શનિવારે ગુજરાતમાં 277 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 1,376 પર પહોંચ્યો છે. આ ઉપરાંત અમદાવાદ એકલામાં જ 240 કેસ નવા નોંધાયા છે, અર્થાત્ બીજા વિસ્તારોમાં કે જિલ્લા અથવા શહેરોમાં 37 કેસો નવા નોંધાયા છે. તેમાં પણ અમદાવાદમાં જે વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં છે તેમાંથી જ મહત્તમ કેસ વધી રહ્યા છે, જ્યારે શહેરના બાકીના વિસ્તારોમાં કેસોમાં આવેલો વધારો અપેક્ષા કરતાં ઓછો છે. જોકે આ સાથે શનિવારે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં અન્ય 12 લોકોના મોત થયા છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા ઔષધિ લેવાની અપીલ
આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે આ આંકડાને લઈને ગભરાઈ જવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જોઈએ. અમદાવાદમાં જે નવા કેસો નોંધાયા છે તે પૈકીના મોટાભાગના એ જ વિસ્તારમાં નોંધાયા છે જ્યાં હાલ રોગને ડામવા ભરપૂર પ્રયાસ અને મોટાપાયે ટેસ્ટિંગ થઈ રહ્યા છે. રવિએ જણાવ્યું કે હવે જ્યાં શહેરોમાં કેસની સંખ્યા વધી રહી છે ત્યાં એ જરૂરી છે કે લોકો આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે જેથી તેમને તેમની આસપાસ કોરોના પોઝીટીવ લોકોની માહિતી મળી રહે. આ ઉપરાંત લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદિક અને હોમિયોપથી ઔષધિ લેવી જોઈએ.
છૂટછાટના નિયમો મામલે મુખ્યમંત્રીએ બેઠક યોજી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 તારીખથી હળવા થઈ રહેલા લૉકડાઉન અને ઉદ્યોગધંધા તથા વ્યાપારી એકમોને કાર્યરત કરવા અપાઈ રહેલી છૂટછાટ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ક્લસ્ટર ઝોનમાં રહેતા સરકારી કે ખાનગી એકમોના કર્મચારીઓએ ફરજ પર હાજર થવાનું નથી કે તેમને હાજર રાખવાના નથી. આ ઉપરાંત હજુ પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ ઔદ્યોગિક એકમો શરૂ કરી શકાશે નહીં.
કર્ફ્યુ અન્ય વિસ્તારોમાં પણ આવી શકે
હાલ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં અમુક વિસ્તારોમાં કે જ્યાં ખુબ વધુ પોઝીટીવ કેસો નોંધાયા છે ત્યાં કર્ફ્યુ જાહેર કરાયો છે પરંતુ જો હજુ કેસમાં વધારો થાય અને કાબુમાં ન આવે તો કેસોની સંખ્યા જોઈને અન્ય વિસ્તારોમાં પણ કર્ફ્યુ લાદવામાં આવી શકે છે. તે ઉપરાંત જો કર્ફ્યુ વિસ્તારમાં પણ જરૂર જણાય તો અવધિ લંબાઈ શકે છે, પરંતુ હજુ આ નિર્ણય આખરી કરાયો નથી, પણ તે સંજોગોને લઈને માત્ર સમીક્ષા કરવામાં આવી છે.
છેલ્લા 9 દિવસમાં 1196 કેસ
અમદાવાદમાં શનિવાર સુધીમાં 862 પોઝિટિવ કેસ થઈ ગયા. અહીંની વસતી 75 લાખ ગણીએ તો પ્રતિ 10 લાખ પર 115 પોઝિટિવ કેસ થાય.ઇંદોરમાં પ્રતિ 10 લાખની વસતીએ 236 દર્દી છે. જ્યારે મુંબઈમાં પ્રતિ 10 લાખ પર 67 અને દિલ્હીમાં 62.44 પોઝિટિવ કેસ છે.
એક જ દિવસમાં 200થી વધુ કેસ ધરાવતા અમદાવાદ પણ ચોથા નંબરે
એક દિવસમાં 200થી વધુ પોઝિટિવ કેસ ધરાવતા શહેરોમાં અમદાવાદનો દેશમાં ચોથો નંબર છે. આ પહેલા દિલ્હીમાં 13 એપ્રિલે 356 કેસ મળ્યાં હતા. મુંબઈમાં 14 એપ્રિલે 242, ઇંદોરમાં 17 એપ્રિલે 242 દર્દી મળ્યાં હતા. ત્રણેય શહેરમાં પોઝિટિવ કેસ મળવાની ઝડપ ઘટવા લાગી છે.
સૌથી વધુ કેસ; 862 પોઝિટિવ સાથે દિલ્હી, મુંબઈ, ઇન્દોર પછી અમદાવાદ ચોથું
અમદાવાદ દેશનું ત્રીજું મોટું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં શનિવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 240 પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 862 પોઝિટિવ થઈ ગયા છે. અમદાવાદમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત 25 રાજ્યોથી વધુ કેસ છે. મુંબઈ અને દિલ્હી પછી અમદાવાદ સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતું ત્રીજુ શહેર છે.
ટોપ 5 શહેર
મુંબઈ - 3648
દિલ્હી - 1893
ઇન્દોર - 892
અમદાવાદ - 862
જયપુર - 519
સૌથી વધુ મોત; ગુજરાતમાં 53 મોત, મોતના મામલે દેશમાં ત્રીજા ક્રમે પહોંચ્યું
જે ઝડપથી ગુજરાતમાં પોઝિટિવ કેસ વધી રહ્યાં છે એટલી જ ઝડપે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. શનિવાર સુધી ગુજરાતમાં 53 લોકોના મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર 201 મોત સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે મધ્ય પ્રદેશ 62 મોત સાથે બીજા ક્રમે છે. બીજી બાજુ અમદાવાદમાં 25 મોત થયા છે જે 29 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ કરતા પણ વધુ છે. દેશમાં 13 રાજ્ય એવા પણ છે જ્યાં એક પણ મોત નોંધાયા નથી.
પોલીસકર્મીઓને PPE કીટ અપાશેઃ રાજ્ય પોલીસ વડા
કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં કડક પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને સુરક્ષાના ભાગરૂપે PPE કીટ આપવામાં આવશે. રાજ્ય આઇબી દ્વારા કર્ફ્યુ અને લોકડાઉન પર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં કર્ફ્યુ ભંગના 130 ગુનામાં 118 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરતમાં 64 ગુનામાં 68ની અને રાજકોટમાં 15 ગુનામાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
66 લાખ કાર્ડ ધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. 1000 જમા કરાવાશે
રાજ્ય સરકાર અન્ન સુરક્ષાધારા હેટળ 66 લાખ કાર્ડ ધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. 1000 જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. સરકાર ડેટાના આધારે રકમ જમા કરાવશે. આ માટે સરકાર પર 660 કરોડનો બોજો આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
18 એપ્રિલના સવારથી અત્યારસુધીના મહત્વપૂર્ણ ઘટનાઓ
>> રાજકોટની હોસ્પિટલમાં ધમણ-1 વેન્ટીલેટર અપાયુ, 100 વેન્ટીલેટર્સ અમદાવાદ મોકલાશે
>>અમદાવાદમાં કોરોના કંટ્રોલ કરવા યુદ્ધના ધોરણે એક્ટિવ સર્વેલન્સ કરવા મુખ્યમંત્રીનો આદેશ
>> મુખ્યમંત્રીએ કોરોના વાઈરસના સંક્રમણ અંગે અમદાવાદ જિલ્લા અને શહેરના સાંસદ અને ધારાસભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
>> અમદાવાદના 743 કેસોમાંથી 575 કેસો માત્ર કોટ અને દક્ષિણ વિસ્તારમાં જ ફેલાયા
>> જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓને આવશ્યક પ્રાથમિક સેવાઓ સરળતાથી મળી રહે તે માટે કંટ્રોલ રૂમ અને ટીમની રચના કરવામાં આવી.
>> સુરતના સચિન તલંગપુરમાં કામદારોનો હંગામો, પોલીસે કામદારોને સમજાવીને ઘરે પરત મોકલ્યા
સવારે 143 કેસો એકલા અમદાવાદમાં નોંધાયા
રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં 143 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. ભાવનગરમાં વધુ ત્રણ અને રાજકોટમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં અત્યારસુધીમાં 1279 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં વધુ સાત લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 થયો હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે. ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે.
24 હજાર રેપિડ ટેસ્ટ કિટ દિલ્હીથી અમદાવાદ પહોંચી
ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો શુક્રવારે મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કિટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી 2-3 દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કિટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર RTPCR ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું. આ કિટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે. જોકે આ કિટના ઉપયોગ અંગે હજુ આરોગ્ય કર્મીઓને તાલીમ આપવાની હોઇ તેનો ઉપયોગ શરૂ કરવામાં એકાદ બે દિવસ લાગશે.
રાજ્યમાં 1376 પોઝિટિવ કેસ, 53 મોત અને 93 ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 862 | 25 | 27 |
વડોદરા | 158 | 07 | 07 |
સુરત | 153 | 07 | 10 |
રાજકોટ | 30 | 00 | 09 |
ભાવનગર | 30 | 04 | 10 |
આણંદ | 27 | 01 | 03 |
ભરૂચ | 22 | 00 | 02 |
ગાંધીનગર | 17 | 02 | 10 |
પાટણ | 15 | 01 | 11 |
નર્મદા | 11 | 00 | 00 |
પંચમહાલ | 09 | 02 | 00 |
બનાસકાંઠા | 08 | 00 | 00 |
છોટાઉદેપુર | 06 | 00 | 00 |
કચ્છ | 04 | 01 | 00 |
મહેસાણા | 04 | 00 | 00 |
બોટાદ | 04 | 01 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 02 | 00 | 00 |
ખેડા | 03 | 00 | 00 |
ગીર-સોમનાથ | 02 | 00 | 01 |
જામનગર | 01 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
સાબરકાંઠા | 01 | 00 | 00 |
મહીસાગર | 02 | 00 | 00 |
અરવલ્લી | 01 | 01 | 00 |
કુલ | 1376 | 53 | 93 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.