અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ભાજપ કાર્યાલય, પોલીસ કમિશનર ઓફિસ, મેયરે ધ્વજવંદન કરી 50 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ પણ કર્યું હતું. આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને શહેર પ્રમુખ અમિત શાહ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ગોરધન ઝડફિયા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આજના પ્રસંગે બંને નેતાઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જે યોજનાઓ બનાવી છે તે લોકો માટે ખૂબ હિતકારી છે તો આજના દિવસે આઝાદી મેળવવામાં જીવ ગુમાવનાર અને જેલ વાસ ભોગવનારનો આભાર માન્યો અને એ દિવસ યાદ કર્યો હતો.
40 જેટલી ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ
આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. જે અધિકારીઓને મેડલ મળ્યા છે. તેઓને પોલીસ કમિશનરના હસ્તે આજે એવોર્ડ આપવામાં આવ્યા હતા. મેયર કિરીટ પરમારે પણ સુરેલીયા ખાતે ધ્વજવંદન કરી અને 40 જેટલી ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું હતું. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે અમારી ચૂંટાયેલી પાંખનો પહેલો પર્વ છે અને વિકાસ શહેરમાં અવિરત રીતે થઈ રહ્યો છે તેમ આજે વધુ 40 ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરને પ્રદુષણમુક્ત બનાવવાનો અમારો આ પ્રયાસ છે. કોરોના વોરિયર્સનું પણ આજે આ પર્વ નિમિત્તે અમારા હાથે સન્માન કરાવવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રના આન, બાન અને શાન સમા 75માં સ્વાતંત્ર્ય પર્વ-15મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કરાવતાં આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલની સારવાર પધ્ધતિ રાજ્યની અન્ય હોસ્પિટલો માટે મોડલ રૂપ સાબિત થઇ છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારને શ્રેષ્ઠ બનાવવા અનેકવિધ પહેલ હાથ ધરવામાં આવી હતી જે પ્રશંસનીય રહી છે. તેઓએ ગુજરાત રાજ્ય પ્રતિ મિલિયન કોરોના રસીકરણમાં સમગ્ર દેશમાં મોખરે હોવાનું જણાવીને વધુમાં વધુ જલ્દીથી કોરોના રસીકરણ કરાવીને કોરોના સામે સજ્જ બને તેવી અપીલ કરી હતી.
GTUમાં વિદેશી વિદ્યાર્થીઓએ ભારતનું રાષ્ટ્રગીત ગાઈને કરી ઉજવણી
GTUમાં વિદેશથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓએ આજે ભારતના સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. GTUના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓએ ભારતનું રાષ્ટ્રગીત ગાઈને 75માં આઝાદી દિવસની ઉજવણી કરી હતી. GTUમાં દર વર્ષે અંદાજીત 300થી 500 વિદ્યાર્થીઓ વિદેશથી અભ્યાસ કરવા આવે હોય છે, ત્યારે આજે તેમણે ભારત પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવીને 75માં આઝાદી દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, સુદાન, સ્વિટ્ઝર્લેન્ડ, લિથેસો વગેરે દેશના વિદ્યાર્થીઓ જોડાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.