શહેરમાં ઘરોમાંથી અપાતો ભીનો-સૂકો કચરો અલગ તારવીને આપવા 2019 પછી ફરી એકવાર મ્યુનિ. કમિશનરે પ્રયાસ શરૂ કર્યા છે. વિવિધ ઝોનમાં આ માટે કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. મંગળવારથી ત્રણ દિવસ 30 હજારથી વધારે કર્મચારીઓ આ અભિયાનમાં જોડાશે. 2016માં સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ ભીનો-સૂકો કચરો અલગ આપવા ઝુંબેશ શરૂ કરાઈ હતી. 6 વર્ષ પછી પણ તેને સફળતા મળી ન હોવાથી હવે નવેસરથી એકડો ઘૂંટવામાં આવશે.
મ્યુનિ. કમિશનરે પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે, 30 હજારથી વધુ કર્મચારી સવારે ગાર્ડનમાં આવતા લોકોને સમજાવશે તેમજ સોસાયટીઓમાં જઈને પણ સમજ આપવામાં આવશે. આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં પાથરણાંવાળાને પણ સમજાવવામાં આવશે. વેપારી મંડળો, મોટા મોલ, ધાર્મિક સ્થાનોમાં પણ આ બાબતે સમજ આપવામાં આવશે. હોટલ- રેસ્ટોરામાંં પણ નાગરિકોને આ બાબતે સમજ આપવામાં આવશે. સોસાયટીઓમાં રાત્રે બેઠકો કરીને પણ સમૂહ ચર્ચાનું આયોજન થશે.
2019માં પણ કમિશનર દ્વારા આ રીતે ભીનો-સૂકો કચરો અલગ માટે એક અભિયાન હાથ ધર્યું હતું. જે સમયે અલગ અલગ કચરો આવવાનો અનેક વિસ્તારમા શરૂઆત થઇ હતી. જ્યારે આ વખતે પણ મેગા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ભીનો-સૂકો કચરો તારવીને આપવામાં આવે તો પીરાણા ડમ્પ સાઈટ પર કચરો અલગ પાડવાની કડાકૂટ બંધ થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.