શહેરમાં 2012-13માં એટલે કે 10 વર્ષ પહેલા જે નાગરિકોએ પોતાના આધારકાર્ડ કઢાવ્યા છે. તેમણે ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે. કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશ મુજબ મ્યુનિ.એ આ અંગેની સૂચના આપી છે. આધારકાર્ડ અપડેટ કરાવવા માટે રૂ.50 ફી ભરવાની રહેશે.
કેન્દ્ર સરકારની સૂચના મુજબ 10 વર્ષ જૂનાં તમામ આધારકાર્ડમાં ફરીથી બાયોમેટ્રિક પુરાવા લઈ તમામ કાર્ડ અપડેટ કરવાના છે. કેન્દ્રની સૂચનામાં સ્પષ્ટતામાં કરવામાં આવી છે કે, લોકોને આધારકાર્ડને આધારે સરકારી સેવાનો લાભ આપવામાં આવતો હોવાથી સમયે સમયે આધારકાર્ડની વિગત અપડેટ કરવી જરૂરી છે. 10 વર્ષ જૂનાં આધારકાર્ડમાં ઓરિજનલ ઓળખના પુરાવાના દસ્તાવેજ તથા સરનામાના પુરાવા મેળવી આધારકાર્ડ અપડેટ કરાવવામાં આવે. લોકોને પણ આ નિર્ણયની વ્યાપક જાણ કરવાની સૂચના અપાઈ છે.
2012-13માં આધારકાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે લાખો લોકોએ બાયોમેટ્રિક પુરાવા આપી આધારકાર્ડ કઢાવી લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આધારકાર્ડનો દુરુપયોગ કરી કેટલાક નાણાકીય ફ્રોડ પકડાતા કાર્ડ અપડેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પસંદ કરેલી કેટલીક બેંકોમાં પણ નવા આધારકાર્ડ કાઢી આપવામાં આવતા હોય છે. જો કે, લોકોની ફરિયાદ છે કે, સવારથી લાઈનમાં ઊભા રહેવા છતાં સિવિક સેન્ટર પરથી માત્ર 50 ટોકન આપવામાં આવતા હોવાથી લાંબું વેઈટિંગ થઈ જાય છે.
ઓનલાઈન પણ અપડેટ કરી શકાશે
લોકો ઓનલાઈન પણ પોતાની માહિતી અપડેટ કરી શકે છે. તેમજ નજીકના આધારકાર્ડ કેન્દ્ર પર જઇને પણ પોતાના દસ્તાવેજો અપડેટ કરાવી માહિતી અપડેટ કરી શકે છે. એટલું જ નહીં પણ તેના માટે જરૂરી રૂ. 50ની ફી પણ લોકોએ ભરવી પડશે. ઉલ્લેખનીય છેકે, આધારકાર્ડને કારણે 800 થી વધારે યોજનાઓનો લોકોને લાભ મળી રહ્યો છે. તે ઉપરાંત સ્કોલરશિપ લેવામાં, બેંકમાં લોન મેળવવા સહિતની કામગીરીમાં પણ વધુ સરળતા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.