અમદાવાદ સમસ્ત મહાજન અને જૈન સમાજ મહાજન સંસ્થાના પ્રયત્નો તેમ જ આ. વિજયતોરતસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય કલ્પરક્ષિતવિજયજી મ. સા. તથા રક્ષિતવિજયજી મ. સા.ના ડીસા જિલ્લાને વ્યસનમુક્ત કરવાના અભિયાનની સફળ શરૂઆત થઈ છે. ડીસાના જૂના નેસડો અને ઉમરજી ગામના આશરે 10 હજાર લોકોએ સર્વાનુમતે બંને મહારાજ સાહેબની સમક્ષ ગુટખા, દારૂ જેવા વ્યસનો સાથે અન્ય કુરિવાજોને પણ તિલાંજલિ આપવાનો સંકલ્પ કર્યો છે.
સમસ્ત મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી અને જૈન સમાજના અગ્રણી અશોક શેઠે જણાવ્યું હતું કે, તેઓ પણ મૂળ જૂના નેસડો ગામના રહેવાસી છે અને વર્ષોથી અમદાવાદમાં જ રહે છે. હાલ કલ્પરક્ષિતવિજયજી મ. સા. તથા રક્ષિતવિજયજી મ. સા. ચાતુર્માસ કરવા માટે ડીસા પધાર્યા છે. ડીસાના ગામોમાં મોટાપાયે ફેલાયેલી વ્યસનની બદલીને દૂર કરવા તેઓ મહારાજ સાહેબ સાથે જિલ્લાના અલગ-અલગ ગામમાં વ્યાખ્યાનના આયોજન કરી રહ્યા છે અને અત્યાર સુધી 17 જેટલા ગામોમાં વ્યાખ્યાનનું આયોજન કરાયું છે.
આ દરમિયાન જૂના નેસડો અને ઉમરજી ગામના આશરે 10 હજાર લોકોએ એકત્ર થઈ મહારાજ સાહેબની સમક્ષ ગામના વડીલો અને અગ્રણીઓ સહિત ગ્રામજનોએ ગુટખા, દારૂ સહિત તમામ પ્રકારના વ્યસન સાથે અન્ય કુરિવાજો છોડવાનો સંકલ્પ કર્યો છે.
પર્યાવરણ સુરક્ષા માટે 1600થી વધુ ઝાડ વાવવામાં આવ્યાં
મહારાજ સાહેબની નિશ્રામાં શરૂ થયેલા વ્યસન મુક્તિ અભિયાનની સાથે જ ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમ જણાવતા અશોક શેઠે વધુમાં જણાવ્યું કે, મહારાજ સાહેબની નિશ્રામાં પર્યાવરણની સુરક્ષા માટે પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગામોમાં 1600થી વધુ વૃક્ષારોપણ કરવાની સાથે છોડ મોટા થાય તેની પણ ગામ લોકો દ્વારા જ તકેદારી રાખવામાં આવશે. એજ રીતે પાણીનો સંગ્રહ થાય અને જમીનમાં ઉપડે ઉતરે તે ઉદ્દેશ સાથે ગામના તળાવો પણ ઊંડાં ખોદવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી 8 તળાવો ખોદવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.