અમદાવાદમાં બેવડી ઋતુ શરૂ થઈ છે ત્યારે શહેરમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. ચાલુ મહિનામાં માત્ર 12 દિવસમાં ઝાડા ઉલ્ટીના 285, ટાઇફોઇડના 216 અને ડેન્ગ્યુના 180 જેટલા કેસો નોંધાયા છે. એક અઠવાડિયામાં પાણીજન્ય રોગોમાં અચાનક વધારો થયો છે. ઝાડા ઉલટી અને ટાઈફોડના કેસોની સાથે તાવ શરદી અને ખાંસીના વાયરલ કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. રોગચાળો ફરી એકવાર શહેરમાં વકર્યો છે જેને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ મહિનામાં 12 નવેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 285, ટાઈફોઈડના 216 અને કમળાના 163 કેસો નોંધાયા છે. એક અઠવાડિયામાં ડેન્ગ્યુ કરતા મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. ડેન્ગ્યુના 180, મેલેરિયાના 29, ચિકનગુનિયાના 14 અને ઝેરી મેલેરિયા 10 કેસો નોંધાયા છે. ગત વર્ષ કરતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મુજબ સ્વાઈન ફ્લૂના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ મહિનામાં 12 દિવસમાં માત્ર 7 જ કેસો નોંધાયા છે. શિયાળાની શરૂઆત થઈ છે જોકે સ્વાઈન ફ્લૂના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી અને શરદી-ખાંસી તેમજ તાવનો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓ વધ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી નવેમ્બર મહિનામાં 774 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 20 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.