બુલેટ ટ્રેન શરૂ થાય તે પહેલા રેલવેએ સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત વંદે ભારત સેમી હાઇસ્પીડ ટ્રેન દોડાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. 2023 સુધી 75 વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાનું આયોજન છે. એક વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવાશે.
વંદે ભારત એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ દોડશે. જે અમદાવાદથી સવારે 7.25 વાગે ઉપડી બપોરે 13.30 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઉપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચશે. વડોદરા અને સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ રહેશે. અમદાવાદ મુંબઈ વચ્ચે 491 કિલોમીટરનું અંતર આ ટ્રેન 6થી 6.25 કલાકમાં પૂર્ણ કરશે.
વારાણસી-નવી દિલ્હી અને દિલ્હી-કટરા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ દોડે છે. વંદે ભારત ટ્રેનની મહત્તમ સ્પીડ 160થી 180 કિલોમીટર છે. ટ્રેનમાં 1128 પેસેન્જરો મુસાફરી કરી શકશે. હાલમાં અમદાવાદ - મુંબઈ રૂટ પર ટ્રેકની કામગીરી ચાલી રહી છે. જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા,ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, વૅક્યૂમ આધારિત બાયો ટોયલેટ્સ જેવી સુવિધા ટ્રેનમાં હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.