અમદાવાદની નવી ઓળખ...:સાબરમતી પર બની રહેલો 300 મીટર લાંબો ફૂટ ઓવરબ્રિજ ડિસેમ્બરમાં ખુલ્લો મુકાશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિજના બંને છેડે પતંગ જેવો આકાર આપવામાં આવ્યો છે, જેના કારણે તે આકર્ષક લાગશે. - Divya Bhaskar
બ્રિજના બંને છેડે પતંગ જેવો આકાર આપવામાં આવ્યો છે, જેના કારણે તે આકર્ષક લાગશે.

સાબરમતી પર બની રહેલા વિશાળ ફૂટ ઓવરબ્રિજથી અમદાવાદને નવી ઓળખ મળશે. આશરે 90 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ બ્રિજનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થઈ જશે. એપ્રિલ-2019થી બ્રિજની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ કોરોનાને કારણે કામ પૂરું થવામાં વિલંબ થયો હતો. જોકે હવે કોરોનાના કેસો ઘટતાં બ્રિજનું કામ પુન: શરૂ કરાયું છે.

મ્યુનિ. સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસઆરએફડીસીએલ)ના જયેશ પટેલે કહ્યું કે, બ્રિજ તૈયાર કરવા આશરે 2100 ટન લોખંડનો ઉપયોગ થયો છે. 300 મીટર લાંબા બ્રિજને તૈયાર કરવા આઈઆઈટી ચેન્નઈ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગના ડિઝાઇન ખાતાની મંજૂરી બાદ બ્રિજ બનવાની શરૂઆત થઈ હતી. ડિસેમ્બર-2021 સુધીમાં રાહદારીઓ, સાઇકલચાલકો માટે તેનો ઉપયોગ શરૂ થઈ શકશે.

લોકોને શું મળશે?
શહેરીજનોને ફરવા માટેનું આ વધુ એક સ્થળ મળી રહેશે. અહીં બ્રિજની ઉપર જ બાંકડા પણ મૂકવામાં આવશે, જેથી લોકો અહીં બેસીને નદીનો નજારો માણી શકશે. બાંકડાની આસપાસ ફ્લાવરનું પ્લાન્ટેશન પણ કરવામાં આવશે, જેથી બ્રિજ વધુ સુંદર લાગશે. બ્રિજ પર સાઇકલિંગ પણ કરી શકાશે.

  • 14 મીટર સુધીની પહોળાઈનો નદી પર પહેલો ફૂટ ઓવરબ્રિજ હશે.
  • 2100 ટન લોખંડનો ઉપયોગ બ્રિજ બનાવવામાં કરાયો છે.
  • 90 ટકા કામ પેડેસ્ટ્રિયન બ્રિજનું પૂરું થઈ ચૂક્યું છે