નજીવો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો મિલકત સીલ કરી દેતી મ્યુનિ.એ ગણગાંઠી એડવર્ટાઈઝિંગ એજન્સીઓ પાસેથી વસૂલવાના થતાં 34 કરોડની લેટ ફી માફી કરી દીધી છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓના વિરોધ છતાં કમિટીએ આ દરખાસ્ત મંજૂર કરી હતી. ભાજપના જ એક અગ્રણીની એડવર્ટાઈઝિંગ એજન્સીને લાભ આપવા દરખાસ્ત મંજૂર કરાઈ હોવાની ચર્ચા છે.
આ દરખાસ્તમાં ટેન્ડર થકી એડવર્ટાઇઝિંગ એજન્સીને રૂ. 17.04 કરોડ લાયસન્સ ફી વસૂલવાની છે, તેમાં તેમની પાસેથી રૂ. 15.80 કરોડની લેટ ફી પણ વસૂલવાની થાય છે. તો ખાનગી સાઇટો પાસે પણ લાઈસન્સ ફી પેટે રૂ. 47.94 કરોડ અને લેટ ફી પેટે રૂ. 18.73 કરોડ વસૂલવાના બાકી છે. જોકે 100 ટકા લેટ ફી માફીમાં આ એકમોને રૂ. 34.53 કરોડનો લાભ અપાયો છે.
પ્રોપર્ટી ટેક્સમાં પણ અત્યાર સુધી ચેક રિટર્ન થવાના કિસ્સામાં જે લેણી રકમ હોય તેના 5 ટકા જેટલી રકમ વસૂલવામાં આવતી હતી. જેને કારણે કોમર્શિયલ એકમોને મોટી રકમ ભરવાની થતી હતી. જોકે તેમને પણ રાહત આપવા માટે મ્યુનિ.એ ચેક રિટર્નનના કિસ્સામાં રહેણાકની મિલકત પાસેથી મહત્તમ રૂ. 500 અને કોમર્શિયલ એકમો પાસેથી મહત્તમ રૂ. 1000ની વસૂલાતની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.