મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સતત ચોથા દિવસે શહેરમાં એકેય માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયો નથી. શહેરમાં 27 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 23 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.
શહેરના વેજલપુર, ચાંદલોડિયા, ઈસનપુર અને ઘોડાસરના 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.
નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (22 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.
શહેરમાં 44મા દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 44 દિવસ બાદ એકથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 831 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધી 2 લાખથી વધુ દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે ફરી એક હજારથી વધુ દર્દી એટલે કે એક હજાર 376 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 20મી મેએ 985 દર્દીએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે 10 દર્દીના મોત થયા છે,
20 મેની સાંજથી 21 મેની સાંજ સુધીમાં શહેરમાં 803 અને જિલ્લામાં 28 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 1 હજાર 346 અને જિલ્લામાં 30 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 9 અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 31 હજાર 185 થયો છે. જ્યારે 2 લાખ 2 હજાર 841 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 274 થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.