મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 75 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે જોધપુર, ચાંદલોડિયા અને થલતેજમાં 32 મકાનોના 131 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યાં છે. આજે મંગળવારે શહેરમાં 4 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યાં છે. હવે શહેરમાં 47 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.
ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (19મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.
શહેર અને જિલ્લામાં 2 હજારથી ઓછા નવા કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 1895 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં 14 દિવસ બાદ 3 હજારથી ઓછા દર્દી ડિસ્ચાર્જ થયા છે. એટલે કે 2 હજાર 699 દર્દીએ કોરોનાને માત આપી છે. ઉલ્લેખનીય છે કે, શહેર અને જિલ્લામાં 13 એપ્રિલ બાદ એટલે કે 33 દિવસ બાદ પહેલીવાર 2 હજાર 278 કેસ નોંધાયા હતા.
શહેર અને જિલ્લામાં કુલ મૃત્યુઆંક 3 હજાર 244 થયો
17 મેની સાંજથી 18મેની સાંજ સુધીમાં શહેરમાં 1 હજાર 862 અને જિલ્લામાં 33 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 2 હજાર 630 અને જિલ્લામાં 69 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 12 દર્દીનાં મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 27 હજાર 891 થયો છે. જ્યારે 1 લાખ 98 હજાર 877 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 244 થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.