અમદાવાદમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી લહેરમાં રાજ્યમાં કોઈ અંધાધૂંધી કે અવ્યવસ્થા ન સર્જાય એના માટે આગોતરા આયોજનરૂપે IAS અધિકારીને જવાબદારી સોંપાઈ છે. અમદાવાદ શહેરમાં પણ સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. દવાઓ, ઓકિસજન, ડેશબોર્ડ, 108, ધન્વંતરિ રથ અને વેક્સિનેશન સહિતની તમામ બાબતો માટે અલગ અલગ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે જવાબદારી આપી છે.
બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા
IAS અને કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશ માચરાને અમદાવાદમાં કોરોનાની તમામ કામગીરીના સંકલનની જવાબદારી સોંપાઈ છે. જોકે બીજી લહેરમાં જે રીતે 108 એમ્બ્યુલન્સ સેવામાં લોકોને હાલાકી પડી હતી અને લાઈનો લાગી હતી. બીજી લહેરમાં તેમને શિરે 108ની જવાબદારી હતી. IAS દિલીપ રાણાને ફરીથી 108 એમ્બ્યુલન્સની જ જવાબદારી સોંપાતાં સવાલ ઊભા થયા છે. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા. હોસ્પિટલમાં બેડથી લઈ ઓક્સિજન સહિતની અસુવિધા અને હેરાનગતિથી કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે.
IAS ડો. ઓમ પ્રકાશ માચરાને સંકલનની જવાબદારી આપી
ત્યારે ત્રીજી લહેરમાં ફરી આ સ્થિતિ ન ઊભી થાય એના માટે અમદાવાદમાં તૈયારીઓ કરી દેવાઈ છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે 11 જેટલા અલગ અલગ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે, જેમાં ત્રણ IAS ઓફિસર, પાંચ ડોકટર, એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર તેમજ ચીફ એન્જિનિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. IAS ડો. ઓમ પ્રકાશ માચરાને સંકલનની જવાબદારી સોંપાઈ છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, વેક્સિનેશન, ટેલિમેડિસિન, ડેશબોર્ડ, 108 એમ્બ્યુલન્સ, સંજીવની રથ અને 'મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ'ની જવાબદારી સોંપવામાં આવી છે.
દિલીપ રાણાને ફરી 108ની જ જવાબદારી સોંપાઈ
જોકે 108 એમ્બ્યુલન્સમાં જ તેઓ નક્કી કરે એ હોસ્પિટલમાં દર્દીને લઈ દાખલ કરવામાં આવશે એવી 108 એમ્બ્યુલન્સ સેવાની જવાબદારી જેમને આપવામાં આવી હતી એવા IAS દિલીપ રાણાને ફરી સોંપાઈ છે. આગામી ત્રીજી લહેરમાં અમદાવાદમાં કોરોનાની સારવાર મામલે દર્દીઓને હાલાકી ન પડે એવી વ્યવસ્થા ગોઠવાઈ તો છે, પરંતુ ખરેખર અમલ થાય એ જરૂરી છે.
કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડી લેવા સૂચના
મુખ્યમંત્રી રૂપાણીએ જે-જે સચિવોને સંભવિત થર્ડ વેવના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે એ તેમને આવતીકાલ ગુરુવારથી જ યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે આપણે પ્રાર્થના કરીએ કે થર્ડ વેવ આવે જ નહીં, પરંતુ જો આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવાર મળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પૂરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલદી સાજા થઇને પરત જાય એવા ત્રેવડા વ્યૂહથી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમબાઉન્ડ પૂરી કરવાની છે.
રિયલ ટાઇમ મોનિટરિંગ માટે વ્યવસ્થા કરાશે
મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી લોકોને સરળતાથી મળી રહે એ માટે અદ્યતન ટેકનોલોજી સાથેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રહેશે અને જિલ્લાઓમાં ઊભા કરી એનું સીધું જોડાણ સ્ટેટ લેવલે સી.એમ. ડેશબોર્ડ સાથે કરી રિયલ ટાઇમ મોનિટરિંગ થાય એવી વ્યવસ્થાઓ પણ ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. રૂપાણીએ ખાસ કરીને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, જરૂરી દવાઓ, ટેસ્ટ કિટ અને ઇન્જેકશનોનો જથ્થો પણ આગોતરા આયોજન સાથે મેળવી લેવા સંબંધિત સચિવોને સૂચન કર્યું હતું.
પોલિંગ બૂથની પેટર્ન પર વેક્સિનેશન સેન્ટર શરૂ કરવા સૂચના
રૂપાણીએ કોરોનાથી બચવાના આગોતરા શસ્ત્ર એવા વેક્સિનેશનનો વ્યાપ નગરો, શહેરો અને ગ્રામ્ય સ્તરે ઝુંબેશરૂપે ખાસ મૂવમેન્ટથી ચલાવવા તાકીદ કરી હતી. પોલિંગ બૂથની પેટર્ન પર વેક્સિનેશન સેન્ટર શરૂ કરીને વધુ ને વધુ લોકોને વેક્સિનેશન અંતર્ગત આવરી લેવા એન.જી.ઓ., સેવા સંગઠનો, પદાધિકારીઓ વગેરેનો સહયોગ લેવાનું પણ સૂચન કર્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.