ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાની વિવિધ માંગો સાથે શરૂ થયેલા આંદોલનનો આજે દેખીતી રીતે અંત આવ્યો હોય તેમ લાગે છે. 6 મિટિંગ કર્યા બાદ આજે સરકારે કર્મચારી મહામંડળની વિવિધ 15 જેટલી માંગણી ઉકેલી હોવાની જાહેરાત કરી છે. સરકારે જૂની પેન્શન સ્કીમ શરૂ કરવાના મુદ્દાને ઢાલ બનાવી કર્મચારી મહામંડળ અને રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનો આંદોલન કરી રહ્યાં હતાં. પરંતુ સરકારે આ જ મુદ્દો વિચારાધીન રાખ્યો છે. આગેવાનો અને સરકાર કહી રહી છે કે આ મુદ્દે હજુ પણ ચર્ચા ચાલુ રહેશે.
સરકારી કર્મચારીઓને આડકતરી ચીમકી
સરકાર દ્વારા વિવિધ મુદ્દા અને માંગનું નિરાકરણ લાવવાની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ માંગનો લાભ એવા જ કર્મચારીઓને મળશે કે જે કર્મચારીઓ સોમવારથી ફરજ પર હાજર થશે. આમ, સરકારે હડતાળિયા કર્મચારીઓને આડકતરી ચીમકી આપી ફરજ પર હાજર થવા કડક સૂચના આપી છે.
CPFમાં 10 ટકાને બદલે 14 ટકા ઉમેરાશે
ગુજરાત સરકારે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓની કેટલીક માંગો સ્વીકારી છે. તમામને 7મા પગાર પંચનો લાભ મળશે. મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ કરવામાં આવી છે. જ્યારે CPFમાં 10 ટકાને બદલે 14 ટકા ઉમેરાશે.
સરકારે કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર કર્યો
રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર જૂની પેન્શન યોજનાનો આંશિક અમલ કરશે. સાતમા પગાર પંચનાં બાકી ભથ્થાં પણ ચૂકવીશું. સરકારે કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર કર્યો છે. આ યોજના 1-4-2005માં નોકરીએ લાગ્યા છે તે કર્મચારીઓ માટે છે, વર્ષ 2005 પહેલાં ભરતી થયેલાને જૂની પેન્શન યોજના અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે.
1 એપ્રિલ 2019ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે
તેમણે કહ્યું કે, વર્ષ 2006 પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી 18 જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2006 પહેલાંના ફિક્સ પગારની નીતિમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.1 એપ્રિલ 2019ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.
10, 20, 30નું ઉચ્ચતર પગારધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે
વર્ષ 2009ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ 10, 20, 30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.
2005 પછીના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવોઃ કર્મચારી મહામંડળ
ગુજરાત સરકારે 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની જાહેરાતનો વિરોધ કરતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, એ યોજના તો ચાલુ જ છે, અમારી માંગ 2005 પછી નોકરીમાં જોડાયેલા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની માંગ હતી. જેથી અમે સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ, આવતીકાલે શનિવારે સરકાર સમક્ષ લેખિતમાં વિરોધ નોંધાવવામાં આવશે. રાજસ્થાન સરકારની જેમ જ ગુજરાતમાં નવી પેન્શન સ્કીમ ( NPS) રદ કરવામાં આવે તેવી માંગણી છે.
શેરબજારમાં ઇન્વેસ્ટ કરાતાં પેન્શન યોગદાનનો વિરોધ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ નિવૃત્ત કર્મચારીઓને જમા રકમમાંથી 40 ટકા રકમ નિવૃત્તિ સમયે ચૂકવવામાં આવે છે અને દર મહિને 1500 રૂપિયા જેટલું પેન્શન ચુકવવામાં આવે છે. બાકીની રકમ પેન્શનરના મૃત્યુ બાદ ચૂકવવામાં આવે છે. ત્યાં સુધી જમાં રકમનું શેર બજારમાં રોકાણ કરવામાં આવે છે, શેર બજાર ગગડે તો તેની સીધી અસર પેન્શનર્સના પરિવારને પડે છે. જેથી અમારો આ અંગે વિરોધ છે.
કેન્દ્ર સરકારનાં બે વર્ષ પહેલાંના ઠરાવનો હવે અમલ કરે છે
તેમણે વધુમાં કર્મચારીના પગારમાંથી 10 ટકા તથા સરકારમાંથી 10 ટકા રકમ જમા થતી હતી.તેમાં 14 ટકા કર્યા છે. પરંતુ આ કેન્દ્ર સરકારના બે વર્ષ પહેલાંના ઠરાવનો અમલ હવે ગુજરાત સરકાર કરશે.
ચાલુ નોકરીએ મૃત્યુ પામનારને રહેમરાહે નોકરી આપો
રહેમરાહે નોકરીના બદલે 8 લાખના સ્થાને 14 લાખ રૂપિયા આપવાની સરકારની જાહેરાતને વખોડી કાઢતાં તેમણે વધુમાં કહ્યું છે કે, ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ પામનારા કર્મચારીના સભ્યને રહેમરાહે નોકરી આપવાની અમારી માંગ છે. તેનો ઉકેલ આવ્યો નથી. તે જ રીતે કુટુંબ પેન્શન યોજનામાં અપંગ યુવતીને જ નહીં બલકે અપરિણીત યુવતીને પણ તેનો લાભ આપવો જોઈએ તેવી અમારી માંગણી સંતોષવામાં આવી નથી. તેથી આ તમામ મુદ્દે અમારો વિરોધ ચાલુ છે. આ અંગે આવતીકાલે શનિવારે સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે.
સરકારે સ્વીકારેલી વિવિધ માગો
જૂની પેન્શન સ્કીમ શું છે
જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ સમયે કર્મચારીના વેતનની અડધી રકમ પેન્શનના રૂપે અપાતી હોય છે. જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીના પગારમાંથી કોઇ નાણાં કપાતાં નથી. જૂની પેન્શન સ્કીમની ચુકવણી ટ્રેઝરી માધ્યમથી થાય. આ સ્કીમમાં રૂ 20 લાખ સુધીની ગ્રેજ્યુઇટીની રકમ મળી શકતી. આ સ્કીમમાં જનરલ પ્રોવિડંટ ફંડ-જીપીએફની જોગવાઇ છે. આ સ્કીમમાં નિવૃત્ત કર્મચારીનું મૃત્યુ થતાં તેનાં પરિવારજનને પેન્શનની રકમ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.