરાના છે. તબીબોને ચેપ લાગી રહ્યો હોવાછતાં હાલ 18 કલાક કામ કરી રહ્યાં છે. રાજ્યમાં વેન્ટીલેટરની કોઈ અછત નથી.
કલસ્ટર-કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં અને લેબર કેમ્પમાં રહેતી સગર્ભા-પ્રસૂતા કોરોના ટેસ્ટ થશે
મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને નિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાં કલસ્ટર કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો તથા હોટસ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસોમાં પ્રસુતિ થવાની હોય તેવી બહેનો બિમારીના કોઇ લક્ષણો ધરાવતી ન હોય તો પણ પ્રસુતા આરોગ્ય સંભાળની તકેદારી રુપે આવી બહેનોના કોવિડ-૧૯ તપાસણી ટેસ્ટ કરવામાં આવે.
કર્ફ્યૂ દરમિયાન કુલ 482 ગુના દાખલ કર્યાં અને 544 આરોપીની ધરપકડ કરીઃ DGP
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ અંગે જણાવ્યું કે, ત્રણેય શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે. કર્ફ્યૂમાં લોકોએ સહકાર આપ્યો છે. કર્ફ્યૂ ભંગના અમદાવાદમાં કુલ 198 ગુનામાં 223ની ધરપકડ કરવામાં આવી છે. એવી જ રીતે સુરતમાં કુલ 155 ગુનામાં 158 લોકોની અને રાજકોટમાં કુલ 129 ગુનામાં 143 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમ કર્ફ્યૂ દરમિયાન રાજ્યમાં કુલ 482 ગુના દાખલ કરવામાં આવ્યા તેમાં 544 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 51 ગુના ડ્રોન અને 6 ગુના સીસીટીવીના ઉપયોગથી દાખલ કરવામાં આવ્યા છે. 3 મે સુધી લોકડાઉન ચાલુ છે, જેથી તમામ સ્થળોએ લોકડાઉનનો કડક અમલ ચાલુ રહેશે. જ્યાં કર્ફ્યૂ હતો અને સંક્રમણ વધારે ફેલાયેલું છે ત્યાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે.
રાજ્યમાં 98 સબ રજિસ્ટ્રારની કચેરી શરૂ, દસ્તાવેજની નોંધણી ઓનલાઇન કરાવવાની રહેશે
રાજ્યમાં ધીરે-ધીરે સરકારી કામકાજ શરૂ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપી છેકે, રાજ્યમાં 98 સબ રજિસ્ટ્રારની કચેરીઓ શરૂ કરવામાં આવશે. જોકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે અને દસ્તાવેજની નોંધણી ઓનલાઇન કરાવવાની રહેશે. રાજ્યમાં 40 હજાર ઉદ્યોગો શરૂ થયા છે અને 5 લાખ જેટલા શ્રમિકો કામે પરત ફર્યા હોવાનું મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું છે.
સુરેન્દ્રનગરના થાનગઢના 61 વર્ષીય વ્યક્તિને કોરોના, ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની છે. કોરોનાનો પોઝિટિવ કેસ આતા જિલ્લા તંત્રમાં દોડધામ મચી છે. ગાંધીનગરમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં ડોક્ટરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
રાજ્યમાં અત્યારે દરરોજ 3 હજાર જેટલા ટેસ્ટ થાય છેઃ જયંતિ રવિ
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગને લઇને ઉઠી રહેલા પ્રશ્નોને લઇને આજે પણ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજ્યમાં થઇ રહેલા ટેસ્ટ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છેકે, રાજ્યમાં અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. 5 એપ્રિલે 750 ટેસ્ટ કરવામાં આવ્ય હતા. જે આજે દરરોજ 3 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. 20 એપ્રિલે 4212 જટેલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ પ્રક્રિયા વધારવાની સાથે નાના જિલ્લાઓમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.
ત્રણેય મહાનગરોમાં આજથી કર્ફ્યૂ હટાવી લેવાયો
સતત કેસોમાં વધારો થતાં અને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબક્કાવાર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ ત્રણેય મહાનગરોમાં આજથી એટલે કે શુક્રવારથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. જોકે લોકડાઉન આ ત્રણેય શહેરો રાજ્યના અન્ય શહેરોની માફક યથાવત છે.
68થી 70% ટેસ્ટ સાચા હોય છે
આરોગ્ય વિભાગના એક તબીબ અધિકારીએ જણાવ્યું કે કોરોના માટે કરાતા પીસી પીઆરટી ટેસ્ટમાં 68થી 70 ટકા ટેસ્ટના પરિણામ સાચા હોય છે જ્યારે બાકીના ખોટા હોઇ શકે છે. તેથી આવું જો લાગે તો ફરી એકવાર ટેસ્ટ પણ કરાતો હોય છે. જોકે વિકસિત દેશોમાં તેનું પરિણામ 80 ટકા કિસ્સામાં સાચું હોય છે. ઘણીવાર સેમ્પલ લીધા બાદ તેની યોગ્ય જાળવણી કરી ન હોય તો પણ ટેસ્ટ ખોટા આવી શકે છે.
કુલ દર્દી 2817, 127ના મોત અને 265 ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 1821 | 83 | 113 |
વડોદરા | 223 | 11 | 53 |
સુરત | 462 | 14 | 15 |
રાજકોટ | 41 | 00 | 12 |
ભાવનગર | 35 | 05 | 18 |
આણંદ | 36 | 02 | 13 |
ભરૂચ | 29 | 02 | 03 |
ગાંધીનગર | 19 | 02 | 11 |
પાટણ | 16 | 01 | 11 |
નર્મદા | 12 | 00 | 00 |
પંચમહાલ | 15 | 02 | 00 |
બનાસકાંઠા | 16 | 00 | 01 |
છોટાઉદેપુર | 11 | 00 | 03 |
કચ્છ | 06 | 01 | 01 |
મહેસાણા | 07 | 00 | 02 |
બોટાદ | 12 | 01 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 04 | 00 | 00 |
ખેડા | 05 | 00 | 01 |
ગીર-સોમનાથ | 03 | 00 | 02 |
જામનગર | 01 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
સાબરકાંઠા | 03 | 00 | 02 |
મહીસાગર | 9 | 00 | 00 |
અરવલ્લી | 18 | 01 | 00 |
તાપી | 01 | 00 | 00 |
વલસાડ | 05 | 01 | 00 |
નવસારી | 01 | 00 | 00 |
ડાંગ | 01 | 00 | 00 |
સુરેન્દ્રનગર | 01 | 00 | 00 |
કુલ | 2817 | 127 | 265 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.