મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 75 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે ઘોડાસરની એ 52 સત્યાપીઠ સોસાયટીના 4 મકાનના 19 લોકો અને મણિનગરની દેવાંગ સોસાયટીના 15 મકાનના 62 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. 30 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 47 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.
શહેરના ઈસનપુર, દાણીલીમડા, મણિનગર, વટવા, બહેરામપુરા, સરખેજ, વેજલપુર, પાલડી, ચાંદખેડા, ગોતા અને ઘાટલોડિયાના 320 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.
નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (18મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.
શહેર અને જિલ્લામાં 2 હજારથી વધુ નવા કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 2 હજાર 377 નવા કેસ નોંધાયા છે અને 16મી મે કરતાં કેસમાં નજીવો વધારો થયો છે. શહેર અને જિલ્લામાં 13 દિવસ બાદ 5 હજારથી ઓછા દર્દી ડિસ્ચાર્જ થયા છે. એટલે કે 4 હજાર 735 દર્દીએ કોરોનાને માત આપી છે. અગાઉ 5મી મે ના રોજ 5 હજાર 89 દર્દીએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે 12 દર્દીના મોત થયા છે અને મૃત્યુઆંક 3 હજાર 232 થયો છે. ઉલ્લેખનીય છે કે, શહેર અને જિલ્લામાં 13 એપ્રિલ બાદ એટલે કે 33 દિવસ બાદ પહેલીવાર 2 હજાર 278 કેસ નોંધાયા હતા.
16 મેની સાંજથી 17 મેની સાંજ સુધીમાં શહેરમાં 2 હજાર 377 અને જિલ્લામાં 39 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 4 હજાર 689 અને જિલ્લામાં 46 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 12 અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 26 હજાર 29 થયો છે. જ્યારે 1 લાખ 96 હજાર 178 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 232 થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.