એક તરફ કોરોનાએ લોકોને આરોગ્ય પ્રત્યે સતર્ક રહેવાનું શીખવ્યું છે, તો બીજી તરફ લાપરવાહ પણ કરી દીધા છે. કોરોનાકાળના છેલ્લા એક વર્ષમાં આંખોની મુશ્કેલીઓનો સામનો કરતા 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા પણ વધી છે કારણ કે મોબાઈલ સ્ક્રીન ટાઈમ 500% વધ્યો છે. ક્રોનિક બીમારીઓના દર્દીઓમાં આશરે 30-40% લોકોએ પોતાની આંખોની રોશની પણ આંશિક કે સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. કારણ છે, કોરોનાના ડરથી દવાખાને ના જવું અને દવાઓનું સેવન બંધ કરી દેવું. ડૉક્ટરોના મતે, છેલ્લા એક વર્ષમાં બાળકોની આંખોની મુશ્કેલીઓના કેસ 300% સુધી વધ્યા છે. લૉકડાઉન ખૂલ્યા પછી આંખોની ફરિયાદ ધરાવતાં કુલ દર્દીઓમાં બાળકોની સંખ્યા 95% થઈ છે, જ્યારે આ સંખ્યા પહેલાં 22-25% હતી. તેમાં 65% લોકો એવા છે, જેમના નંબર વધ્યા છે અને 55% એવા છે, જે પહેલીવાર સારવાર કરાવવા આવ્યા છે. તેમાં મોટા ભાગનાની ઉંમર 18 વર્ષથી ઓછી છે.
આંખોનું પોસ્ચર બગડી જાય છે
બાળકોમાં રિફ્રેક્ટિવ એરર, ડ્રાય આઈ, કમ્પ્યુટર વિઝન જેવી બીમારીઓની સાથે હવે એકોમડેટિવ સ્ક્વિન્ટ જેવી બીમારીઓ પણ જોવા મળી છે. એકોમડેટિવ સ્ક્વિન્ટ થોડો સમય અસર કરે છે. તેમાં બાળકોની આંખોનું પોસ્ચર બગડી જાય છે. જેને સમયની સાથે તાલીમ અને દવાથી સુધારી શકાય છે. તેનું કારણ એ છે કે, બંને આંખોથી સતત નાની જગ્યામાં ધ્યાન કેન્દ્રિત કરવું. જેમ કે, મોબાઈલ. નિષ્ણાતોનું કહેવું છે કે આવા કેસ પહેલાં વધુ નહોતા આવતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં આવા કેસમાં આશરે 5% વધારો થયો છે, જેમનામાં એકોમડેટિવ સ્ક્વિન્ટ જોવા મળ્યું છે. બીજી તરફ, ખોટા પોસ્ચરમાં બેસવાના કારણે ગળું, કમર વગેરેમાં દર્દ પણ થાય છે, જેના કારણે બાળકોમાં ચીડિયાપણું વધી જાય છે. કેટલાક કિસ્સામાં તો બાળકો લડાઈ પણ કરવા માંડે છે.
ધૂંધળાપણું આવવાની ફરિયાદોમાં વધારો
સામાન્ય રીતે આંખોનો બ્લિન્કિંગ રેટ 15-16 હોય છે, પરંતુ મોબાઈલ સ્ક્રીન પર સતત જોવાના કારણે તે 6-7ના નિમ્ન સ્તરે પહોંચી જાય છે. તેનાથી બાળકોનું વિઝન નબળું પડે છે. એકીટશે મોબાઈલ પર જોવાથી ધૂંધળાપણાની ફરિયાદો પણ આવી રહી છે. 80% બાળકોમાં ડ્રાયનેસની પણ મુશ્કેલી દેખાઈ રહી છે. ખાસ કરીને તેઓ રાત્રે ફોનનો ઉપયોગ કરે છે, ત્યારે તેનો પ્રકાશ સીધો રેટિનાને અસર કરે છે. તેના કારણે જોવાની ક્ષમતા ઘટતી જાય છે.
મોબાઈલ રેડિયેશનથી આંખોની તકલીફ વધી રહી છે
રાજકોટની સરકારી હોસ્પિટલના આઈ સર્જન ડૉ. હાર્દિક જીવાનીનું કહેવું છે કે મોબાઈલ, લેપટોપ અને અન્ય એલઈડી સ્ક્રીનના વધુ ઉપયોગથી આંખોમાં ડ્રાયનેસની મુશ્કેલી વધી રહી છે. અનેક બાળકોમાં બ્લિન્કિંગ રેટ પણ ઘટ્યો છે. આ મુશ્કેલી યુવાનોની સાથે કમ્પ્યુટર પર કામ કરતા લોકોમાં પણ વધી છે. જો આંખોનું બ્લિન્કિંગ સામાન્ય નહીં હોય તો તેની અસર આંખો પર પડે છે.
બીમારીની સારવાર લાંબી ચાલે છે
કોરોનાકાળમાં આંખોની ક્રોનિક બીમારીઓની સારવારમાં ભારે લાપરવાહી જોવા મળી છે. જેના કારણે આશરે 30-40% લોકોની રોશની ઓછી કે ખતમ થઈ ગઈ છે. તેનું એક કારણ કોરોનાનો ડર પણ છે. આ મુદ્દે ડૉ. પાર્થ રાણા કહે છે કે, કોરોના કાળમાં લોકોએ આંખોની બીમારીમાં ભારે લાપરવાહી દાખવી છે, જેના કારણે અનેકની રોશની જતી રહી છે. ક્રોનિક બીમારીઓ જેવી કે ગ્લુકોમા, ડાયાબિટિક રેટનોપેથી જેવી બીમારીઓ લાંબા સમયે પોતાની અસર બતાવે છે. તેની સારવાર પણ લાંબી ચાલે છે, પરંતુ કોરોનામાં મોટા ભાગના લોકો ડરના માર્યા ઘરે બેઠા અને સારવાર માટે ના આવ્યા. ત્યાં સુધી કે, દવાઓ પૂરી થઈ ગઈ, તોપણ ફરી ખરીદી ના કરી. તેના કારણે તેમણે એક કે બંને આંખોની રોશની ગુમાવવી પડી. ઘણી વાર લોકો ત્યારે આવે છે જ્યારે તેમની આંખોમાં દેખાવાનું બિલકુલ બંધ થઈ ગયું હોય. પછી સારવારથી પણ તેમની રોશની પાછી નથી આવતી.
આંખોની નસોના સોજાથી અચાનક રોશની જતી રહે છે
ડૉ. રાણા કહે છે કે ઓપ્ટિક ન્યુરોસીસ કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને એ લોકોમાં, જેમનામાં કોરોના થઈ ચૂક્યો છે. અનેકને ખબર નથી હોતી કે તેમને આ બીમારી છે અને પછી તે મોટું નુકસાન કરી દે છે. આવું કેવી રીતે થાય છે તે ચોક્કસપણે ના કહી શકાય, પરંતુ કેટલાક કેસમાં માલુમ પડ્યું છે કે ઈમ્યુન સિસ્ટમની કોઈ ભૂલના કારણે ઓપ્ટિક નર્વને કવર કરનારા લેયરને ટાર્ગેટ કરવા લાગે છે. જેનાથી અંદરની નર્વમાં સોજો આવે છે. તે નર્વ અને તેની સાથે અન્ય સંરચના આંખોની માહિતી ઈલેક્ટ્રિક ઈમ્પલ્સ બનાવીને મગજને પહોંચાડે છે. તેનાથી આંખો સામેના દૃશ્યો સમજવામાં મુશ્કેલી પડે છે.
આંખો બચાવવા માટે શું કરવું?
શરીરમાં આંખોની સંરચના સૌથી જટિલ છે. તેના કારણે તેમાં એકથી વધુ નિષ્ણાત હોય છે. આંખોની દર છ મહિને ડૉક્ટર જોડે તપાસ કરાવવી જોઈએ. મોટા ભાગના લોકો કોઈ મુશ્કેલી ના આવે, ત્યાં સુધી ડૉક્ટર પાસે નથી જતા. પછી કેટલાક કેસમાં ડૉક્ટર પણ ખાસ મદદ નથી કરી શકતા. એટલે નિયમિત તપાસ જરૂરી છે. બાળકોની વાત કરીએ, તો તેમનામાં અનેક મુશ્કેલીઓ જોવા મળે છે. તેનું કારણ છે ખોટું પોસ્ચર. લોકોએ બાળકોને સોફ્ટવેર એટલે કે મોબાઈલ ચલાવતા શીખવી દીધું છે, પરંતુ કેવી રીતે બેસવું, કયા એંગલ પર મોબાઈલ રાખવો એ નથી શીખવ્યું. તેના કારણે ગળામાં અને પછી આંખોમાં દર્દના કારણે બાળકો ચીડિયા થાય છે. બાળકોનાં માતા-પિતાએ, વડીલોએ તેમને યોગ્ય રીતે બેસીને કમ્પ્યુટર, મોબાઈલ ઓપરેટ કરતા શીખવવું જોઈએ. આવી નાનકડી આદતોથી જ મોટી બીમારીઓથી બચી શકાય છે.
સ્ક્રીન ટાઈમ વધવાથી આંખોની ડ્રાયનેસની સમસ્યા વધી છે
પીડિયાટ્રિક ઓપ્થોમોલોજિસ્ટ ડૉ. નેહા અગ્રવાલ કહે છે કે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ, ઓનલાઈન ક્લાસીસના કારણે પણ બાળકો અને યુવાનો વધુને વધુ સમય મોબાઈલ, પેડ કે લેપટોપ પર પસાર કરે છે, જેના કારણે ડ્રાયનેસની સમસ્યા વધી છે. આ માટે સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા વધી છે, જેમાંથી આશરે 95% બાળકો છે. એક તરફ આંખોની મુશ્કેલી છે, તો બીજી તરફ મોબાઈલ રેડિયેશનના સતત સંપર્કમાં રહેવાથી પણ શરીર પર વિપરીત અસર પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.