આર જમનાદાસ કંપનીએ સ્નાતકના બીજા વર્ષના માટેના તૈયાર કરેલા પુસ્તકમાં એઈડ્સના કારણો દર્શાવનાર ચેપ્ટરમાં આદિવાસી સમાજનું અપમાન કરવાના બદઈરાદે "આદિવાસી સમાજમાં વેશ્યાઓની પ્રવૃતિ નિરંકુશ ચાલ્યા કરે છે." જેવી પાયાવિહોણી ટિપ્પણી લખેલી છે. જે બાબતે આદિવાસી સંગઠનો તેમજ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે. આદિવાસી સમાજની અસ્મિતા અને સંસ્કૃતિ પરનો આ ગંભીર હુમલો છે. ત્યારે કોંગ્રેેસે પણ આ મુદ્દે ઝંપલાવીને કાર્યવાહીની માગ કરી છે.
કોંગ્રેસે પ્રકાશન કંપની સામે ફરિયાદ દાખલ કરવા માગ કરી
સોશિયલ મીડિયામાં આ પુસ્તકનું ફોટા વાયરલ થયા બાદ કાયદાકીય કાર્યવાહી તેમજ તાત્કાલિક આ પુસ્તક પરત લેવાય તેમજ આર. જમનાદાસ કંપની સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા માંગ કરીએ છીએ તેવું કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું.
ચોક્કસ સમાજનું અપમાનનો કોંગ્રેસે સખત વિરોધ કર્યો
મનીષ દોશીએ આ અંગવ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, વેશ્યાવૃતિને લઈને ચાલતી ગેરસમજો દૂર કરવાની જગ્યાએ ચોક્કસ સમુદાયની મહિલાઓનું અપમાન કરતી આર. જમનાદાસ કંપનીની આ હરકતનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે. અમે માંગણી કરીએ છીએ કે, ગુજરાત સરકાર અને ખાસ ગુજરાતના શિક્ષણમંત્રી આ વિષય તાત્કાલિક ધ્યાન ઉપર લઈ ચોક્કસ સમાજનું તેમજ મહિલાઓનું અપમાન થતું હોય તેવી ટિપ્પણી સાથેનું આ પુસ્તક તાત્કાલિક પરત લેવામાં આવે તથા આર. જમનાદાસ કંપની પુસ્તક, મુદ્રક અને પ્રકાશક સામે ગંભીર કાયદાકીય પગલા ભરવામાં આવે.
સોશિયલ મીડિયામાં આદીવાસી સમાજનો રોષ
સોશિયલ મીડિયા ફેસબુક પર આદીવાસી સમાજના લોકોએ કથિત લખાણ અને પુસ્તકની પોસ્ટ મૂકીને વિરોધ નોંધાવ્યો છે. તો સમાજના ગુસ્સે ભરાયેલા લોકોએ શબ્દોની મર્યાદાઓ ઓળંગીને બધા માટે મોર્ડન અને ભદ્ર સમાજને ભાંડ્યો છે. સામે એક યુવકે પ્રકાશન દ્વારા માફી માગતો પત્ર પણ આદિવાસી સમાજના ફેસબુક પેજ પર પ્રસિધ્ધ કર્યો છે અને સવાલ કર્યો છે આટલું થયું છતાં આદિવાસી સમાજ માફી આપી દેશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.