દાદાએ સંપત્તિ જાહેર કરી:માતર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સામે કાર્યકરોમાં રોષ, ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠકથી ઉમેદવારી ફોર્મ ભર્યુ

અમદાવાદ4 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયા છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (દાદા)એ અમિત શાહ સાથે રોડ શો કર્યો હતો. ત્યારબાદ ઘાટલોડિયા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમણે કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે. જેમાં જંગમ સંપત્તિ 3.63 કરોડ અને સ્થાવર- 4.59 કરોડ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસે આખેર 37 ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરી છે. યાદી જાહેર થતાં જ માતર બેઠક પર કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે. ખેડા જિલ્લામાં ટિકિટ જાહેર થતાં માતર બેઠક પર કોંગ્રેસનો રોષ સામે આવ્યો છે.

મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે?
વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપતા તેઓ નારાજ છે. મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે આજે સીઆર પટેલ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓને મળવા માટે વડોદરા એરપોર્ટમાં બોલાવ્યા હતા. જોકે મધુ શ્રીવાસ્તવની નારાજગી જારી રહી હતી અને તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવવા પર હજુ સુધી અડગ વિચાર વ્યક્ત કર્યો છે. આવતીકાલે ચૂંટણી ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે ત્યારે હવે જોવું રહ્યું કે મધુ શ્રીવાસ્તવ છેલ્લા દિવસે અપક્ષ ફોર્મ ભરે છે કે નહીં.

માતર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સામે રોષ
ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક પૈકી 4 વિધાનસભા બેઠક પર કોંગ્રેસે છેલ્લે છેલ્લે ઉમેદવારો જાહેર કરી દીધા છે. છેલ્લા કેટલાય દિવસોથી કોકડું ગુચાયુ હતુ. પરંતુ આજે ટીકીટ આપતાં માતર બેઠક પર કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે. ખેડા જિલ્લામાં ટિકિટ જાહેર થતાં માતર બેઠક પર કોંગ્રેસનો રોષ સામે આવ્યો છે. કાર્યકરોનુ કહેવું છે કે, બે વાર હારેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે જેના કારણે રોષના વંટોળ ઊભા થયા છે. કોંગ્રેસ દ્વારા ટિકિટ વેચવામાં આવી હોય તેવા આક્ષેપો પણ કરાયા છે. રૂપિયા લઇને ટિકિટ વેચવામાં આવતી હોવાનું કાર્યકર ભગતસિંહ જણાવ્યું છે.

સંજય પટેલને કોંગ્રેસમાંથી આપી ટિકિટ
ધારાસભ્ય ઉમેદવાર પણ ઘટના સ્થળે પોહચતા હોબાળો થયો હતો. હોબાળો થતા માતર પોલીસ પણ ઘટના સ્થળે ધોડી આવી હતી. કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર સંજય પટેલ કાર્યલય પોહચતાં હોબાળો મચ્યો હતો. માતર વિધાનસભા પર સંજય પટેલને કોંગ્રેસમાંથી ટિકિટ આપી છે. સંજય પટેલ અગાઉ કોંગ્રેસમાંથી બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે પણ અહીયા જીત મેળવી નથી. વર્ષ 2012 અને 2017માં આ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. પરંતુ બંને વાર જીત મેળવવામાં સફળ નોહતા રહ્યા. આ વખતે પાર્ટીએ ત્રીજી વાર આપી ટિકિટ આપતાં સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુહાનાબેન મન્સૂરીનું AIMIM પક્ષમાંથી રાજીનામું
અમદાવાદના મકતમપુરા વોર્ડના AIMIM પાર્ટીના કોર્પોરેટર સુહાનાબેન મન્સૂરીએ આજે AIMIM પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. વેજલપુર વિધાનસભા બેઠક પરથી AIMIM પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે સુહાના મન્સૂરીએ પક્ષ પાસે ટિકિટ માંગી હતી. સુહાના મન્સૂરીની જગ્યાએ જેનુલબીબીને વેજલપુર વિધાનસભાની ટિકિટ આપવામાં આવતા આજે સુહાના બેને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપક્ષ કોર્પોરેટર તરીકે ચાલુ રહેશે.

અન્ય કોર્પોરેટરને ટિકિટ ફાળવી દીધી: સુહાના મન્સૂરી
AIMIMના મકતમપુરા વોર્ડના કોર્પોરેટર સુહાના મન્સૂરી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાય વર્ષથી મકતમપુરા ગ્રામ પંચાયતથી લઇ અને અનેક ચૂંટણીઓ લડી છું. કોંગ્રેસમાંથી પણ લડી અને બાદમાં AIMIMથી પણ લડી ત્યારે સારા મતોથી મારો વિજય થયો છે અને હું હિન્દુ મુસ્લિમ કોમી એકતાથી આ વિસ્તારમાં કામ કરું છું મને ચાર દિવસ પહેલા પણ પાર્ટી દ્વારા ફોર્મ ભરીને તૈયાર રાખવાનું કહ્યું હતું. બાદમાં મારી જગ્યાએ અન્ય કોર્પોરેટરને ટિકિટ ફાળવી દીધી છે. પાર્ટી દ્વારા બેવડી નીતિને કારણે મને ફોર્મ ભરવાનું તૈયાર રાખવાનું કહી અને બાદમાં મારી ટિકિટ કાપી અને અન્ય ઉમેદવાર જાહેર કરતા આજે મેં AIMIM માંથી રાજીનામું આપ્યું છે હું હવેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપક્ષ કોર્પોરેટર તરીકે મારી ફરજ ચાલુ રાખીશ અને લોકોના કામ કરીશ.

કોગ્રેસે 37 ઉમેદવાર જાહેર કર્યા
કોંગ્રેસે આખરે બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં 37 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં બાયડ બેઠક પરથી મહેન્દ્રસિંહ વાઘેલા, ધોળકામાં અશ્વિન રાઠોડ, કાલોલમાં પ્રભાતસિંહ સહિતના ઉમેદવારો જાહેર કર્યા છે.

ભાજપે 3 ઉમેદવાર જાહેર કર્યા
ભાજપે માણસાથી જયંતીભાઈ પટેલ, ખેરાલુથી સરદાર ચૌધરી અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપી છે. પરંતુ યોગેશ પટેલના કારણે કોંકડું ગૂંચવાયું છે. આ સીટને હજુ સુધી જાહેર કરી નથી. પટેલ હજુ આ બેઠક છોડવા તૈયાર ન હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ સાતમી વખતે અહીં ચૂંટણી લડવા માગતા હોવાની ચર્ચા છે. જ્યારે કરજણ બેઠક પરથી બળવો કરનાર સતિશ નિશાળિયા ચૂંટણી નહીં લડે. હવે આ બેઠક પરથી ભાજપ માટે ઘાત ટળી ગઈ છે.

સુરતનો પોલિટિકલ ડ્રામા
સુરત પૂર્વ બેઠક ઉપર ખરાખરીના જંગ વચ્ચે આપના ઉમેદવાર કંચન જરીવાલાએ નાટ્યાત્મક રીતે ફોર્મ પાછું ખેચ્યું છે. ત્યારે સવારે ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવતું ટ્વિટ કર્યું હતું. પરંતુ સાંજે પરિસ્થિતિમાં વધુ એક વળાંક આવ્યો હતો અને ફોર્મ પાછું ખેંચ્યા બાદ જરીવાલાએ પોલીસ પાસે સુરક્ષાની માગ કરી હતી અને પત્રકાર પરિષદ યોજવા માટે પોલીસની સુરક્ષા માગી હતી. એટલું જ નહીં, આપના કાર્યકરો અને કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાઇકલવાળા તરફથી જીવનું જોખમ હોવાનું જણાવીને અરજી કરી હતી.

ધંધૂકામાં કોંગ્રેસના ઉમેદવાર બદલવા માંગ
કોંગ્રેસમાં કકળાટ થવો એ હવે નવી વાત રહી નથી. ધંધૂકામાં રાજુભાઈ ગોહિલને રિપીટ કરો તેવી માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિય સમાજના વ્યક્તિને ટિકિટ આપવાનો કારસો રચાયો હોવાનો કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. રાજુભાઈ ગોહિલને ટિકિટ નહીં મળે તો કોળી સમાજ, મુસ્લિમ સમાજ અને અન્ય સમાજ કોંગ્રેસને બતાવી દેશે. બીજી તરફ અમદાવાદમાં જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ ઉમેદવારી ફોર્મ ભરવા રેલી યોજી હતી.

જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા ફોર્મ ભરવા નીકળ્યા
જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા ફોર્મ ભરવા નીકળ્યા

રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો
NCPમાંથી રેશ્મા પટેલે રાજીનામું આપ્યા બાદ આજે અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે રેશ્મા પટેલે રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતાંની સાથે જ વિરમગામ ઉમેદવારને બદલી અને હવે રેશ્મા પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું 'પાટીદાર આંદોલનનો મહત્ત્વનો ચહેરો AAPમાં જોડાઈ રહ્યો છે.

ઈસુદાનનું ટ્વિટઃ કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબ
સુરત પૂર્વ બેઠક ઉપર ખરાખરીનો જંગ થાય તેમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાઇકલવાલા, ભાજપ તરફથી સિટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું છે. આવી સ્થિતિમાં કંચન જરીવાલાને જો 10થી 15 હજાર વોટ પણ મળે તો ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક ઉપર જીતવું મુશ્કેલ બની જાય તેમ છે. જેને કારણે સામ-દામ-દંડના ભેદની નીતિ અપનાવવામાં આવી હોય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દરમિયાન ઈસુદાન ગઢવી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે કંચન જરીવાલાને ભાજપના ગુંડાઓએ ઉઠાવી લીધા હોવાની શક્યતા છે. કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબ છે.

અમિત શાહે કહ્યું, ચૂંટણી પછીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર ત્રણ મિનિટ સુધી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઘાટલોડિયાના દરેક નાગરિક મારા પરિવારજન છે. દરેકનો સહકાર મળ્યો છે એટલે જ લાગી રહ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. અહીં સંતો પણ હાજર છે. તેઓ આશીર્વાદ આપે. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધી અવાજ જોઈએ... એમ પ્રચંડ અવાજથી ભારત માતા કી જય બોલો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે. ઘણા સમાજના લોકો અહીં ફોર્મ ભરાવવા માટે આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું.

પહેલાં 365 દિવસમાં 250 દિવસથી વધુ કર્ફ્યૂ રહેતો હતો
1990થી ભાજપ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ રાખ્યો છે. ગુજરાતની જનતાની અસીમ કૃપા રહી છે. આપણી ઝોળી કમળથી ભરી દીધી છે. એકપણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય નથી દેખાડ્યો. 2022માં જેને જે હિસાબ લગાવી દેવો હોય એ કરજો, બધા રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનશે.1995થી 2022 સુધીનો આ સમયગાળો માત્ર ગુજરાત નહિ, દેશના લોકતંત્રના ઈતિહાસમાં છે. આ એ જ ગુજરાત છે, જે 10 વર્ષ સુધી કોમી હુલ્લડોથી પીડાતું હતું. 365 દિવસમાં 250 દિવસથી વધુ કર્ફ્યૂ હતો. આજે 20 વર્ષના છોકરાને પૂછીએ તો તેના જીવનમાં કર્ફ્યૂ જોયો નથી. સ્કૂટર લઈ કોટ વિસ્તારમાં દીકરો જાય તો માળા જપે કે મારા દીકરાને પાછો લાવજો.

કોઈની હિંમત નથી કાંકરીચાળો કરે
આજે જે લોકો ગુજરાતને પરેશાન કરતા હતા તેમની હિંમત નથી કે કાંકરીચાળો કરે. ભાજપે સુરક્ષાનો માહોલ ઊભો કર્યો છે. ગુજરાત પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ છે. ગેરકાનૂની કામ થતાં હતાં. આજે બધું સમાપ્ત થઈ ગયું છે. આ નરેન્દ્ર મોદી સરકારે અમદાવાદ, મુંબઈ સિવાય 8 હાઇવે બનાવ્યા. દરેક જિલ્લા સુધી વિકાસ પહોંચાડ્યો. ગુજરાતની ભાજપ સરકાર આજે 24 કલાક વીજળી આપે છે. ગુજરાતમાં જળસંચય અભિયાન શરૂ કર્યું અને નર્મદાનું પાણી 13000 તળાવમાં ઠાલવ્યું અને તળ ઉપર લાવ્યાં. હું અહીં 25 વર્ષ ધારાસભ્ય રહ્યો છું અને હવે સાંસદ સભ્ય છું. જોતજોતામાં રોડ, ઓવરબ્રિજ, પાણી, ગટર, મેટ્રો, AMTS વગેરે વ્યવસ્થાઓ ભાજપની સરકારે ઊભી કરી છે. કોંગ્રેસ કહે છે કે તેમનું કામ બોલે છે. તમે સત્તામાં જ ક્યાં છો તો કામ કર્યું હોય. શું આ ગુજરાતની જનતા નથી સમજતી? આવતા વખતે ઉમેદવાર શોધતા અઢી મહિના થાય એવો પ્રચંડ વિજય અપાવવાનો છે. બે હાથ જોડી વિનંતી કરું છું કે કમળના બટનને દબાવજો. અહીંથી ધારાસભ્ય અને મુખ્યમંત્રી બંને મળે. રેકોર્ડતોડ મતદાન કરી ભૂપેન્દ્ર પટેલને જિતાડીએ એવી આશા છે.

ઘાટલોડિયામાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા.
ઘાટલોડિયામાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા.

રામમંદિર બનાવવા કોંગ્રેસ તૈયાર જ નહોતી
સમગ્ર દેશની ઇચ્છા હતી કે જ્યાં રામ જન્મ્યા ત્યાં મંદિર બને, પણ આ કોંગ્રેસી બનવા નહોતા દેતા. રાહુલ બાબા ભવ્ય રામમંદિર દર્શન માટે જાન્યુઆરી 2024ની ટિકિટ કરાવી દો. અમિત શાહે લોકોને કહ્યું હતું કે કાશ્મીર આપણું છે કે નહીં? 370 કલમ હટાવી જોઈતી હતી કે નહીં? 370 કલમ માટે હું બોલવા ઊભો થયો તો સપા અને બસપા કાંઉ કાંઉ કરવા લાગ્યા કે લોહીઓની નદીઓ વહેશે. હું ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું કે બેટ દ્વારકામાં વસતિ કરતાં વધુ બજારો હતી. બેટ દ્વારકાનું ક્લીન કામ ભાજપ સરકારે કર્યું છે.

મોટી સંખ્યામાં કાર્યકરો રેલીમાં જોડાવવા માટે ઊમટી પડ્યા.
મોટી સંખ્યામાં કાર્યકરો રેલીમાં જોડાવવા માટે ઊમટી પડ્યા.

પ્રભાતચોકથી લઈને સોલા સુધી યોજાનારી રેલીમાં ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ જોડાશે. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભાજપની ટોપી અને ખેસ પહેરીને પહોંચી ગયા છે. મુખ્યમંત્રી પણ તેમની સાથે ચર્ચાવિચારણા કરી રહ્યા છે. એ ઉપરાંત ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો.

આ ગુજરાત મેં બનાવ્યું છે લખેલા પ્લેકાર્ડ સાથે કાર્યકરો પહોંચ્યા.
આ ગુજરાત મેં બનાવ્યું છે લખેલા પ્લેકાર્ડ સાથે કાર્યકરો પહોંચ્યા.

'આ ગુજરાત મેં બનાવ્યું છે'ના પ્લેકાર્ડ સાથે કાર્યકર્તાઓ હાજર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદની તમામ બેઠકો પર મતદાન યોજાવાનું છે, જેમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી નોંધાવશે. આજે ઘાટલોડિયાના પ્રભાતચોકથી એસજી હાઇવે સુધીના મધ્યસ્થ કાર્યાલય સુધી પ્રચંડ કેસરિયા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રેલી યોજવાના છે. જેમની રેલીમાં મોદીના માસ્ક અને "આ ગુજરાતને બનાવ્યું છે"ના પ્લે કાર્ડ સાથે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ ફોર્મ ભરતાં પહેલાં ભગવાન શિવ અને દાદા ભગવાનની પૂજા-અર્ચના કરી હતી
મુખ્યમંત્રીએ ફોર્મ ભરતાં પહેલાં ભગવાન શિવ અને દાદા ભગવાનની પૂજા-અર્ચના કરી હતી

વડાપ્રધાન મોદી 19મીથી ગુજરાતમાં પ્રચાર કરશે
19 નવેમ્બરે વડાપ્રધાન મોદી વલસાડ જિલ્લામાં ચૂંટણીપ્રચાર કરશે. તેમજ વલસાડ જિલ્લાના વાપીમાં રોડ-શો કરશે. તેમાં વાપીના ડાભેલ ચેકપોસ્ટથી ચલા થઈ રોડ-શો કરશે અને ત્યાર બાદ વલસાડમાં સભા કરશે. જેમાં વડાપ્રધાનના આગમનની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વડાપ્રધાનના પ્રવાસને લઈ વલસાડ જિલ્લાની બેઠકો પર ભાજપને ફાયદો થશે. તેમજ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. જેમાં તેમના માટે વિશેષ 5 જેટલાં હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યાં છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ્ પાસે આવેલા હેલિપેડમાં હેલિકોપ્ટર આવવાની શરૂઆત થઈ ચૂકી છે.

કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી બાદ કોંગ્રેસે પણ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, રમેશ ચેનિથલા, દિગ્વિજય સિંઘ, કલમનાથ, ભૂપેન્દ્ર સિંઘ હુડા, અશોક ચવ્વાણ, તારીક અનવર, બી કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ, શક્તિસિંહ ગોહિલ, રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, સચિન પાયલટ, શિવાજી રાવ મોઘે, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, નારણભાઈ રાઠવા, જિગ્નેશ મેવાણી, પવન ખેરા, ઈમરાન પ્રતાપગરી, કનૈયા કુમાર, કાંતિલાલ ભુરિયા, નસીમ ખાન, રાજેશ લીલોઠિયા, પરેશ ધાનાણી, વીરેન્દ્રસિંઘ રાઠોડ, ઉષા નાયડુ, રામકિશન ઓઝા, બી એમ સંદીપ, અનંત પટેલ, અમરિન્દરસિંઘ રાજા અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ ભાજપમાં જોડાઈ ગયા
ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના પ્રદેશ સચિવ યોગેશ પટેલે ઝાડુ છોડી કમળને પકડ્યું છે. 500 કાર્યકર્તાઓ સાથે તેમણે સત્તાવાર રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આપને જણાવી દઈએ કે, સુરત શહેર પ્રમુખના હાથે ખેસ પહેરી વિધિવત્ રીતે તેઓ ભાજપમાં જોડાયા. માહિતી મુજબ ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર સંદીપ દેસાઈના સમર્થનમાં તેઓ ભાજપમાં જોડાયા છે. વર્ષ 2017માં યોગેશ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા.

નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ
નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ

નર્મદામાં AAPના હોદ્દેદારો સહિત 10 હજાર કાર્યકરોના રાજીનામાં
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ટિકિટને લઈને તમામ પક્ષોમાં નારાજ કાર્યકરો અને નેતાઓના રિસામણાં-મનામણાં ચાલી રહ્યાં છે. આ વચ્ચે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. AAPના ઉમેદવાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવીને પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રદેશ કક્ષાના નેતા સહિત 10 આગેવાનોએ રાજીનામાં ધરી દીધાં છે. AAPના નર્મદા જિલ્લાના આદિજાતિ મોરચાના પ્રદેશ કક્ષાના જોઈન્ટ સેક્રેટરી ડો. કિરણ વસાવાએ ગઈકાલે AAPમાંથી રાજીનામું ધરી દીધું. તેમની સાથે 10 જેટલા જિલ્લા કક્ષાના આગેવાનો અને 10 હજારથી વધુ સમર્થકોએ પણ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પાર્ટી પર ભ્રષ્ટાચારયુક્ત ઉમેદવારને ટિકિટ આપવા તથા તેમની વાત ન સાંભળવાનો આક્ષેપ લગાવ્યો છે.

દરિયાપુરમાં ભાજપ અને કોંગ્રેસની કાંટેકી ટક્કર
અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. 1990થી 2007 સુધી અહીં ભાજપનું સતત કમળ ખીલ્યું છે.સતત પાંચ ટર્મ સુધી ભાજપના ભરત બારોટ અહીંથી જીતતા રહ્યા છે.જોકે સીમાંકન બાદ અહીંનાં સમીકરણો બદલાયાં અને વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની હાર થઈ અને કોંગ્રેસ ફરીથી આ બેઠક અંકે કરી.જેનો કોંગ્રેસે હજુ સુધી કબજો જાળવી રાખ્યો છે. 9 ઑગસ્ટ 1942ના રોજ ‘હિન્દ છોડો’ ચળવળના પ્રથમ દિવસે ખાડિયા ચાર રસ્તા પાસેની એક પોળ નજીક આશરે ચારસો માણસો એકઠા થયા હતા.પોલીસદળ ત્યાં હાજર હતું. પોલીસે લાઠીચાર્જ કરતાં યુવાનોએ પથ્થરમારો શરૂ કર્યો.જવાબમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઇબારાએ ગોળીબાર કર્યો. એક ગોળી ઉમાકાંતને કપાળમાં વાગી. તે ત્યાં જ ઢળી પડ્યા. ખાડિયા ચાર રસ્તા પાસેના સ્થળને તેમની સ્મૃતિમાં ‘ઉમાકાંત કડિયા ચોક’ નામ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...