આ વર્ષે દિવાળીમાં પરંપરાગત માર્કેટમાં ઘણા ફેરફાર આવ્યા છે. કોરોના પહેલા લોકો રોકડ વ્યવહાર કરતા હતા પરંતુ હવે તેઓ ડિજિટલ પેમેન્ટ માધ્યમ વધુ પસંદ કરી રહ્યા છે. કોરોના પહેલા 2019માં ડિજિટલ માધ્યમથી આશરે 100 બિલિયન ડોલરનું ટ્રાંઝેક્શન થતું હતું જેમાં હવે 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. યુ.પી.આઇ. દ્વારા થતા ટ્રાંઝેક્શન કોરોના સમય બાદ વધ્યાં છે. સેફ અને સરળ હોવાથી લોકો ડિજિટલ પેમેન્ટ વધુ પસંદ કરે છે.
3 વર્ષમાં 5 મિલિયન વેપારી ડિજિટલી જોડાયા
ભારતીય ઇકોનોમી સર્વેના સપ્ટેમ્બર 2020ના રિપોર્ટ મુજબ છેલ્લા 12 મહિનામાં કોરોના દરમ્યાન ભારતમાં 5 મિલિયન વેપારીઓ પણ કેશલેશ પેમેન્ટ સ્વીકારવા માટે ડિજિટલી જોડાયા છે. જ્યારે માત્ર અમદાવાદમાં જ આશરે 50 હજાર વેપારીઓ જોડાયા છે. નવા ટ્રેન્ડ મુજબ કોરોના પહેલા લોકો હાઇ વેલ્યૂ ટ્રાંઝેક્શન માટે કેશલેસ પેમેન્ટ પ્રિફર કરતા હતા પરંતુ કોરોના બાદ લો વેલ્યૂ ટ્રાંઝેક્શન માટે પણ લોકો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પસંદ કરી રહ્યા છે.
કોરોના પછી રોજનું ડિજિટલ ટ્રાંઝેક્શન વધીને 14 લાખ રૂપિયા સુધીનું થઈ ગયું
IIM અમદાવાદના પ્રોફેસર વિશાલ ગુપ્તાના જણાવ્યા મુજબ ઇન્ડિયા ડિજિટલ ક્ષેત્રે કેશલેશ સોસાયટી બનવા તરફ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. 2020નું વર્ષ ઈન્ડિયન ફાયનાન્શિયલ ક્ષેત્રે વધુ પડકારજનક રહ્યું છે પરંતુ 2019ના કુલ જી.ડીપી.માંથી 45 ટકા જેટલા બેંકિંગ ટ્રાંઝેક્શન ડિજિટલ થયા છે. ડિમોનિટાઇઝેશન બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે.
વર્ષ 2019માં કુલ જી.ડીપીના 1.8 ટ્રિલિયન ડોલરનું કેશલેશ ઇકોનોમીમાં રોકાણ થયું છે. ક્રેડિટકાર્ડ, ડેબિટ કાર્ડ. યુ.પી.આઇનું ચલણ લોકોમાં વધ્યું છે. RBIના સર્વે મુજબ 2019 ડિસેમ્બરમાં 100 રૂપિયાના વ્યવહારોની સંખ્યા રોજની 8 લાખ હતી. જે કોરોના પછી સપ્ટેમ્બર 2020ના ડેટા મુજબ રોજની 14 લાખ જેટલી વધી ગઈ છે. અત્યારે ક્રેડિટ કાર્ડ યુઝર્સ તેમજ કેશલેશ ટ્રેન્ડ વધુ ચલણમાં છે. કાર્ડ્સ તેમજ ડિજિટલ મોબાઇલ વોલેટનું પ્રમાણ યુથમાં વધ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.