અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. દસેક દિવસ પહેલાં નિકોલ વિસ્તારમાં રખડતી ગાય એક યુવતીને અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવી પડી હતી. આજે મળેલી હેલ્થ કમિટીમાં રખડતા ઢોરનો મુદ્દો ચર્ચાયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા શહેરમાં અનેક જગ્યાએ રખડતા ઢોરના કારણે લોકોને મુશ્કેલી પડે છે. હેલ્થ કમિટીના સભ્યો દ્વારા અધિકારીઓને રોજ કેટલા ઢોલ પકડવામાં આવે છે તે બાબતે પ્રશ્ન પૂછતાં 40થી 42 જેટલા ઢોર પકડવામાં આવતો હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો.
હેલ્થ કમિટીના ચેરમેન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે મળેલી હેલ્થ કમિટીમાં રખડતા ઢોર મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં શહેરમાં અનેક જગ્યાએ રખડતા ઢોર જોવા મળે છે. તેને પકડવાની કામગીરી વધુ સારી કરવા જણાવ્યું હતું. સવાર-સાંજ ઢોર પકડવાની ટીમો કામગીરી કરે છે. જોકે બપોરના સમયે એક જ ટીમ કામ કરતી હોવાનું પણ તેઓએ સ્વીકાર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલ દ્વારા ત્રણેક મહિના પહેલા જ્યારે ઢોર પકડવા મુદ્દે નિવેદન આપ્યા બાદ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યાર બાદ રોજની 100 ગાયો પકડવામાં આવતી હતી.
પરંતુ હવે શહેરના સાત ઝોનમાંથી માત્ર 40 જેટલી ગાયો પકડવામાં આવે છે.
ઉપરાંત આજે મળેલી હેલ્થ કમિટીમાં શહેરમાં દક્ષિણ ઝોનમાં આવેલા પબ્લિક ટોયલેટ, જાહેર માર્ગો, સોસાયટીઓ અને પબ્લિક ટોયલેટ્સ વગેરેની સફાઇ માટે ન્યુસન્સ ટેન્કરના રૂ. 35 લાખનું ટેન્ડર જૂન મહિનામાં પૂરું થવા આવ્યું છે ત્યારે રૂ. 10 લાખની મર્યાદામાં નવા ટેન્ડર ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવાની વિવાદાસ્પદ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.